વિવેચન:
આસ્વાદ
હો રસિયા મૈં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી,
એક ભરોસો શરણે ગિરધારી, હો રસિયા મૈં તો શરણ તિહારી.
પ્રેમાનંદ સ્વામીનાં હજારો કીર્તનો છે. દરેક કીર્તનનો કોઈ અદ્ભુત આસ્વાદ છે. પણ આ કીર્તનનો સ્વાદ શિરમોડ છે.
પ્રેમાનંદ સ્વામીના અંતરની અનુરાગની વીણા ઉપર આ શરણાગતિનું કીર્તન ગવાયું છે.
આ પદમાં અનુરાગની ભૂમિ ઉપર સમર્પણનો સુંદર છોડ પાંગર્યો છે.
ભારતનાં મંદિરમાં દેવોના અભિષેકનો ભારે મહિમા છે. ઘણાં શ્રધ્ધાળુ ભક્તજનો દૂર દૂરથી પગે ચાલી ગંગાજળની કાવડો ભરીને લાવે અને રામેશ્વર જેવા દેવને ચઢાવે છે. પ્રેમાનંદ સ્વામીએ આ કીર્તનમાં પૃથ્વી પરની ગંગાનાં જળથી નહીં પરંતુ પોતાના અસ્તિત્વના ગંગાજળથી શ્રીહરિનાં ચરણ ધોયાં છે. આ પ્રેમી સંતે પોતાનું સર્વસ્વ શ્રી હરિને ચરણે ધરી દીધું છે. વહેતાં વારિમાંથી કલનાદ ઊઠે એમ સ્વામીના અંતરમાં વહેતા અનુરાગ અને સમર્પણના પ્રવાહમાંથી અ કીર્તનનો કલનાદ ગુંજ્યો છે.
‘હો રસિયા’ સંબોધનમાં ભારે મર્મ છે. શરણાગતિમાં બે આંતર પ્રવાહો છે. એક સહજ પ્રેમનો પ્રવાહ અને બીજો જાણે-અજાણે ભયનો પ્રવાહ.
મોટે ભાગે શરણગતિ ભય સાથે જોડાયેલી હોય છે.
શરણાગતના અંતરમાં ભગવાનની છબી કેવી હોય? તો ભગવાન રાજાધિરાજ છે! અનંત કોટી બ્રહ્માડના સ્વામી છે. એની ભ્રકુટિના વિલાસથી કાળ, માયા, બ્રહ્માંડના અધિપતિ દેવો થર થર કંપે છે. એના સંકલ્પ માત્રથી અનંતકોટિ બ્રહ્માંડોનાં સર્જન, સ્થિતિ અને સંહાર થાય છે. આ અનંત વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ શરણાગતોને અભયદાન આપે છે. આવી ભાવના સાથે જીવ ભયભીત થઈ શ્રીહરિને શરણે જાય છે.
શરણાગતિનો મંત્ર પણ ભયથી ભરેલો છે.
काल् माया पापकर्म यमदूत मयादहम् I
श्रीकृष्णदेवं शरणं प्रपन्नोस्मि स पातु माम् II
‘કાલ, માયા પાપકર્મ અને યમદૂતોના ભયથી હું સમર્થ ભગવાન શ્રીકૃષ્ણને શરણે થાઉં છુ. ભગવાન મારી રક્ષા કરે!’
શરણાગતિ ઉભયવિધ ભયથી ભરેલી છે. શરણાગતને એક બાજુ કાળ-માયાદિનો ભય છે. બીજી બીજુ વિશ્વનું શાસન કરનારા ચક્રવર્તી સમ્રાટ જેવા ભગવાન તરફથી પણ ભય છે કે ‘રખેને મારી ભૂલ થશે તો મને દંડ થશે.’
ઉભયવિધ ભયથી ભરેલી હોવા છતાં શરણાગતિ એ શરણાગતિ છે. મોક્ષસાધનોમાં શરણાગતિ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી પણ પ્રેમગર્ભા શરણાગતિ અને ભયગર્ભા શરણાગતિની તુલના કરીએ તો પ્રેમગર્ભા શરણાગતિ શ્રેષ્ઠ છે.
ભયગર્ભા શરણાગતિમાં ભગવાન અને ભક્ત વચ્ચે રાજા અને પ્રજા જેવી અનુભૂતિ થાય છે. જ્યારે પ્રેમગર્ભા શરણાગતિ સતી અને પતિ જેવી એકરસતાથી ભરી છે. અહીં પોતે અને પ્રિયતમ વચ્ચે કોઈ દૂરી નથી, કોઈ અંતર નથી.
અહીં કીર્તનમાં સંબોધન કરતી વખતે લય કે પ્રાસમાં બંધ બેસે તેવો ‘હે ભગવાન્!’ કે એવો બીજો કોઈ શબ્દ વાપરી શકાયો હોત પણ પ્રેમાનંદ સ્વામીએ ચક્રવર્તી સમ્રાટનો મહિમાનો દ્યોતક કોઈ શબ્દ પસંદ નહી કરતાં ‘રસિયા’ શબ્દ પસંદ કર્યો છે. ‘રસિયા’ શબ્દ જ પ્રેમગર્ભા શરણાગતિનો દ્યોતક છે.
ભગવાનને ‘રાજાધિરાજ’ કહેવાય કરતાં ‘રસિકરાજ’ કહેવામાં સ્વામીને વધારે રસ છે.
હો રસિયા! મૈં તો શરણ તિહારી
કોઈ સોહાગણ સુંદરી પોતાના સ્વામીને સમર્પિત થાય તેમ અહીં એક પ્રેમ ભરેલું હૈયું પરમ પ્રેમમય પ્રિયતમને ચરણે સમર્પિત થઈ રહ્યું છે.
રસિકશિરોમણિ શ્રીહરિનો સ્વભાવ છે. તમે એના ચરણે જેટલું અર્પણ કરો એનાથી હજારગણું એ પાછું આપે છે.
ભક્ત જ્યારે શ્રીહરિનાં ચરણમાં સર્વસ્વ અર્પણ કરે છે ત્યારે ભગવાન પણ ભક્ત ઉપર સંપૂર્ણ રીતે ઓળઘોળ થઈ જાય છે. એમાં જરાય અધૂરું નથી રાખતા.
પ્રેમાનંદ સ્વામી બડભાગી સંત છે. એણે પોતાનું સર્વસ્વ શ્રીહરિને ચરણે ધરી દીધું.
હતભાગી તો આપણે છીએ. આપણા અહંકારથી ભરેલા ઘડા ખાલી થતા જ નથી.
નવધાભક્તિમાં એક વંદનભક્તિ છે. મસ્તક નમાવી વંદન કરવાનો અર્થ છે આપણા મસ્તકના ઘડા ખાલી કરવાં. આપણા મસ્તકના ઘડાનાં મુખ અહંકારના રેણથી બંધ છે તેથી મસ્તક નમવા છતાંય ઘડા ખાલી થતા નથી. નમવાનો ખાલી વ્યાયામ થાય છે.
સમર્પણ તો સાકરનું છે. સાકર જ્યારે દૂધને સમર્પિત થાય ત્યારે એના એક એક અણુ ઓગળીને દૂધમય થઈ જાય છે. હવે નામ છે તોય ‘દૂધ’ અને રૂપ છે તોય ‘દૂધ’. સમર્પણ કોને કહેવાય? તે સાકર શીખવે છે.
દૂધમાં સાકર ઓગળે પણ ચિરોડી ન ઓગળે. દેખાવમાં ચિરોડી સાકર જેવી જ લાગે પણ દૂધમાં ચિરોડીના ગાંગડા નાખીને ઉકાળો. હજાર મણ લાકડાં બાળો પણ ચિરોડી ન ઓગળે. એમ ઘણા સત્સંગી કહેવાતા હોય. સત્સંગમાં સિત્તેર સિત્તેર વર્ષથી પડ્યા હોય પણ ચિરોડીના ગાંગડા જેવા એવા ને એવા હોય; જરાય ઓગળ્યા ન હોય.
હો રસિયા મૈંતો શરન તિહારી
અહીં શરણાગતના ધર્મોને સંક્ષેપથી સમજી લઈએ.
રામાનુજાચાર્યજીએ શરણાગતિ માટે સુંદર શ્લોક લખ્યો છે:
आनुकुलस्य संकल्प प्रातिकूल्यस्य वर्जनम्
रक्षिष्यति इति विश्वासः गोप्तृत्ववरणं तथा
आत्मनिक्षेप कार्पण्यं षड्विद्या शरणागति
શરણાગતિનાં છ અંગ છે. શરણાગતિ સ્વીકારતા સમયે શરણાગતને છ સંકલ્પ કરવાના હોય છે.
ઇષ્ટદેવને જે ગમે તેનું જ અનુસરણ કરવું.
ઇષ્ટદેવને ન ગમે તેનો ત્યાગ કરવો.
‘શ્રીહરિ જ મારા રક્ષક છે’ એવો દ્રઢ વિશ્વાસ રાખવો.
‘હે હરિ! રક્ષા કરો’ એવી પ્રાર્થના કરવી.
પોતે અને પોતાનું જે કંઈ છે તે સર્વસ્વનું સમર્પણ કરવું.
સર્વ સાધનો કે પુરુષાર્થોના અભિમાનને છોડી દીનતાનો આશ્રય કરવો.
આ કીર્તનમાં, આ ષડ્વિદ્યા શરણાગતિ સહજ રીતે વણાયેલી છે.
શરણે તિહારી શબ્દમાં આત્મનિક્ષેપ છે અર્થાત્ સર્વસ્વ સમર્પણ છે.
‘નહી’ સાધન બલ વચન ચાતુરી’ આ પંક્તિમાં કાર્પણ્ય અર્થાત્ દીનતા ભરી છે.
સ્વામી કહે છે, ‘મહારાજ! તમે રાજી થાવ એવા કોઈ સાધન મારી પાસે નથી. તમારા જેવા રસિકવર સાથે પ્રેમાલાપ કરવાની કોઈ ચતુરાઈ મારી પાસે નથી.’
‘એક ભરોસો... શરણે તિહારી’ પંક્તિમાં વિશ્વાસ ભર્યો છે. સ્વામી કહે છે, ‘હું તો માત્ર એક ભરોંસાના બળથી જીવું છું. મને ભારોભાર ભરોંસો છે કે મારા રસિકવરે મારો સ્વીકાર કર્યો છે. હવે એ મને નહીં તરછોડે.’
સ્વામીએ સર્વ સાધનોનાં બળ છોડી દીધાં છે. મોક્ષમાર્ગના મર્મીઓને માલૂમ છે કે ભગવાન સાધનોથી વશ થતા નથી. સૂરદાસ કહે છે,
અપબલ તપબલ ઔર બાહુબલ ચોથો હે બલદામ
સૂર કિશોર કૃપા તે સબ બલ હારે કો હરિ નામ.
સુમિર મન નિર્બલ કે બલરામ...
કોઈ શરીર બળના અભિમાનથી જીવે છે.
કોઈ તપોબળના અભિમાનથી જીવે છે.
કોઈ પુરુષાર્થના અભિમાનથી જીવે છે.
કોઈ સત્તા-સંપત્તિના અભિમાનથી જીવે છે.
સૂરદાસ કહે છે, ‘શ્રીહરિને પ્રસન્ન કરવામાં આ એકેય બળ કામમાં આવતાં નથી. અહીં તો “હારે કો હરિ નામ”.’
શ્રીહરિની કૃપા સિવાય સર્વ અભિમાન છોડી હરિનામસ્મરણ કરવું એના જેવું કોઈ બળ નથી.
અહીં તો જે હારે એ જ જીતે અને જીતવાના ખ્યાલમાં ફરે તે હારે.
આપણા સાધનોના અભિમાન છૂટવા જોઈએ. શ્રી હરિને પ્રસન્ન કરવામાં આપણા સાધનો કંઈ સાંધણમાં ન આવે!
બળ રાખવું તો શ્રીહરિની કૃપાનું રાખવું.
બળ રાખવું તો હરિનામસ્મરણનું રાખવું.
બળ રાખવું તો એના અચળ ભરોંસાનું રાખવું.
આપણાં સાધનો સામે જોઈને વિચાર કરીએ તો એ સાધનો નિર્માલ્ય ભાસે.
ઘણાને દાન કર્યાનો કેફ ચઢે. ‘મારા જેવો કોઈ દાનેશ્વરી નથી.’ પણ વિચાર કરે તો સમજાય કે પરમેશ્વરે આપણને જે છૂટે હાથે આપ્યું છે એની પાસે આપણાં દાન કાંઈ વિસાતમાં નથી.
શ્રીહરિની કૃપાથી મળેલા અઢળક ધનમાંથી થોડુંઘણું દાન કર્યું એમાં શી ધાડ મારી! આ તો ‘કામ કરે કાની અને જશ ખાય જેઠી’ જેવી વાત છે. પૂર્વે સર્વસ્વનું દાન કરનારા ભક્તો થયા છે એની આગળ આપણા દાનની શી કિંમત?
બીજું, જે લક્ષ્મીનો સ્વામી છે તેને આપણા ધુળ-પાપ જેવા દાનથી કેમ વશ કરી શકાય?
અમેરિકાના બિલ ગેટ જેવા ધનાઢ્યને કોઈ સો રૂપિયાની નોટ આપીને કહે કે, ‘જાવ મજા કરો, ચા પી આવો.’ તો કેવું લાગે!
આનો અર્થ એવો નથી કે દાન ન કરવું, આનો અર્થ છે દાન કરવું પણ અભિમાન ન કરવું. નહીંતર ઘણા લોભિયાને આ વાત શીરા જેવી ગળી લાગે.
આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃતસાગરમાં ભગવાન સ્વામિનારાયણના સમયના હરભમ સુથારની વાત લખી છે.
હરભમ સુથાર ભારે લોભી હતા.
ભગવાન સ્વામિનારાયણ ભુજ પધારે, સંતો-ભક્તોના સંઘ ભેળા હોય. ભુજના ભાવિક ભક્તો ભાવથી થાળ-રસોઈ કરાવે, શક્તિ પ્રમાણે દાન કરે.
હરભમ સુથાર શ્રીહરિની સાથોસાથ રોજ જુદે જુદે ઘરે પ્રસાદ લેવા પહોંચી જાય પણ પોતે ન કોઈ દી થાળ કરાવે, ન રસોઈ આપે, ન પાંચ પૈસા ભેટ ધરે!
કોઈ કોઈ વાર જાણીયાકાકા જેવો હરિભક્ત ટકોર કરે,
‘હરભમ! તમે ક્યારેક તો ભગવાન માટે પાંચ રૂપિયાનું ખર્ચ કરો. ભગવાન માટે થાળ કરાવો.’
હરભમ સુથાર ઠરેલા કોઠે જવાબ આપે,
‘જુઓ ભાઈ! ભગવાન તો વિશ્વંભર કહેવાય. કીડીને કણ અને હાથીને મણ એ પૂરાં પાડે! આવા ભગવાનને આપણા જેવા પામર શું જમાડી શકે? અને ભગવાન તો લક્ષ્મીના સ્વામી કહેવાય. પૂર્ણકામ અને આત્મારામ કહેવાય, આવા ભગવાનને આપણે પામર શું આપી શકીએ?’
આપણે હરભમ સુથાર જેવા ન થવું.
‘નહીં સાધન બલ’માં એક બીજી વાત સમજવાની છે. અહીં ભગવત્પ્રસન્નતાના સાધનો છોડવાની વાત નથી. સાધનના અભિમાન છોડવાની વાત છે.
ઘણી વાર આળસ અને ગાફલાઈથી ભરેલો નિર્માલ્ય જેવો જીવ બચાવ કરે કે, ‘ભગવાનની કરુણા થાય તો જ કલ્યાણ થાય. સાધન કરવાની-કરાવવાની જરૂર નથી.’
ઘણી વાર ઘણા ખોટા કેફમાં જીવતા હોય કે, ‘આપણને ભગવાન પ્રગટ મળી ચૂક્યા છે; હવે આપણે કાંઈ કરવાનું રહેતું નથી.’
આવા બધા જ તર્કો મનની ભુલભુલામણી છે. માયાએ રચેલી છેતરામણી છે. મુમુક્ષુએ એથી સાવધાન રહેવાનું છે.
ખેડૂત બળદ રાખે. બળદ બે પ્રકારના હોય: ‘તેજી’ અને ‘સંધીયા’. ખેડૂત વજન ભરેલું ગાડું લઈને જતો હોય, ઊંચાનીચા ખાડાં ખબડાંવાળા રસ્તા હોય, રસ્તામાં ક્યારેક ચઢાઈ આવે, ક્યારેક ઢાળ આવે.
તેજી બળદનો સ્વભાવ તેજ હોવાથી ચઢાઈ દેખે એટલે ઉત્સાહમાં આવી જાય અને જોર કરીને ચઢાઈ ચઢી જાય. સંધીયો બળદ આળસુનો પીર અને ખોટીલો હોવાથી ચઢાઈ દેખીને ગુડિયા વાળી બેસી જાય. ખેડૂત એને માર મારે, મૂંગો દ્યે ત્યારે માંડ બેઠો થાય. ચઢાઈ ચઢવી તો પડે જ પણ એક ઉત્સાહથી ચઢે અને બીજો મરતા મરતા ચઢે! પરિણામે ખેડૂતનો રાજીપો તેજી ઉપર થાય તેવો સંધીયા ઉપર ન થાય.
અધ્યાત્મમાર્ગના અનુભવી સંતો સમજાવે છે: ‘આત્મકલ્યાણનાં સાધનો કરવામાં તેજી બળદ જેવા થવું પણ સાધનોની કઠિનાઈ જોઈને સંધીયા બળદની જેમ ગુડિયા ન વાળવા. આજે કે કાલે અપણો પંથ આપણે જ કાપવો પડશે.’
શરણાગતિનો મર્મ છે સાધન છોડવાનાં નથી, સાધનનું બળ છોડી ‘નિર્બલ કે બલરામ’ થવાનું છે.
પોતે કરેલાં સાધનોનો ગર્વ જાગે ત્યારે મુમુક્ષુએ વિચાર કરવો જોઈએ.
‘આપણે શું દાન કરી શકીએ? પરમાત્મા આપણને કેટલું બધું આપે છે?’
‘આપણે શું ધર્મ પાળ્યો? સમસ્ત જડ-ચેતન સૃષ્ટિ પરમાત્માએ બાંધેલી મર્યાદાની પાળોને ક્યારેય તોડતી નથી.’
સાધુઓ ઉપવાસ-એકટાણાં કરે એનો ગર્વ આવે ત્યારે વિચાર કરવો, ‘આ વેપારીઓ, ધંધાદારીઓ કાયમ એકટાણાં કરે છે. આખો દિવસ કામ કામ અને કામ. બીચારાઓને જમવાનો સમય જ મળતો નથી.’ આપણાં ત્યાગ અને અપરિગ્રહી વ્રત પણ ગર્વ લઈ શકાઈ એવાં નથી.
પશુંપંખીઓ આપણા કરતાં વધારે ત્યાગી અને અપરિગ્રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં ધૂન-ભજન-સ્મરણનો ભારે મહિમા છે. ક્યાંક બાર કલાકની ધૂન થાય, ક્યાંક ચોવીસ કલાકની ધૂન થાય, ક્યાંક મહિના-મહિનાની ધૂન થાય, ક્યાંક બારેમાસ અખંડ ધૂન થાય.
આપણી અખંડ ધૂનનો ગર્વ શું કરવો? આપણે તો વારા પ્રમાણે ધૂન કરીએ છીએ. શ્રીહરિ તો રાતદિવસ હર પળ આપણી સંભાળ રાખે છે તેનું શું?
એકવાર ભગવાન સ્વામિનારાયણના દર્શને ઘણે દૂરથી પગે ચાલીને સંઘ આવેલો. શ્રીહરિની સેવામાં એક પાર્ષદ હતા તે વારેવારે કહે, ‘મહારાજ! આ ભક્તો બહુ દૂરથી ચાલીને આવે છે.’
મહારાજ કહે, ‘બહુ સારું.’
વળી પાર્ષદ કહે, ‘મહારાજ! આ બહુ દૂરથી આવે છે.’
મહારાજ કહે, ‘હશે.’
પણ પેલા સેવકે વારંવાર આ વાત દોહરાવી એટલે મહારાજે સેવકને કહ્યું, ‘આ લોકો બહુ દૂરથી અમારે દર્શને આવ્યા એની વારંવાર વાત કરો છો પણ અમે કેટલે દૂરથી આવ્યા છીએ એની ખબર છે? પૃથ્વી આદિ આઠ આવરણોથી પાર અક્ષરધામમાંથી અમે પૃથ્વી પર અવતર્યા. તો અમે દૂરથી આવ્યા કે એ દૂરથી આવ્યા?’ સેવકને ભૂલ સમજાય ગઈ.
નહીં વચન ચાતુરી
ઉત્તમોત્તમ કીર્તનોની રચના કરનારા સ્વામી કહે છે, ‘નહીં વચન ચાતુરી.’ આ ભક્ત હૃદયની દીનતા છે. સ્વામી કહેવા માંગે છે, ‘મહારાજ! આ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા સંતો કેવી સુંદર રચનાઓ કરી તમને રીજવે છે! એવી કુશળતા મારામાં નથી.’
તુલસીદાસ કહે છે, ‘કવિ નહીં હૌ મૈં ન ચતુર કહાવું’.
સર્વ સાધનોનો ભરોંસો છોડી એકમાત્ર ભગવાનને ભરોંસે જીવવાની વાત કરતાં સ્વામી કહે છે,
એક ભરોંસો શરણે ગિરધારી
અહીં ‘એક ભરોંસો’ શબ્દ મહત્વનો છે. એક ભરોંસાનો અર્થ છે ‘અનન્ય ભરોંસો’. હાથીના પગલામાં બધું જ સમાઈ જાય તેમ પુરુષોત્તમનારાયણનાં ચરણમાં સર્વ કોઈ સમાઈ જાય છે.
ચક્રવર્તી સમ્રાટનો આશ્રય કર્યા પછી અન્યનો આશ્રય કરવાની જરૂર રહેતી નથી. તેમ શ્રીહરિનો આશ્રય કર્યો પછી બીજા કોઈનો આશ્રય કરવાની જરૂર રહેતી નથી.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ‘અનન્ય ભાવે શ્રીહરિનો આશ્રય કરવો’ એને જ કલ્યાણનું અસાધારણ સાધન ગણાવેલ છે.
જગતમાં ભરોંસાથી જીવનારા ઘણા છે પણ ‘એક ભરોંસા’થી અર્થાત્ અનન્ય શરણાગત ભાવથી જીવનારા બહુ ઓછા છે.
ઘણા તો દોરા, ધાગા, મંત્ર, તંત્ર, કામણ, ટૂમણના ભરોંસે જીવે છે. મોટા મોટા રાજકારણીઓ પણ મંત્રતંત્રમાંથી ઊંચા આવતા નથી.
વેદ, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રો જાતજાતના ભરોંસામાંથી બહાર નીકળી ‘એક નારાયણના ભરોંસે’ જીવવાનું શીખવે છે.
ગીતા કહે છે: अनन्याश्चिन्तयन्तो मां - ‘મારો ભક્ત અનન્ય ભાવે મારું ચિંતન કરે છે.’
તુલસીદાસજી કહે છે, ‘એક ભરોંસો એકચિત્ત એક આશ વિશ્વાસ’.
અમેરિકામાં એક ભાવિકને ઘરે ગયા. પુરાણી હરિસ્વરૂપદાસજી સાથે હતા. ચારપાંચ સંતો બીજા હતા. ઘરમાં સુંદર દેવઘર હતું. પૂજાપાઠ નિયમિત થતા હતા. દેવઘરમાં જાતજાતના દેવી-દેવતાઓના ફોટાઓ હતા. દેવઘરની દીવાલમાં એક ઇંચ જેટલી પણ જગ્યા ખાલી નહોતી. નહીં નહીં તોય પચ્ચીસ-ત્રીસ જેટલા ફોટા હશે.
સામાન્ય રીતે સાધુઓ જ્યાં જ્યાં પધરામણી કરે ત્યાં ભગવાનની એક છબી અચૂક આપે. જોકે આ છબીઓ આપવાની રીતનું બહુ પોસ્ટમોર્ટમ કરવા જેવું નથી. મોટે ભાગે મહાત્માઓને ભગવાનની મૂર્તિ નથી આપવી પણ તે મૂર્તિ નીચે પોતાનું નામ અર્થાત્ ‘ટ્રેડમાર્ક’ હોય તે ભગવાનને બહાને પેલાના ઘરમાં પધરાવવો છે. ભક્તિ-ઉપાસનાના આશયથી છબી અપાય તો એનો વાંધો કોઈને ન હોય પણ મોટે ભાગે આવા પવિત્ર આશય કરતાં ‘એના ઘરમાં આપણો ટ્રેડમાર્ક હોવો જોઈએ’ એવો આશય વધારે હોય છે. છબી પધરાવ્યા પછી આ ઘરમાં ભગવાન બિરાજ્યા એ ભાવ કરતાં ‘આપણું થાણું થપાઈ ગયું’ એવી ભાવના વધારે હોય! સંજોગવશાત બીજી વાર પધરામણીએ જવાનુ થાય ત્યારે એની એ છબી દેખાય તો આપનાર અંતરમાં ફુલાય. ‘આપણી પેઢી બરાબર છે.’ પણ એ દરમ્યાન બીજી ચારપાંચ છબીઓ આવી ગઈ હોય તો કોઈકે બાપદાદાની જાગીરમાં પરાણે ભાગ પડાવ્યો હોય એવું વસમું લાગે! આ ધર્મ ન કહેવાય. ધર્મને નામે ચાલતો ધંધો કહેવાય. ધંધાર્થી હોય કે ધર્માર્થી; માયા કોઈને છોડતી નથી!
પેલા ભાઈને ઘરે પધરામણી પ્રસંગે અમારી સાથેના સાધુએ પણ એને આપવા માટે ભગવાનનો ફોટો કાઢ્યો. પુરાણી હરિસ્વરૂપદાસજી ભારે આનંદી સાધુ. એમણે પેલા સાધુનો હાથ પકડીને કહ્યું, ‘આ ત્રીસમાં તો ગૂંચવણો છે; હવે એકત્રીસમો આપીને શું કામ વધારે ગૂંચવો છો? પ્રથમ આ બધામાંથી બિચારાને બહાર તો નીકળવા દો!’
કોઈને દોરા-ધાગાનો ભરોંસો તો કોઈને દેવીદેવતાનો ભરોંસો. પણ સર્વ કારણના કારણ નારાયણને અનન્ય ભરોસે જીવનારા ઓછા હોય.
ભગવાન પણ ભારે પાકા છે, અનન્ય ભરોંસા સિવાય રીઝતા નથી.
કહેવાય છે કે કૌરવ સભામાં દ્રૌપદીની લાજ રાખ્યા પછી ભગવાન કૃષ્ણે દ્રૌપદીની ક્ષમા માગતાં કહ્યું, ‘બહેન, મારો ભક્ત મારું અર્ધું નામ પુકારે ત્યાં મારે આવવું જોઈએ પણ તારે મારુ પૂરું નામ બોલવું પડ્યું તો ક્ષમા કરજે’.
દ્રૌપદીએ ઠપકાભરી નજરે કૃષ્ણ સામું જોઈને કહ્યું, ‘પ્રભો! ભારે ડહાપણ કરો છો! પણ ક્યારનીએ હેરાન થાઉ છું છતાં આટલો આટલો વિલંબ કેમ કર્યો? અને હવે આખા નામ અને અર્ધા નામની ડાહી ડાહી વાતો કરો છો!’
કૃષ્ણ કહે, ‘ક્ષમા કરજો, મને એક કુટેવ છે. ‘મારા નામનો પુકાર ન કરે ત્યાં સુધી હું આવતો નથી. બહેન, તારા મનમાં આશા હતી કે “ભીષ્મ રક્ષા કરશે, દ્રોણ રક્ષા કરશે, ભીમ રક્ષા કરશે” એટલે વારાફરતી એની સામું જોતી હતી. બહેન, તું બીજાને આધારે રહેતી હતી. બીજા આધાર તૂટે નહીં ત્યાં સુધી મારાથી કેમ અવાય! આખરે હું મારી આદતને મજબૂર છું. મને યાદ કરે અને વિલંબ થાય તો ફરિયાદ સાચી!’
ખરેખરો ભક્ત બધા જ ભરોસા દૂર ફેંકી એક શ્રીહરિને જ ભરોંસે જીવે છે.
એટલે સ્વામી કહે છે, ‘એક ભરોંસો શરણે ગિરધારી.’
પ્રેમાનંદ સ્વામીએ બીજા બધા જ ભરોંસાના ભારા ફેંકી દીધા છે. એક માત્ર ગિરધારીનો ભરોંસો રાખ્યો છે.
‘સુખ આપે તોય એ અને દુ:ખ આપે તોય એ. રક્ષા કરે તોય એ અને રક્ષા ન કરે તોય એ.’ એક ભરોંસાવાળાને કોઈ ચિંતા હોતી નથી.
અહીં ભગવાનને ‘ગિરધારી’ કહ્યા છે.
સ્વામી કહેવા માગે છે, ‘હે પ્રભો, તું ગિરધારી છો.’
ગિરિરાજ ગોવર્ધનને ટચલી આંગળીએ ઉઠાવી વ્રજની રક્ષા કરનારો સામે બેઠો હોય પછી ચિંતાના ભાર અમારે માથા ઉપર શીદ લેવા જોઈએ?
કડવી તુંબરીયા મૈં તો નીચ ભોમકી,
ગુણ સાગર પીયા તુમ્હીં સંવારી...
આ પંક્તિઓમાં પ્રેમાનંદ સ્વામી પોતાની દીનતા અને પુરુષોત્તમ નારાયણની મહાનતા વ્યક્ત કરે છે.
આ કીર્તનની રચનાના સમયે અચૂકપણે સ્વામીને પોતાના જન્મની કથા યાદ આવી હશે.
એક અજાણ્યું નવજાત બાળક માતપિતાથી તરછોડાયું અને મુસલમાનને ઘેર મોટું થયું! જે બાળકને પોતાનાં માબાપની ખબર ન હોય એનું હૈયું કેટલું હિજરાતું હશે?
શ્રીજીમહારાજ આ અનાથ બાળકનાં માવતર થયાં! ન નાત પૂછી, ન જાત. ન પૂછ્યું મા કોણ? ન પૂછ્યું બાપ કોણ? બસ, પ્રેમથી ખોળે બેસાડી દીધા. એટલું જ નહી ��ર્વ સંતોમાં શિરોમણિ કર્યા. ઇતિહાસમાં અમર કર્યા.
‘કડવી તુંબરીયા મૈં નીચ ભોમકી’
સ્વામી પોતાની જાતને ઉકરડે ઊગેલી કડવી તુંબડી સાથે સરખાવે છે.
‘હે મહારાજ! ઉકરડામાં તુંબડીનો વેલો ઊગે એમ મ્લેચ્છ ગણાતી જ્ઞાતિમાં અમે મોટા થયા.’
દૂધી હોય તો શાક થાય, કડવું તુંબડુ તો કોઈનેય કામમાં ન આવે!
‘હે કરુણાના સાગર! તમે કરુણા કરી એ કડવા તુંબડાને સ્વીકાર્યું એ તમારી મોટાઈ છે.’
તુંબડાંઓ સંસારીઓને કશા ખપમાં ન આવે. તુંબડાઓ તો જોગીજતીઓ સાધુસંતો સ્વીકારે. સંતો તુંબડાને સૂકવે, ધીરે ધીરે અંદરનો કડવો ગર્ભ કાઢી નાખે, હળવે હાથે કાપી-કોરીને તૈયાર કરે. પછી અંદર અમરત જેવાં જળ ભરે!
હે ગુણસાગર મહારાજ! તમે અમારી બધી કડવાશ કાઢી નાખી અને સદ્ગુણો રૂપી મીઠાં જળ ભર્યાં.
જગતમાં જોગી પુજાય એની હારે એનાં તુંબડાં પણ પુજાય.
આજ તુંબડું જો જોગીડાને બદલે વાદીડાના હાથમાં આવ્યું હોત તો સર્પ પકડવાની મોરલી થાત.
આજ તુંબડુ જો અનાડીના હાથમા આવ્યું હોત તો દારૂ ભરવાનું પાત્ર થાત.
અમારા સદ્ભાગ્ય કે અમારાં તુંબડાં તમારા હાથમાં આવ્યાં. આપે એની સારંગી બનાવી સપ્ત સ્વરોની મધુરતા ભરી. જે કાંઈ મધુરતા જેવું લાગે છે તે માધુર્ય આપનું છે.
તુંબડાંમાંથી બનાવેલાં વાજિંત્રોની મીઠાશ તુંબડાની નથી હોતી! એ મીઠાસ તો વગાડનારની આંગળીઓથી વરસતી હોય છે.
મારા જીવનનો એક પ્રસંગ કહું મારી ચૌદ-પંદર વર્ષની ઉંમરે ગુરુદેવે કહ્યું હતું કે, ‘મારે તને સંસ્કૃત ભણાવવું છે.’ ગુરુદેવનો આ પ્રાણવાન શબ્દ મને ક્યાંથી ક્યાં લઈ ગયો! ઈંડાંમાંથી સેવાયેલા પંખીના બચ્ચાને પાંખો ફૂટે એમ ગુરુદેવના શબ્દે જીવનની પાંખો ફૂટી. મારા જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું એ સદ્ગુરુની કૃપાનું ફળ છે.
રામાયણની પ્રસિદ્ધ કથા છે, પહાડ સાથે સંજીવની લઈને ઊડતા હનુમાનજીના હૃદયમાં ગર્વ થયો. ‘હું ન હોત તો આ સંજીવનીનો પર્વત કોણ લઈ જાત.’ એ જ સમયે નંદીગ્રામમાં નિવાસ કરતા ભરતજીએ ‘કોઈ નિશાચર ઊડી રહ્યો છે’ એમ માની ફણા વિનાનું બાણ ફટકાર્યુ. બાણ લાગતાંની સાથે જ હનુમાનજી મહારાજની ઊડવાની તાકાત હરાઈ ગઈ. પરિસ્થિતિની સાચી જાણ થતાં ભરતજીએ પસ્તાવો કર્યો અને પોતાના બાણ ઉપર બેસાડીને હનુમાનજીને લંકાના રણમેદાનમાં પહોંચાડ્યા.
અધ્યાત્મમાર્ગે ગતિ કરનારા સાધકને સર્વદા અનુસંધાન હોવું જોઈએ કે ‘આપણે આપણી શક્તિથી નથી ઊડતાં. કોઈની કરુણાના બાણ ઉપર બેસીને ઊડીએ છીએ.
ગુરુદેવ અવારનવાર ટકોર કરતાં, ‘માંગેલાં ઘરેણાં પહેરીને મલકાવાય નહીં. થોડા સદ્ગુણો મળી જાય તેથી છલકાવાય નહીં.’
મૈં અતિ દીન બાલક તુમ શરને, નાથ ન દીજે અનાથ વિસારી... બાળકને પોતાની મા ઉપર અચળ ભરોસો હોય છે. એવો જ અચળ ભરોસો આ પંક્તિઓમાંથી વરસે છે. આ પંક્તિઓ ગાન કરતી વખતે પોતાના બાળપણની દીન અવસ્થા પ્રેમાનંદ સ્વામીના અંતરને કોરી ખાતી હશે અને શ્રીજીમહારાજની કરુણા એ અંતરને અભરે ભરતી હશે.
મા એટલે બાળક માટે ‘પૂર્ણ વિશ્વાસ’નું મૂર્તિમંત રૂપ. સારી-માઠી પરિસ્થિતિમાં બાળક દોડીને માના ખોળામાં બેસે. બાપ પડખે જ આંટા મારતો હોય પણ બાળક એ બાજુ જવાનું નામ ન લ્યે. બાળકને ખબર હોય કે આ વાદળું વરસે એવું નથી!
સ્વામી કહે છે, ‘હે મહારાજ! એક બાળક પ્રેમાળ માતાને શરણે જાય તેમ અમે તમારે શરણે છીએ.’
હે દીનાનાથ! જેનો હાથ કોઈએ ન પકડ્યો એનો હાથ તમે પકડ્યો છે; હવે અમને વિસારી દેશો નહીં.
કોઈ ભક્તે આ જ વાત જરા જુદી રીતે કરી છે.
હે ભગવાન! હું અનાથ છુ એટલે તો તમે દીનાનાથ છો.
હું પતિત છું એટલે તો તમે પતિત પાવન છો.
હું અધમ છું એટલે તો તમે અધમ ઉદ્ધારક છો.
હું દીન છું એટલે તો તમે દીનબંધુ છો.
હું અનાથ એટલે તો તમે નાથ છો?
હું પાપી છું એટલે તો તમે પાપમોચન છો
હું દયનીય છું એટલે તો તમે દયાસાગર છો
હે હરિ! સાંભળી લ્યોં... હું છું તો તમે છો!
ભક્તોની પણ મસ્તી હોય છે. ભક્તોના ભાવપ્રવાહો વિવિધ રૂપે વહે છે. આ પ્રાર્થનામાં ભક્ત પ્રભુને પડકાર કરી રહ્યો છે. અહીં ભક્તની ભક્તિ પડકારથી ભરી છે. અહીં શબ્દોમાં ભલે પડકાર છે પણ અંદરનો ભાવ અનુપમ છે. સાહિત્યશાસ્ત્રમાં આવી ઉક્તિઓને વક્રોક્તિ અલંકાર કહેવામાં આવે છે.
પ્રેમાનંદ સ્વામીનો ભાવપ્રવાહ જુદો છે. સ્વામીની ભક્તિ પડકારથી નહીં પરંતુ દીનતાથી ભરી છે.
સ્વામી કહે છે, ‘મહારાજ! મારા જેવો કોઈ દીન નથી અને તમારા જેવો કોઈ દીનબંધુ નથી. મારા જેવો કોઈ અનાથ નથી તમારા જેવો કોઈ નાથ નથી. હવે આ દીન બાળકને તરછેડશો નહીં.’
સ્વામીને તરછોડાઈ જવાની બીક શાથી લાગે છે? શ્રીહરિ ક્યારેક તરછોડે એવા નથી એવો સ્વામીને અચળ ભરોંસો છે છતાં આ સંતને પોતામાં અવગુણની ખાણને જોતા સંદેહ જાગે છે કે ‘ક્યાંક આ અવગુણસાગરને ગુણસાગર શ્રીહરિ તજી ન દે!’
પ્રેમાનંદ સ્વામી દીન બાળકની જેમ જીવી શકે છે પણ આપણી બીમારી અસાધ્ય છે કારણ કે આપણે બાપ બની શકીએ છીએ પણ નિર્મળ નિખાલસ બાળક બની શકતા નથી. પરિણામે શ્રીહરિ દ્વારા પ્રેમાનંદ સ્વામીનો હાથ પકડાય છે પણ આપણો હાથ પકડાતો નથી. સ્વામી અનાથ બની સનાથ બને છે. આપણે ભવાટવીમાં નોધારાં ભટકીએ છીએ!
નિજ જન જાણી સંભાલોગે પ્રીતમ, પ્રેમ સખી નિત જાય બલિહારી...
સ્વામી કહે છે, ‘હે પ્રીતમ! તમારા જાણીને સંભાળજો’.
પ્રેમાનંદ સ્વામીના આ શબ્દોમાં રાણી સિક્કાના નગદ રૂપીયા જેવો રણકાર છે. એટલે તો એમની પ્રાર્થનાનો સામેથી સ્વીકાર છે. આપણા શબ્દો ખોટા રૂપિયાની જેમ બોદા બોલે છે. એટલે ભગવાન આપણા શબ્દોનો ભરોંસો કરતા નથી.
આપણે ઘણી વાર મંદિરમાં બેસીને કીર્તન કરીએ છીએ : ‘તમે મારા થયા, હું તમારો થયો’ પણ ભગવાન આપણો ભરોંસો ન કરે કારણ કે એને ખબર છે કે ‘આ માણસ ઘરે જઈને એના પત્ની પાસે પણ આ જ કીર્તન કરવાનો છે. આવા ખોટા રૂપિયાને રાખીને શું કરવો?’
આપણી પ્રાર્થના ખોખલી છે, પ્રાણ વિનાની છે. પ્રેમાનંદ સ્વામીના શબ્દેશબ્દમાં સત્યનો રણકાર છે, સંપૂર્ણ સમર્પણ છે, એમની પ્રાર્થના પ્રાણવાન છે.
અહીં ‘સંભાલોગે’ શબ્દ છે. સ્વામી ‘સંભારજો’ એમ નહી પણ ‘સંભાળજો’ એમ કહે છે.
સંભાળવું એટલે ‘સાચવવું’ ‘જાળવવું’. સ્વામી કહેવા માગે છે, ‘હે મહારાજ! આ ભવસાગરનાં મોજાંઓ ભારે જોરદાર છે. અમારી નાવડી ક્યારે ડૂબી જાય? એનો કોઈ ભરોંસો નથી. અમે આ નાવડીનાં સુકાન હવે તમારા હાથમાં સોંપ્યાં છે. આ નાવડીના સઢ હવે તમારે સાચવવાના છે. કુશળ નાવિક કિશ્તીને સાચવીને કિનારે લઈ જાય એમ અમારી જીવનનૌકાને પાર ઉતારજો.’
અર્જુનના જીવનમાં શ્રેષ્ઠ સમજદારીપૂર્વકનું કાર્ય હોય તો એ કે એણે પોતાના રથની લગામ ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં સોંપી. તેમ પ્રેમાનંદ સ્વામીએ પણ પોતાની લગામ શ્રીહરિના હાથમાં સોંપી દીધી છે.
અહીં ‘સંભાલોગે’ કહેવા પાછળનો એક બીજો ભાવ છે ‘સંભાલોગે’ એટલે ‘નિભાવજો’.
નિભાવવું એટલે ગમે તેમ કરીને રોડવી લેવું.
સ્વામી એમ કહેવા માગે છે, ‘હે ભગવાન! અમે ગમે તેવા નકમા, કડવા તુંબડા જેવા, અવગુણથી ભરેલા હોઈએ પણ તમે અમને નભાવી લેજો. જો તમે નહીં નભાવો તો અમે પાર નહીં પડી શકીએ! માટે હે પ્રીતમ! અમારી સાથે પડ્યું પાનું નભાવી લેજો!’
તમે પ્રીતમ છો! જગતમાં પણ પરસ્પર પ્રેમ થાય ત્યારે એકબીજા ગમે તેવા હોય તોય નભાવી લ્યે છે. સજ્જન માણસો અગ્નિની સાક્ષીએ એક વાર એકબીજાના હાથ પકડે પછી ગમે તેવાં લૂલાં, લંગડાં, બાડા, બોબડાં થાય તોપણ એનો સાથ છોડતા નથી. જ્યારે તમે તો નિર્વ્યાજ પ્રેમ અને નિ:સ્વાર્થ કરુણાના સાગર છો. માટે અમને ‘નભાવી’ લેજો.
પ્રેમસખી નિત જાય બલિહારી...
કીર્તનમાં અવારનવાર ‘બલિહારી’ શબ્દ આવે છે. ક્યાંક ‘બલિ જાઉં’ પણ કહેવાય છે.
‘બલિ’નો અર્થ છે દેવપૂજાની સામગ્રી, જેના ઉપરથી ‘બલિદાન’ શબ્દ બન્યો છે. મૂળ તો ‘બલિદાન’ શબ્દ દાનવ ‘બલિ’એ કરેલા સર્વસ્વ સમર્પણ ઉપરથી આવ્યો છે.
આ શબ્દ અદ્ભુતછે. આ શબ્દમાં બલિમહારાજના સર્વસ્વ સમર્પણની સુગંધ ભરી છે.
સમર્પણની સામગ્રી લઈ આવે એને ‘બલિહારી’ કહેવાય.
પ્રેમાનંદ સ્વામી કહે છે, ‘હે મહારાજ! મારી પાસે સમર્પણની કોઈ સામગ્રી નથી! હું તમને શું સમર્પણ કરું?’ મારી પાસે જે કાંઈ તન-મન-ધનરૂપી છે એ આખરે તો તમારું જ છે પણ મૂર્ખાઈવશ મેં એને મારું માની લીધું હતું. આજ સુધી જે મારું માન્યું હતું તે આજે તમને અર્પણ કરું છું. ‘તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા.’
અહીં ‘નિત’ શબ્દ છે. નિત એટલે નિત્ય, કાયમ માટે. સ્વામીનો કહેવાનો મર્મ છે, ‘મારું આ સમર્પણ ક્ષણિક નથી. આજથી સદાને માટે હે ભગવાન, હું તમારો સેવક બનું છું. આજથી આ તન મન ઘનરૂપી સામગ્રી ઉપર મારો કોઈ અધિકાર રહેતો નથી.’
પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજીએ એક ગામમાં ભાગવતજીની કથા કરી. યજમાન ભારે લોભિયો હતો. એ રોજ આરતીમાં એક રૂપિયો મૂકતો અને પાછો લઈ લેતો. આમ એક રૂપીયામાં સાત દિવસ પૂરા કર્યા.
પુરાણી સ્વામી તો ભારે નિ:સ્પૃહી સંત હતા. બીજા કોઈ હોત તો અધવચ્ચેથી પોથી સંકેલી ચાલતા થયા હોત.
આપણે પણ ભગવાન પાસે આવા જ લોભિયાનો રોલ ભજવીએ છીએ. ધન્યવાદ તો ભગવાનને છે કે એ આપણાથી કંટાળતો નથી. એની પ્રેમની બંસરીના સૂર બંધ કરતો નથી.
પ્રેમાનંદ સ્વામીની વાત જુદી છે. એમનું સમર્પણ કાયમી છે, ટકાઉ છે. વાતવાતમાં તૂટી જાય તેવું નથી.
પ્રેમસખી નિત જાયે બલિહારી...
સ્વામી કહેવા માગે છે કે ‘હે હરિ! હું તો તારી સેવાની સામગ્રી એકઠી કરી તને સમર્પણ કરનારો સેવક છું.’ મારા માટે તો તારી મરજી એ જ હવે મારી મરજી. તને ગમે તે મને ગમે. તને ન ગમે એ મને ન ગમે. તારા સિવાય હવે ક્યાંય વૃત્તિ ચોટે એમ નથી.
પ્રેમગર્ભા શરણાગતિનું આ અદ્ભુતપદ છે. આપણા જીવનમાં આવી પ્રેમગર્ભા શરણાગતિ પ્રગટે એવી પ્રાર્થના સાથે પૂર્ણ કરીએ.