સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ૨/૪

સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
	મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સ્નેહ	...૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;
	જેવા મેં નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર	...૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
	તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર		...૩
બાજુ બેરખા રે, બાંયે કપૂરના શોભિત;
	કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત		...૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
	ચોરે ચિત્તને રે, હસતા કમળ નયણની કોર	...૫
હસતા હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ;
	રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ		...૬
અદ્‌ભુત ઉપમા રે, કહેતા શેષ ન પામે પાર;
	ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર		...૭
વાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
	અંગોઅંગમાં રે, જાણે ઊગિયા અગણિત સૂર	...૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
	પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ		...૯

 

મૂળ પદ

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

આજ મારે ઓરડે રે..... ૦૦-૦૦ સજની સાંભળો રે ....... ૦૬-૪૫ બોલ્યા શ્રી હરિ રે........ ૧૨-૩૭ વળી સૌ સાંભળો રે..... ૧૭-૫૯

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- પ્રેમસખી પ્રેમાનંદસ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ. જેમનું હૈયું હંમેશા હરિવર સાથે હેરતું, જેમની આંખોમાંથી અહર્નિશ વિરહ વિલાપનાં આંસુઓ સર્યા છે. જેઓના મુખમાંથી નિશદિન વિયોગાત્મક વાણી જ વરસી છે. જેમનું સારુંયે જીવન જગદીશની ઝંખનામાં જ ઝૂરતું હતું, એવા પ્રેમપંથના પ્રવાસી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના જીવન-કવનની કહાની ઘણી કરુણ અને ગર્ભિત છે. જેમ કાદવમાં જન્મેલું કમળ દેવશિરે ચડીને કૃતાર્થ બની જાય છે. તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા. આ સંત કવિના જન્મ સ્થળ, જન્મ સાલ કે માતા-પિતાનાં નામ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી જોવા મળતી નથી. પરંતુ ઘણાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એમના સમગ્ર જીવનને ત્રણ વિભાગમાં વહેંચી શકીએ. ૧. સ્થૂળ જીવનઃ- સં.૧૮૪૦ થી ૧૮૭૧ સુધી -૩૧વર્ષ ૨. આધ્યાત્મિક જીવનઃ- સં. ૧૮૭૧ થી સં. ૧૮૮૬ સુધી- ૧૫ વર્ષ. ૩. વિરહી જીવનઃ- સં. ૧૮૮૬ થી સં. ૧૯૧૧ સુધી- ૨૫ વર્ષ. કહેવાય છે કે જન્મતાંની સાથે જ ત્યજાયેલું આ પ્રેમ-પુષ્પ અમદાવાદ દરિયાખાનના ઘુમ્મટમાંથી કોઈ મુસ્લિમને મળ્યું. કોઈ કહે છે કે આ પુષ્પ વૈરાગીઓના ઝૂંડમાં ઊછરતું રહ્યું, હકીકત ગમે તે હોય પરંતુ ‘जन्मना जायते क्षुद्रः संस्कारात् द्विजः उच्यते I’ એ ન્યાયે એ કમળ જનમ્યું હતું કરુણાનિધાનના શરણે સમર્પિત થવા. અને બન્યું પણ એમ જ. સમય જતાં સ્વામી જ્ઞાનદાસજી દ્વારા સહજાનંદસ્વામીનું મિલન થયું. એટલું જ નહીં પરંતુ તેમની પૂર્ણકૃપાના પાત્ર બની પ્રેમાનંદ સ્વરૂપ પ્રદર્શિત થયું. પોતાના પ્રિતમના અંગે અંગ ઉપર પ્રેમ કરનાર પ્રેમાનંદસ્વામી શ્રીહરિનાં દર્શન વિના એક ઘડી પણ રહી શક્તા નહીં એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામીનાં જીવનની આ એક પ્રેમભીની અલૌલિક ઘટના છે. શ્રાવણ માસની અમાસની રાત્રીએ ઘોર અંધારું છવાઈ રહ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં કોઈ કોઈ વાર વીજળી ઝબકી જતી હતી. ઘેલાના ઘૂઘવટાની સાથે તાલ મિલાવી સારંગીના તાર ઉપર આંગળીઓ ફરી રહી છે. પ્રેમદીવાના પ્રેમાનંદનાં અંતરનાં ઊંડાણમાંથી ‘ક્યારે હવે દેખું હરિ હસતા મારા મંદિરિયામાં વસતા.’ તેમ જ ‘મને વ્હાલા વિરહ સતાવે રે નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ એવી પછાડ ઉપર પછાડ નીકળી રહી છે. જ્યારે ભક્તથી ન રહેવાય ત્યારે ભગવાન પણ અધીરા બને છે. મહારાજને શું મોહ લાગ્યો ? કીર્તનનો, ભાવનો કે પ્રેમાનંદ જેવા ભક્તનો ? અડધી રાતે નહીં દીવો, નહીં દીશા કે નહીં કોઈનો સંગ ! છતાં ક્યાં નીકળ્યા ? સૂરની શાને આગળ વધ્યા, પણેથી ઘૂમરડી ખાઈ આજીજી આવતી હતી કે, ‘પ્રેમાનંદના નાથને કોઈ મારી વિનંતી જઈ સંભળાવે રે , નથી રહેવાતું હવે નહી રહેવાતું’ આભનો સાગર જળ-જળ ભરેલો હતો. અંધારી રાત સમ-સમ કરતી ગગનની કોઈ ખીણમાં સરી પડતી હતી. તો આ બાજુ સારંગીના સથવારે સ્વામીનાં અંતરનો ગહેકેલો શોર સહજાનંદને ખેંચી રહ્યો હતો. પ્રેમસખીએ ગીત ઉપર ગીત ગાતાં-ગાતાં પથ્થર ફાટી જાય એવા કરુણભીના કંઠે કરુણ ગીત ઉપાડ્યું કે ‘ રહેતી નથી હૈયે ધીર વાલમ વિના’ ભક્ત ગાતા રહ્યા અને પ્રેમભીના પાતળિયા પલળતા રહ્યા. સમી સાંજના સાંભળી રહેલા સહજાનંદજી મુગ્ધ થતા હતા. અહો …! કેવું હેત અને કેવી પ્રીત ! અંતે વિરહની વાદલડી વરસતાં-વરસતાં આનંદમાં પરિણમી. અંતરનાં સાગરમાં કોણ જાણે કેવા આનંદની ભરતી આવી ! એકાએક કવિનું હૃદય પલટાઈ ગયું ! જાણે પ્રગટ પ્રભુ પોતાની ઝૂંપડીએ પધાર્યા છે. એવા ભાવનું વિશેષ કીર્તન ઉપાડ્યું, “ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ‘ કહેવાય છે કે પ્રેમભક્તિના એ પૂરમાં પ્રેમાનંદ સ્માધિસ્થ થઈ ગયા. એટલે તેમની પાસે પડેલા કલમ અને કાગળ હાથમાં લઈ અધૂરા રહેલા કીર્તનમાં પાછળનાં બે પદ શ્રીહરિએ પોતે જ લખ્યાં છે. રાતભર પ્રેમાનંદની પ્રેમગલીમાં વિહરતા વાલમજીએ અંતે પ્રેમસખીને ઢંઢોળ્યા. ‘ અરે પ્રભુ ! આપ ક્યારના અહીં આવ્યા છો?” “મધરાતની આગમનના ઊભા છીએ. તમને ક્યાં શુદ્ધ–બુદ્ધ હતી? તમે તો મારી મૂર્તિમાં મસ્ત હતા ને! વાહ ! પ્રેમાનંદ વાહ ! આજ તો હું તમારી પ્રેમ સેજમાં પોઢીને તૃપ્ત થયો છું. એટલે જ કદી અને ક્યારેય નહીં રચેલ છતાં તમારા અધૂરા કીર્તનને આજે મેં પૂર્ણ સ્વરૂપ આપ્યુ છે. આજ દિન સુધી કરેલ તમારા કાવ્ય મંદિર ઉપર આજે અમારા હાથે કળશ ચઢી ગયો છે.” પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.

વિવેચન

ભાવાર્થઃ- હે મારી સખીઓ ! તમે ધ્યાન દઈને સાંભળો. હું જે મૂર્તિની શોભાનું વર્ણન કરું છું એ મૂર્તિ કાંઈ સામાન્ય નથી. અરે મારી સૈયરો ! એ મૂર્તિને સંભારતા જ મુજને અતિ સ્નેહ કહેતાં પ્રેમ બંધાણો છે. II૧II મારા હૈયાના હાર જે-જે અલંકારો ધારણ કર્યા છે, તે મેં નીરખ્યા છે. તેનું હું પ્રેમથી વર્ણન કરું છું. ફૂલમાળા તો ઠીક પરંતુ બરાસ કપૂરના સુંદર હાર હૈયામાં હિલોળે છે. વળી, નવભાતી ફૂલના તોરા પાઘમાં ભાળી ભમરાઓ તે પર ગુંજાર કરી રહ્યા છે. બાજુ અને બેરખા કપુરના શોભે છે. કરુણાનિધાનનાં કાંડે કડાં પણ કપુરનાં છે. વણઅત્તરે અત્તરથીયે અધિક સુગંધ સર્વે અંગોમાંથી ઊઠે છે. નાથજીના નયનની કોર સૌના ચિત્તને ચોરી લે છે. II૨થી૫II હેતથી હસતા હસતા હસીલો આનંદ ઉપજાવે છે. શૃંગારાત્મક એ મૂર્તિની શોભા શેષ પણ કહી શક્તા નથી. વેણમાંથી વાત્સલ્ય અને નેણમાંથી કરુણા ભારોભાર નીતરે છે. અને અગણિત સૂર્ય જેટલો પ્રકાશ અંગોઅંગમાંથી નીકળે છે. સ્વામી કહે છે કે વાતવાતમાં બોલતા વાલમજીનાં અમૃત સમાન વેણથી એ વાલમજી ઉપર અતિશય વાલપ ઊપજે છે II૬થી૯II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
1