જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી ૧/૧

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી...ટેક.
બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;
		    જળે ભર્યા ચંબુ ચોખાળી...જમો૦ ૧
કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;
		    કાઢયો રસ કેરીનો ઘોળી...જમો૦ ૨
ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી;
		    પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી...જમો૦ ૩
અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી;
		    દહીં ભાત સાકર છે ઝાઝી...જમો૦ ૪
ચળું કરો લાવું હું જળઝારી, એલચી લવિંગ સોપારી;
		     પાનબીડી બનાવી સારી...જમો૦ ૫
મુખવાસ મનગમતા લઈને, પ્રસાદી થાળ તણી દઈને;
		     ભૂમાનંદ કહે રાજી થઈને...જમો૦ ૬
 

મૂળ પદ

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કરચરણ કરો ત્યારી

મળતા રાગ

ગરબી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ઉત્પત્તિ

જામનગર તાલુકાના કેશીયા ગામના કડીયા રૂપજી રામજી બહુ સારાં ભક્ત કવિ હતા. સત્તર વર્ષની કિશોર અવસ્થાએ રૂપજીભાઇ સદ્‍ગુરુની શોધમાં ઘરેથી નીકળી ગયેલા. કેશીયાથી સીધા તેઓ કચ્છ ગયા. કચ્છમાં છ વર્ષ રહ્યા બાદ રાજકોટ, વાંકાનેર , મૂળી વગેરે ગામ ફરતાં ફરતાં વઢવાણ પાસે ખારવા નામે ગામે રોકાયા. એક દિવસ રૂપજીભાઇ ખારવા ગામના ગોંદરે આવેલા તળાવની પાળે બેઠા હતા ત્યારે સુંદર નૈસર્ગિક વાતાવરણમાં એમને એક કાવ્ય સ્ફૂર્યું અને એકાએક એમનાં મુખમાંથી શબ્દો સારી પડ્યા: ન કરો પરણ્યા કેરું કામ, કદી ચૂડો ભાંગે ; રાખો હરિસંગે હેત, ચૂડો અમર રાખે . પહેરો સંતની વરમાળ, જામ પાસે નવ આવે; સોંપો તન મન ધન, હરિ તેડવા આવે.’ તળાવ કાંઠે ધાનારાબા નામના એક સત્સંગી ભાઈ રહેતા હતા, તેમના કાને રૂપજીભાઈના ઉપરોક્ત શબ્દો પડ્યા. એમણે થયું માનો ના માનો, આ કોઈ ભક્તકવિ લાગે છે. ધાનારાબા તેમની સમીપે પહોંચ્યા અને સત્સંગ કર્યો. ધાનારાબાએ રૂપજીને કહ્યું: “ તમે ભગવદ્‍ ભક્ત છો અને કવિ પણ છો, છતાં પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ નહિ થાય. રૂપજીભાઇ કહે : ‘ અત્યારે કળીયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી હોય ? “ “ મને પ્રગટ ભગવાન મળ્યા છે .” ધાનારાબાએ છાતી ઠોકી ગૌરવભેર કહ્યું. પણ રૂપજીભાઇ એમ કાંઈ માને ! એ કહે ; “હું નજરે દેખું તો જ માનું .” ધનારાબા રૂપજીભાઈને લઈને સમૈયા ઉપર ગઢડા ગયા, ત્યાં શ્રીજીમહારાજના દર્શન થતાં જ રૂપજી કડીયાના કવિહૃદયમાં એ કાવ્યમય કરૂણાકરની મનમોહક મૂર્તિ વસી ગઈ. કવિએ તત્કાળ સંસાર તજી ભગવી કંથા ધારણ કરી ને ભુધરાનંદ બન્યા. કાવ્યાન્તે ભુધરાનંદ નામ બરાબર પ્રાસમાં બેસતું ન હોવાથી અંતે શ્રીજીમહારાજે એમણે ‘ભૂમાનંદ’ નામ આપ્યું.’૧ (શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો ( વાત -૪૫૩ )) સ.ગુ.કૃષ્ણાનંદ સ્વામી “શ્રી હરિચરિત્રામૃત’ માં સંતકવિ ભૂમાનંદ સ્વામી વિષે નોંધતા લખે છે: “ભૂમાનંદ સ્વામી ભલા ભક્ત, નામ રૂપો હરિમાં આસક્ત ; રહેતા ખારવા ગામમાં ખાંતે, ઘરત્યાગ કર્યો સુણી વાતે. કવિતા કરતા અતિ કાજુ, જગજીવનમાં હેત ઝાઝું ; થયા ત્યાગી મૂકી જગફંદ, નામ ધરાવ્યું ભુધરાનંદ. નામ કાવ્યમાં મળતું નાં’વ્યુ , ત્યારે શ્રીજીએ આપે ફેરાવ્યું; પાડ્યું ભૂમાનંદ ભયહારી, કાવ્યમાં મળતું સુખકારી”૨(શ્રીહરિચરિત્રામૃત – ( અ .૬૫, શ્લોક ૧૯ થી ૨૧ )) કવીશ્વર દલપતરામને પણ સત્સંગમાં લાવવાનું પુણ્ય કાર્ય ભૂમાનંદ સ્વામીએ કર્યું હતું. તેઓ કવિ દલપતરામના દીક્ષાગુરુ હતા. ભૂમાનંદ સ્વામી સાથેનો દલપતરામનો પ્રથમ મેળાપ મુળીમાં થયેલો. ૩(સ.ગુ. ભૂમાનંદ સ્વામી સાથે કવિ દલપતરામનો પ્રથમ મેળાપ મુળીમાં સં.૧૮૯૦ની વસંતપંચમીના સામૈયા વખતે થયેલો .) એ પ્રસંગનું મહાકવિ ન્હાનાલાલે બહુ જીવંત વર્ણન કર્યું છે: “ મુળીમાં સંતોને આસને કિશોર દલપતરામ જતા અને પ્રશ્નો પૂછતા. ફરતાં ફરતાં દલપતરામ ભૂમાનંદ સ્વામીને આસને ગયા . ત્યાં કીર્તન ગવાતું હતું: ‘ સર્વે સખી જીવન જોવાને ચાલો રે ....’ કીર્તન પૂરું થયું ને ભૂમાનંદ સ્વામીની કથા ચાલી , “ અરે ભાઈ ! જીવનું કલ્યાણ મનુષ્ય દેહમાં જ છે . માટે મનુષ્ય દેહ મોંઘેરો કહ્યો છે. ચોરાશીના ફેરામાં બીજે મોક્ષ નથી. દેવલોક પૂણ્ય માણવાને છે , ‘ ક્ષીણે પૂણ્યે લોકે વિશંતી .’ મારે તમને ખોટું કહેવાનું કારણ શું હોય ? સ્ત્રી ધનનો અમારે ત્યાગ છે, મન માને તો માનજો, ઊગ્યો કહીએ તો જ અજવાળાં આપશે. શ્રીજીમહારાજ ક્યાં જન્મેલા ? ક્યાંથી આ દેશમાં આવ્યા ? લાખોની વૃત્તિઓ કેવી રીતે ખેંચી લીધી ? એ બધાંય આશ્ચર્યો નથી ? ..... કોઈને શંકા રહેતી હોય ને પૂછવું હોય તો ભલે પૂછે.’ ત્યારે વઢવાણનાં જુવાન છોકરડા દલપતરામે પ્રશ્ન પૂછ્યો કે ‘ઈશ્વરને અવતાર ધરવાનું કારણ શું ? વગર અવતાર ધર્યે તે પોતાનું કાર્ય ન કરી શકે ? અમારા આગળના ધર્મશાસ્ત્રો શું ખોટા છે ?” ભૂમાનંદ સ્વામીએ કિશોર દલપતરામના સર્વ પ્રશ્નોના શાંતિથી જવાબ આપી અંતે સમજાવ્યું: “ ભગવાનની ભાષા મૌનની છે. ઋષિમુનિનાં અંતર દ્વારા ભગવાનની વાણી પ્રગટ થાય છે, તોય તે પડદાની વાતો પડદા પાછળથી કરે છે. કેટલાય કળા અવતાર, અંશ અવતાર થયા; આતો અવતારોના અવતારી આંગણે આવ્યા છે. અગમ્યને અગોચરને ઓળખાવવા સારું ભગવાન અવતાર લે છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું જ છે કે: ‘संभवामि यूगे यूगे’ એટલે કળીયુગમાં પણ પ્રભુનો પ્રાદુર્ભાવ શક્ય છે . સકલ ધર્મશાસ્ત્રો હરિની જ પ્રેરણા છે. ધર્મશસ્ત્રનો મર્મ પામીને તેને અનુસરવામાં કલ્યાણ જ હોય. શ્રુતિ ત્રિકાળ પર છે, પરંતુ સ્મૃતિ યુગે યુગે બદલાતી રહે છે. સ્વામિનારાયણ આજના ધર્મનો બોધ આપવા કાજે અવતર્યા હતા. એમની શિક્ષાપત્રી એ ધર્મશાસ્ત્ર જ છે . *( કવીશ્વર દલપતરામ – કવિ ન્હાનાલાલ) દલપતરામ પર સ્વામી ભૂમાનંદના વ્યક્તિત્વનો અને તેમની વાણીનો અદ્‌ભૂત પ્રભાવ પડ્યો . એમણે નોંધ્યું છે તેમ ; ‘ પ્રથમ તો વાતોકરનાર સ્વામીનો ચહેરો જોઇને તથા આંખો જોઇને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઇ જાય. વચન તો પછી નીકળે.’ ( કવિશ્વર દલપતરામ , ભાગ-૧ , પૃ ૧૨૪ ) ભૂમાનંદ સ્વામીના ઉપદેશે દલપતરામને ધર્મબાણ વાગ્યા.દલપતરામ સ્વયં કહે છે “ ઉપદેશ જેમ બાણ વાગે તેમ છાતીમાં ઊતરી ગયો, અંત:કરણ પીગળી ગયું, નેત્રમાં આંસુ આવી ગયાં.’ (કવિશ્વર દલપતરામ, ભાગ-૧, પૃ ૧૨૫) દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસે કલ્યાણનો માર્ગ માગ્યો. ભૂમાનંદે તેમને પંચવર્તમાનની સ્વામિનારાયણની ધર્મદીક્ષા દીધી. શ્રીજી મહારાજ સંતોને હંમેશા લોક કલ્યાણાર્થે ગામડાઓમાં સતત ફરતાં રાખતા. જેથી ગરીબ, અભણ અને પછાત કોમના લોકોમાં આધ્યાત્મિક અભિરૂચી વિકસે. એ રીતે સત્સંગનો પ્રચાર ને પ્રસાર થતો ને સાંસારિક માયામાં બદ્ધ. જીવોને પ્રગટ પ્રભુને પામવાનો કલ્યાણકારક માર્ગ મળતો. ભૂમાનંદ સ્વામી પણ આ રીતે એક વાર ગામડાઓમાં ફરતા હતા ત્યારે કુસંગીઓના ગામમાં ભીક્ષા ન મળતાં તેમને સતત ચાર દિવસના ઉપવાસ થયા. પાંચમે દિવસે સવારે બીજા ગામડામાં ફરતા સંતો શ્રીજીમહારાજની ઈચ્છાથી ત્યાં આવી ચડ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીની હાલત જોઈ તેઓ ચોકી ગયા. સંતો પાસે બીજું તો કાંઈ હતું નહિ. થોડો ઘઉંનો પોંક પડ્યા હતો તે સ્વામી આગળ ધર્યો . સ્વામી એ પરિસ્થિતિમાં બહુ ગદ‌્‌ગદ થઇ ગયા. શ્રીજીમહારાજની અપાર કરુણાની પ્રતીતિ થતાં સ્વામીની આંખો ઊભરાઈ આવી. ક્ષણવાર તો એમનું અંતર પ્રભુ પ્રત્યે અહોભાવથી એટલું તો ભરાઈ ગયું કે ગળે ડૂમો બાઝી ગયો ને આંખો હર્ષાશ્રુથી છલકાઈ જવા માંડી. સ્વામીનું હૈયું પ્રભુને પ્રાર્થી રહ્યું: ‘ વાહ પ્રભુ! તારી કરુણા અપાર છે . દેશકાળ તો એવા છે કે મૂઠી ધાન પણ મળે તેમ નથી, એવા સંજોગોમાં પ્રભુ ! તેં સંતોને પ્રેરણા આપી. અહીં મોકલી , આજે આ દેહની રક્ષા કરી. વ્હાલા ! આજે ચાર દિવસે આપને જમાડવાની મને તક મળી, એ માટે પ્રભુ, તને કોટાનુકોટિ પ્રણામ ! મહારાજ, આજે આપને ભાવથી જે જમાડું એ હેતથી જમો મારા નાથ ! ‘ અને અંતરની એ પ્રાર્થના પૂરી કરી સ્વામી ભાવાવેશમાં શ્રીજીમહારાજને પોંક જમાડતા ગયા. એ વખતે પ્રેમાર્દ્ર હૃદયમાંથી જે ભાવોર્મિ પ્રગટી તેના ભાવસભર શબ્દોએ ‘થાળ’ નાં કાવ્યનું મનહર રૂપ ધારી લીધું. “જમો થાળ જીવન જાઉં વારી.... “ શ્રીજી પ્રત્યેના અનન્ય પ્રેમને કારણે ભૂમાનંદે અહીં શ્રીજી મહારાજ માટે જે શબ્દ ‘જીવન’ વાપર્યો છે તે કેટલો યથાર્થ ને સૂચક છે ! ભૂમાનંદ પાસે તો એ વખતે પ્રભુને જમાડવા ફક્ત ઘઉંનો પોંક જ હતો પણ એમણે મનોમન હૃદયનાં શુદ્ધ ભાવો દ્વારા પ્રભુને ઘઉંની પોળી, કેરીનો રસ , ગળ્યા સાટા, ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપૂવા, કઢી, પૂરી, અથાણા, શાક, દહી, ભાત, સાકાર વગેરે વાનગીઓ જમાડી અંતે મનગમતા મુખવાસ પણ આપ્યા. શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે તેમ દેહે કરીને યાંત્રિક રીતે બાહ્યદ્રષ્ટિએ કરેલી પૂજા કરતાં માનસી પૂજા દ્વારા અંતર્દ્રષ્ટિથી કરેલી આરાધના વધુ ઉપકારક અને ફળદાયી નીવડે છે. અહીં‌ થાળની વિવિધ વાનગીઓ દ્વારા ભૂમાનંદની ભવ્ય ભાવોર્મીઓ જ અભિવ્યક્ત થાય છે. મનની ભાવના દ્વારા આ રીતે ભગવાનને ધરવામાં આવેલો થાળ પ્રભુએ પ્રેમપૂર્વક સ્વીકારેલો એ વાતની સાક્ષી ઈતિહાસ પૂરે છે. *( પૂ, નંદકીશોરદાસજી નોંધે છે: ‘ જમો થાળ જીવન જાઉ વારી’ એ થાળ પ્રસંગે મહારાજે સાક્ષાત્‌ દર્શન દઈ જે જે વસ્તુઓના નામ થાળ બોલતી વખતે સ્વામીએ દીધા તે સર્વ વસ્તુઓ સ્વામી દેખે એમ જમ્યા ,,,,ને પછી અંતર્ધાન થઈ ગયા.’પાન નં ૭ (શ્રી ભૂમાનંદ સ્વામીનું જીવનચરિત્ર – શ્રી ઘનશ્યામલીલામૃત સાગર )) ગામડાં ગામમાંથી ફરતાં ફરતાં ભૂમાનંદ સ્વામી જ્યારે ગઢડા પહોંચ્યા ત્યારે સવારે લગભગ દશ વાગ્યાનો સુમાર હતો. શ્રીજી મહારાજના જમવાનો સમય હતો. મહારાજને ખબર પડી કે ભૂમાનંદ સ્વામી આવ્યા છે, એટલે મહારાજ જમતા જમતા ઉભા થઈને સ્વામીને તેડવા સામે દોડ્યા. સ્વામી સજળ નેત્રે શ્રીહરિને મળ્યા ને તે વખતે નેત્રમાંથી અષાઢી મેઘ છૂટ્યા. મહારાજ પણ સ્વામીને એકદમ ભેટી પડ્યા. તે વખતે મહારાજ પણ ગદ‌્‌ગદ થઇ ગયા. પછી મહારાજ હાથ પકડીને સ્વામીને પોતાની સાથે દાદાના દરબારમાં લઇ ગયા .ત્યાં સ્વામીને પાસે બેસાડી મહારાજે કહ્યું; “ સ્વામી ! તમે તો એ દિવસે અમને ભાવથી ખૂબ જમાડ્યા. તમારો થાળ તો ફરી ફરીને સાંભળવાનું મન થાય એવો છે.” સ્વામી તો આ સાંભળી સજલ નેત્રે બે હાથ જોડી અંતર્યામી પ્રભુના શ્રીચરણમાં ઝૂકી પડ્યા.પછે શ્રીજીમહારાજ જમવા બેઠા તે વખતે એ જ થાળ ચાર પાંચ વખત સ્વામી પાસે ગવડાવી એમાં એટલું અમૃત રેડ્યું કે હજી પણ એ થાળ પ્રસાદીનો ગણી સત્સંગમાં પ્રતિદિન મંદિરમાં તેમ જ હરિભક્તોના ઘરમાં ભાવપૂર્વક ગવાય છે.

વિવેચન

આસ્વાદ :- થાળના આ પદમાં સ.ગુ. ભૂમાનંદ સ્વામીના હૈયાના હેતે કથનનું સ્વરૂપ લીધું છે. પ્રથમ પંક્તિમાં કવિ શ્રીજીમહારાજને જમવા માટે આહ્‌વાન આપી, પ્રભુના હાથ પગ ધોવાને મનીષા વ્યક્ત કરે છે. પ્રભુના દેવ-દુર્લભ ચરણ પ્રક્ષાલવાની અમૂલ્ય તક કવિ કાંઈ એમ જ જતી કરે ખરા ? એટલે જ કવિ પ્રભુને પાર્થના કરે છે. ‘ ધોઉં કર ચરણ કરો ત્યારી .’ પ્રભુના હાથ પગ ધોયા બાદ કવિ પ્રભુને બેસવા માટે બાજોઠ આપી, કંચનના કટોરા તથા થાળીમાં થાળ પીરસવાની તૈયારી કરે છે. થાળની તૈયારીમાં પ્રથમ બરોબર ધોયેલા ચંબુમાં શીતળ જળ ભરીને શ્રીજીની સમીપમાં મુકવામાં આવે છે. પછે વિવિધ વાનગીઓ જેવી કે ધૃત સાકરમાં બોળેલી કાઠા *( કાઠા ઘઉં એટલે અત્યારે આપણે જેને ભાલીયા કે દૌદ્ખાની ઘઉં કહીએ છીએ તે ઘઉં) ઘઉંની પોળી , કેરીનો રસ, ગળ્યા સાટા ,ઘેબર, ફૂલવાડી, દૂધપાક, માલપૂવા, કઢી , ઘીમાં તળેલી પોચી પૂરી, અથાણા, શાક. તાજી તાજી ભાજી, દહી, ભાત, સાકાર, વગેરે કવિ ભાવપૂર્વક શ્રીહરિને પીરસતા જાય છે. જમ્યા પછી ચળુ કરાવી કવિ પ્રભુને એલચી, લવિંગ. સોપારી વગેરે મનગમતો મુખવાસ પણ આપવાનું ચૂકતા નથી. મનગમતો મુખવાસ આપીને કવિ કાંઈ બેસી રહે ખરા ? હવે તો એમનું ખરું કામ શરૂ થાય છે. પ્રભુના થાળની પ્રસાદી સ્વામી સામેથી માંગીને લે છે કારણ કે એ દેવોને પણ દૂર્લભ પ્રસાદીનો અનન્ય મહિમા સ્વામી સારી પેઠે સમજે છે. શ્રીજીમહારાજના થાળની પ્રસાદી લેવા તો દેવોના રાજા ઇન્દ્ર પણ કાગડો થઈને આવ્યા હતા. ઇન્દ્રને એ પ્રસાદીની કિંચિત પણ અધિકાર પ્રાપ્ત કરવા કાગડો બનવું પડ્યા અને એ કાગડા રૂપે આવી બેઠા ત્યારે પ્રભુએ એમનો ખપ જોઈ ટુકડો રોટલો નાંખ્યો, એવો એ પ્રસાદીનો મહિમા છે. પ્રભુના પ્રસાદનો મહિમા કવિએ અહીં‌ કેટલી ખૂબીથી ગાઈ નાખ્યો છે ! પ્રસ્તુત થાળનું કાવ્ય વિશાળ અને સુગેય છે. જેમાં શબ્દની રંજકતા અને લયા‌નુસારી વર્ણનને લીધે થાળનું માધુર્ય યથાવત્‌ જળવાયું છે . તેના લોકભોગ્ય ઢાલને કારણે જ સંપ્રદાયમાં આબાલવૃદ્ધ સૌની જીભે આજે પણ આ થાળ એટલો જ લોકપ્રિય રહ્યો છે. આ થાળ ભૂમાનંદ સ્વામીની ભાવવાહી હૈયાને ઊર્મિનો ધોતક છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
3
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio
5
0