વળી સહુ સાંભળો રે, મારી વારતા પરમ અનૂપ૪/૪


વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;
	પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ	...૧
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
	તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ	...૨
સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;
	તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ	...૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
	પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર	...૪
સહુ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારાં નેમ;
	તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ	...૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;
	લટકાં હાથનાં રે, કરતા શોભે નટવર વેશ		...૬
નિજ જન ઉપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;
	જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ		...૭
શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;
	ઈશ્વર ઉદય થયા રે, કળિમાં કરવા જનનાં કાજ	...૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
	પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર		...૯
 

મૂળ પદ

આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

આજ મારે ઓરડે રે..... ૦૦-૦૦ સજની સાંભળો રે ....... ૦૬-૪૫ બોલ્યા શ્રી હરિ રે........ ૧૨-૩૭ વળી સૌ સાંભળો રે..... ૧૭-૫૯

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- પ્રેમસખી પ્રેમાનંદસ્વામી એટલે મૂર્તિમંત પ્રેમનું સ્વરૂપ. જેમનું હૈયું હંમેશા હરિવર સાથે હેરતું, જેમની આંખોમાંથી અહર્નિશ વિરહ વિલાપનાં આંસુઓ સર્યા છે. જેઓના મુખમાંથી નિશદિન વિયોગાત્મક વાણી જ વરસી છે. જેમનું સારુંયે જીવન જગદીશની ઝંખનામાં જ ઝૂરતું હતું, એવા પ્રેમપંથના પ્રવાસી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના જીવન-કવનની કહાની ઘણી કરુણ અને ગર્ભિત છે. જેમ કાદવમાં જન્મેલું કમળ દેવશિરે ચડીને કૃતાર્થ બની જાય છે. તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા. આ સંત ���વિના જન્મ સ્થળ, જન્મ સાલ કે માતા-પિતાનાં નામ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી જોવા મળતી નથી. પરંતુ ઘણાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એમના સમગ્ર જીવનને ત્રણ વિભાગમાં વહેંચી શકીએ. ૧. સ્થૂળ જીવનઃ- સં.૧૮૪૦ થી ૧૮૭૧ સુધી -૩૧વર્ષ ૨. આધ્યાત્મિક જીવનઃ- સં. ૧૮૭૧ થી સં. ૧૮૮૬ સુધી- ૧૫ વર્ષ. ૩. વિરહી જીવનઃ- સં. ૧૮૮૬ થી સં. ૧૯૧૧ સુધી- ૨૫ વર્ષ. કહેવાય છે કે જન્મતાંની સાથે જ ત્યજાયેલું આ પ્રેમ-પુષ્પ અમદાવાદ દરિયાખાનના ઘુમ્મટમાંથી કોઈ મુસ્લિમને મળ્યું. કોઈ કહે છે કે આ પુષ્પ વૈરાગીઓના ઝૂંડમાં ઊછરતું રહ્યું, હકીકત ગમે તે હોય પરંતુ ‘जन्मना जायते क्षुद्रः संस्कारात् द्विजः उच्यते I’ એ ન્યાયે એ કમળ જનમ્યું હતું કરુણાનિધાનના શરણે સમર્પિત થવા. અને બન્યું પણ એમ જ. સમય જતાં સ્વામી જ્ઞાનદાસજી દ્વારા સહજાનંદસ્વામીનું મિલન થયું. એટલું જ નહીં પરંતુ તેમની પૂર્ણકૃપાના પાત્ર બની પ્રેમાનંદ સ્વરૂપ પ્રદર્શિત થયું. પોતાના પ્રિતમના અંગે અંગ ઉપર પ્રેમ કરનાર પ્રેમાનંદસ્વામી શ્રીહરિનાં દર્શન વિના એક ઘડી પણ રહી શક્તા નહીં એવા પ્રણયઘેલા પ્રેમાનંદસ્વામીનાં જીવનની આ એક પ્રેમભીની અલૌલિક ઘટના છે. શ્રાવણ માસની અમાસની રાત્રીએ ઘોર અંધારું છવાઈ રહ્યું હતું. ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં કોઈ કોઈ વાર વીજળી ઝબકી જતી હતી. ઘેલાના ઘૂઘવટાની સાથે તાલ મિલાવી સારંગીના તાર ઉપર આંગળીઓ ફરી રહી છે. પ્રેમદીવાના પ્રેમાનંદનાં અંતરનાં ઊંડાણમાંથી ‘ક્યારે હવે દેખું હરિ હસતા મારા મંદિરિયામાં વસતા.’ તેમ જ ‘મને વ્હાલા વિરહ સતાવે રે નથી રહેવાતું હવે નથી રહેવાતું.’ એવી પછાડ ઉપર પછાડ નીકળી રહી છે. જ્યારે ભક્તથી ન રહેવાય ત્યારે ભગવાન પણ અધીરા બને છે. મહારાજને શું મોહ લાગ્યો ? કીર્તનનો, ભાવનો કે પ્રેમાનંદ જેવા ભક્તનો ? અડધી રાતે નહીં દીવો, નહીં દીશા કે નહીં કોઈનો સંગ ! છતાં ક્યાં નીકળ્યા ? સૂરની શાને આગળ વધ્યા, પણેથી ઘૂમરડી ખાઈ આજીજી આવતી હતી કે, ‘પ્રેમાનંદના નાથને કોઈ મારી વિનંતી જઈ સંભળાવે રે , નથી રહેવાતું હવે નહી રહેવાતું’ આભનો સાગર જળ-જળ ભરેલો હતો. અંધારી રાત સમ-સમ કરતી ગગનની કોઈ ખીણમાં સરી પડતી હતી. તો આ બાજુ સારંગીના સથવારે સ્વામીનાં અંતરનો ગહેકેલો શોર સહજાનંદને ખેંચી રહ્યો હતો. પ્રેમસખીએ ગીત ઉપર ગીત ગાતાં-ગાતાં પથ્થર ફાટી જાય એવા કરુણભીના કંઠે કરુણ ગીત ઉપાડ્યું કે ‘ રહેતી નથી હૈયે ધીર વાલમ વિના’ ભક્ત ગાતા રહ્યા અને પ્રેમભીના પાતળિયા પલળતા રહ્યા. સમી સાંજના સાંભળી રહેલા સહજાનંદજી મુગ્ધ થતા હતા. અહો …! કેવું હેત અને કેવી પ્રીત ! અંતે વિરહની વાદલડી વરસતાં-વરસતાં આનંદમાં પરિણમી. અંતરનાં સાગરમાં કોણ જાણે કેવા આનંદની ભરતી આવી ! એકાએક કવિનું હૃદય પલટાઈ ગયું ! જાણે પ્રગટ પ્રભુ પોતાની ઝૂંપડીએ પધાર્યા છે. એવા ભાવનું વિશેષ કીર્તન ઉપાડ્યું, “ આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ‘ કહેવાય છે કે પ્રેમભક્તિના એ પૂરમાં પ્રેમાનંદ સ્માધિસ્થ થઈ ગયા. એટલે તેમની પાસે પડેલા કલમ અને કાગળ હાથમાં લઈ અધૂરા રહેલા કીર્તનમાં પાછળનાં બે પદ શ્રીહરિએ પોતે જ લખ્યાં છે. રાતભર પ્રેમાનંદની પ્રેમગલીમાં વિહરતા વાલમજીએ અંતે પ્રેમસખીને ઢંઢોળ્યા. ‘ અરે પ્રભુ ! આપ ક્યારના અહીં આવ્યા છો?” “મધરાતની આગમનના ઊભા છીએ. તમને ક્યાં શુદ્ધ–બુદ્ધ હતી? તમે તો મારી મૂર્તિમાં મસ્ત હતા ને! વાહ ! પ્રેમાનંદ વાહ ! આજ તો હું તમારી પ્રેમ સેજમાં પોઢીને તૃપ્ત થયો છું. એટલે જ કદી અને ક્યારેય નહીં રચેલ છતાં તમારા અધૂરા કીર્તનને આજે મેં પૂર્ણ સ્વરૂપ આપ્યુ છે. આજ દિન સુધી કરેલ તમારા કાવ્ય મંદિર ઉપર આજે અમારા હાથે કળશ ચઢી ગયો છે.” પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.

વિવેચન

ભાવાર્થઃ- આજે લાડીલો લાલ લ્હેરમાં આવી વળી એક વિશેષ વાત અહીં લખે છે. જે પરમ અનુપમ છે, ખુદ શ્રીહરિનો પરમ સિદ્ધાંત છે. વળી, આપણા સૌના માટે પરમ હિતકારી અને પરમ સુખરૂપ છે. II૧II શ્રીહરિ કહે છે કે “હે ભક્તજનો ! જો મારા ધામમાં જવું હોય તો નિષ્કામ થઈ શુદ્ધભાવથી મને સેવજો.” અહીં શ્રીજી ધામમાં જવાનો અને ધામમાં પોતાની પાસે રહેવાનો ઉપાય અલગ અલગ બતાવે છે. ધામમાં જવા માટે નિષ્કામ ભાવની સેવા બતાવી છે. જ્યારે તેમની પાસે રહેવા માટે સારાં-નરસાં પંચવિષયની વાસનાથી રહિત થઈને બ્રહ્મરૂપદશા પ્રાપ્ત કરવાનું કહ્યું છે. ગુણાતીતાનંદસ્વામીએ પણ પ્ર.૨ વાત-૧૨ માં કહ્યું છે કે ‘મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.’ II૨-૩II આનંદની વાત તો એ છે કે કરુણાનિધાન કરુણા કરી પોતે જ કહે છે કે તમે જો મારા થયા હો તો મારા વિના કુટુંબ પરિવાર આદિક માયિક આકાર માત્રમાંથી આસક્તિ તોડી કેવળ મારામાં જ પ્રીતિ કરજો II૪II જો તમે મેં બાંધેલી મર્યાદા અને મેં આપેલા નિયમો દ્રઢ મન કરી પાળશો તો તમારી ઉપર ધર્મ ને ભક્તિ પ્રસન્ન થશે. અને સર્વ રીતે તમારું રક્ષણ કરશે. II૫II વાતવાતમાં સ્વાશ્રિત સંતો-ભક્તોને સુંદર રીતે ઉપાસનિક ઉપદેશ આપી દીધો. સોંઘા છોગાળા હાથાનાં સુંદર લટકાં કરતાં થકા પોતાના જનની ઉપર આનંદરૂપ અમૃતની વર્ષા કરી. જેમ અઢારભાર વનસ્પતિનું પોષણ ચંદ્રથી થાય છે, તેમ સ્વેષ્ટદેવ શ્રીહરિની કરુણાથી સર્વ ભક્તજનોના હૈયા પરિપૂર્ણ અને પ્રફુલ્લિત થાય છે. II૬-૭II જેમ તારાઓ મધ્યે ચંદ્ર શોભે છે. તેમ સંતરૂપી તારાઓ મધ્યે શ્રીહરિરૂપી ચંદ્ર શોભી રહ્યો છે. પ્રકાશી રહ્યો છે. આજ આ ઘોર કળિકાળમાં પોતાના જનનું આત્યંતિક કલ્યાણ કરવા અવતારી પુરુષ ઉદય થયા છે. II૮II પ્રેમાનંદસ્વામી કહે છે કે અવિનાશીનાં અંતરમાંથી સરી પડેલા અલૌલિક પદોને પ્રીતથી જે ગાશે, સાંભળશે તેની સર્વ રીતે સંભાળ સ્વામિનારાયણ પોતે જ લેશે. II૯II (આવા પદો ગાવાથી ગિરા પવિત્ર થશે. આવા પદો સાંભળવાથી કાન પવિત્ર થશે. આવા પદોને હૃદયમાં સંઘરવાથી મન પવિત્ર થશે. માટે આવાં પદો ગાવો-ગવડાઓ અને સાંભળો-સંભળાઓ) રહસ્યઃ- પ્રસ્તુત કીર્તનનાં પ્રથમ બે પદોમાં સંતકવિ પોતાના પ્રાણ પ્યારા પ્રગટપ્રભુને પોતાના પ્રેમરૂપી પલંગ પર પધારવા વિનંતી કરે છે. શ્રીહરિ વિના પોતાની પર્ણકુટિ સૂની લાગે છે. જીવન લૂખું લાગે છે. તેથી પ્રભુ પધરાવવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા કવિ તૈયાર છે. સ્વેષ્ટદેવ સાથેનો નિગૂઢ સ્નેહ-સંબંધ દર્શન વિના કવિને સતાવે છે. પોતાની પ્રેમભક્તિમાં જ મશગૂલ રહેનાર પ્રેમાનંદના પ્રેમ પલંગમાં પોઢવા પ્રભુ પણ પધારે છે. આખી રાત પ્રેમીનો પ્રેમ માણ્યા પછી પ્રસન્નતાની પરાકાષ્ઠાએ પહોંચેલા પ્રગટ પ્રભુને સ્વહસ્તે સ્વસ્વરૂપને પદરૂપે કાગળ ઉપર પ્રદર્શિત કર્યું. એમાં વળી મહત્વની બાબતો એ છે કે પ્રસ્તુત કીર્તન પાછળનાં બે પદો ખુદ શ્રીહરિએ રચેલાં હોવા છતાં નામાચરણ પોતાના પ્રિય પ્રેમાનંદનું જ રાખ્યું. પ્રેમભાવની પરાકાષ્ઠા, સચ્ચાઈ, સધનતા અને વાસ્તવિક્તા કેવું અદ્ભુત સર્જન કરી આપે છે. તેનાં આ પદો સાક્ષી છે. પદનો ઉપાડ ભાવાત્મક છે. ઢાળ ગરબી છે. ગેયતા હલકદાર છે. લય મધ્યલય છે. અને તાલ કહરવા છે. શબ્દો ભાવસૃષ્ટિમાં રાચે છે. વળી, દરેક શબ્દોનો અર્થ ગંભીર, માર્મિક અને તત્વજ્ઞાન સભર છે. એમ અનેક શુભ સંયોગથી ચારેય પદો અતિ સુંદર અને પ્રસાદીભૂત છે. જેથી નિશદિન ગાવા લાયક છે. અને જીવનભર આ ચારેય પદોને પ્રતિદિન ગાનાર ભક્તને શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન જરૂર થાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
1