તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે ૧/૪

તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે...ટેક.
ચલત મરોરે હસી ચિત્ત ચોરે, બસ કર લિની સબ વ્રજનાર-મન૦ ૧
શિર જરકસી ચીરા પેરે પટપીરા, તેરે ઉરબીચ મોતિયુંદા હાર-મન૦ ૨
નંદદે સલોના જાને કછુ ટોના, મેરો મન બસ કીનો મોરે યાર-મન૦ ૩
પ્રેમાનંદ હરિકૃષ્ણ છબી તેરી, નીત રાખત ઉર બીચ ધાર-મન૦ ૪
 

મૂળ પદ

તેરી સાંવરી સુરત છટાદાર, મનહર પ્રાણ હરે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

તેરી સાંવરી સુરત છટાદાર(૨૮-૦૫) 

ઉત્પત્તિ

ધરમપુરના રાજરાણી કુશળકુંવરબાએ તેમના દીવાન અને તેના પત્‍નીને અઢળક ભેટ સોગાદો અને મોટા રસાલા સાથે શ્રીજીમહારાજને શિરપાવ આપવા માટે ગુજરાતમાં મોકલ્‍યા હતા. એ વખતે શ્રીહરિ ઘોડાસરના રાજાના આમંત્રણને માન આપીને તેમના મહેલમાં મહેમાન બન્‍યા હતા. તેથી ધરમપુરનો રસાલો પણ મહારાજને મળવા માટે ઘોડાસર પહોંચ્‍યો. દીવાન અને તેના પત્‍નીએ શ્રીજીમહારાજનું ષોડશોપચારે પૂજન કરી મહારાણીએ મોકલેલ કિંમતી નજરાણું ભેટ ધર્યું. મહારાજે મંદ મંદ મુસ્‍કાન સાથે પોતાની પ્રસન્‍નતા દર્શાવી. એ વખતે શ્રી સહજાનંદ સ્‍વામીની સાંવરી સુરત અને છટાદાર વ્‍યકિતત્‍વ નિરખીને દીવાન પત્‍નીનું મન મહારાજમાં લુબ્‍ધ થઈ ગયું. ભીને વાન ભગવાનની મોહિની મૂરત એ કામિનીના કોમળ કાળજાને કોરી ગઈ. એને થયું: વાહ, આવું મોહક રૂપ, આવું વાકચાતુર્ય, આવી છટાદાર ચાલ.... જિંદગીમાં કયારેય કોઈના જોયા નથી, રસાલાના ઉતારે પાછા આવ્‍યા પછી પણ એ વનિતાનું ચંચળ મન વારંવાર મહારાજને મળવા માટે ઝંખી રહયું. પોતાની ઇચ્‍છાપૂર્તિ માટે તેણે યુકિત કરીને દીવાન સાથે મહારાજને પોતાના ઉતારે ભોજન માટે પધારવા નિમંત્રણ મોકલ્‍યું. દીવાન પત્‍નીને પોતાના રૂપ અને ચાતુર્યનો ગર્વ હતો, તેથી અજ્ઞાનવશ એને મહારાજને વશ કરવાના કોડ જાગ્‍યા. શ્રીજીમહારાજ તો અંતર્યામી હતા. દીવાન પત્‍નીનો પડકાર મનોમન ઝીલી લેતાં તેમણે તેના નિમંત્રણનો સહર્ષ સ્‍વીકાર કર્યો. બીજે દિવસે ભોજન વેળાએ પાલખીમાં બિરાજીને મહારાજ દીવાનના ઉતારે પધાર્યા. દીવાન પત્‍નીએ જાતે જ શ્રીહરિ માટે છપ્‍પનભોગ તૈયાર કર્યા હતા. કલાત્‍મક બાજોઠ ઉપર મશરૂની ગાદી બિછાવી તેની ઉપર શ્રીજીમહારાજને બિરાજમાન કરી સોનાના થાળમાં વિવિધ વ્‍યંજનો પિરસી દીવાન પત્‍ની સોળે શણગાર સજીને સામે બેઠી. પોતાના નયન કટાક્ષ, ભાવ-ભંગિમા અને વાક્‍ચાતુર્ય દ્વારા મહારાજને પ્રભાવિત કરી તેમના ભગવાનપણાની એ કસોટી કરવા માગતી હતી. તેણે મનમાં ધારેલું કે જો આ સલુણા સહજાનંદ ભગવાન કહેવાય છે, તો એ જમવાની કળામાં પણ પારંગત હોવા જોઈએ. દીવાન પત્‍નીએ અતિશય ચતુરાઈથી યુકિતપૂર્વક થાળ પિરસ્‍યો હતો. શ્રીજીમહારાજ પણ એવી કુશળતાથી જમવા લાગ્‍યા કે નખથી ઉપરની આંગળીઓ બગડે નહીં અને એક પછી એક વાનગી ગ્રહણ કરી માપસરનો ગ્રાસ મુખમાં આરોગે. શ્રીજીમહારાજનું ભોજન કરવામાં આવું અદભુત ચાતુર્ય નિહાળીને એ ચતુરા દિગ્‍મૂઢ થઈ ગઈ. જેને પોતે પ્રભાવિત કરવા નીકળી હતી તેનાથી જ પોતે પ્રભાવિત થઈ ગઈ. ચંચળ નયને તે મહારાજના મુખારવિંદની લાવણ્‍યમયી કાંતિનું રસપાન કરતી રહી, પરંતુ ભગવાનની નિર્ગુણ રૂપમાધુરીથી નિષ્‍કામ થવાને બદલે તે દેહાભિમાની માનુની પ્રભુના રસિકરૂપથી મોહિત થવાથી કામદેવે તેના અંતરમાં પ્રવેશ કર્યો. અત્‍યારે તેને મન સહજાનંદ સ્‍વામી, પુરુષોત્તમ નારાયણ નહીં, પણ સર્વોત્તમ પુરુષ માત્ર જ હતા. પરિણામે તે મહારાજને પોતાના સૌંદર્ય પ્રતિ આકર્ષવા વિવિધ ભાવ ભંગિની દ્વારા પોતાનો રૂપવિલાસ પ્રગટ કરવા લાગી. પરંતુ એ તુચ્‍છ બુદ્ધિની લલના કયાં જાણતી હતી કે આજે એની સામે માત્ર કોઈ પ્રભાવશાળી પુરુષ જ નહીં, મહારાજાધિરાજ અનંત કોટિ બ્રહ્માંડનાયક પરાત્પર પરબ્રહ્મ સ્વયં બિરાજમાન છે. શ્રીહરિએ તેના અંતરના મલિન ભાવોને પામી જઈને તરત જ ઉલટી કરીને એનું સઘળું અન્ન ઓકી કાઢયું. દીવાન પત્‍ની આ જોઈ એકદમ ડઘાઈ ગઈ. એની બધી આશાઓં અરમાનો પત્તાના મહેલની જેમ તૂટી પડયા. છતાં પણ એના અંતરમાં જન્‍મેલો મોહજવર નિઃશેષપણે હજી નાબૂદ નહોતો થયો. ઘોડાસરથી શ્રીજીમહારાજ ડભાણ પધાર્યા અને ડભાણમાં મહાયજ્ઞ સંપન્‍ન કરી ત્‍યાંથી અમદાવાદ સીધાવ્‍યા. ત્‍યારે દીવાન પત્‍ની પણ પોતાના પતિ સાથે અમદાવાદ પહોંચી. યોગાનુયોગે એ વેળા અમદાવાદમાં સાંખ્‍યયોગી બહેનોએ મહારાજ અને સંતોને રસોઈ આપી હતી. શ્રીજીમહારાજ થાળ જમ્‍યા પછી બહેનોની પંકિતમાં પિસરવા પધાર્યા. એ વખતે મહારાજે સુંદર જરિયાન વસ્‍ત્રો પહેર્યા હતાં. માથે જરકસી સોનેરી પાઘ અને કંઠે મોતીની માળાઓ ધારણ કરી હતી. શ્રીહરિના કાનમાં કલાત્‍મક મકરાકાર કુંડળો શોભી રહયાં હતા. મહારાજની મધુરી મુસ્‍કાનથી એમના ગાલે પડતા ખંજનમાં સૌનું ચિત્ત ચોંટી જતું હતુ. બહેનોની પંકિતમાં જમવા માટે ધરમપુરના દીવાનની પત્‍ની પણ બેઠી હતી. મહારાજની મોહક અદાઓને એ રમણી રસિક નજરે નિરખી રહી હતી. એકાએક શ્રીજીમહારાજે તેના તરફ સહજ નજરે જોયું અને ચાર આંખો એક થતાં જ અદ્‍ભુત ચમત્‍કાર સર્જા‍યો. મહારાજના નેત્રોમાંથી વહેતી સહસ્‍ત્ર અમીધારાઓમાં દીવાન પત્‍નીની સર્વ વૃતિઓ તદાકાર થઈ ગઈ. જટાજૂટ શંકરના ત્રિનેત્રમાંથી નીકળેલી અગનવર્ષાએ જેમ અનંગને બાળીને ભસ્‍મીભૂત કરી નાંખ્‍યો હતો, તેમ આજે શ્રીહરિના પ્રેમાળ નયન કટાક્ષોમાંથી વર્ષેલા દિવ્‍ય પ્રેમે એ અબળાના અંતરને અજવાળી હરિરસમાં રસલીન કરી દીધું. સાથે સાથે સર્વ સાંખ્‍યયોગી બહેનોની વૃતિપણ મહારાજની મૂર્તિમાં એકાકાર થઈ ગઈ. મહારાજે પંગતમાં પિરસી દીધું પણ કોઈની સૂરત ભોજનમાં રહી નહોતી. સલુણા સહજાનંદની સાંવરી સુરતની રસિક રૂપમાધુરીનો કિંચિત પણ રસાસ્‍વાદ કર્યા પછી હવે આ લોકના છપ્‍પનભોગ પણ એ અબળાઓ માટે આકરા થઈ પડયા, તેથી કોઈ કાંઈ જ જમી ન શકયું. પ્રભુએ આજે એક અલ્‍પજીવના કલ્‍યાણ અર્થે અનેકને પોતાની અલૌકિક મૂર્તિનુંનું મહાદાન દઈ દીધું. આ મહાપર્વ પ્રસંગે પ્રેમસખી પ્રેમાનંદ સ્‍વામી હવેલીની ઉંચી અટારીએ ઉભા ઉભા મહારાજની આ દિવ્‍યલીલાનું રસપાન કરી રહયા હતા. એમનું કવિહદય મહારાજનું મનભાવન રૂપમાધુર્ય નિરખીને તત્‍કાળ ગાઈ ઉઠયું. 'હાં રે તેરી સાંવરી સુરત છટાદાર.... મન હરે પ્રાણ હરે.... આખું ય વાતાવરણ ભકિતરસથી તરબોળ હતું. ભાવનાની રસસમાધિમાં આજે નારીભકતોનો સમગ્ર સમુદાય પરાત્ર પરબ્રહ્મના દિવ્‍યાતિદિવ્‍ય સ્‍વરૂપસુખમાં રસલીન બન્‍યો હતો. આખો ય માહોલ આલૌકિક આનંદની પરાકાષ્ઠાએ પહોંચ્‍યો હતો, ત્‍યારે કોઈ પુરુષ નહોતું કે કોઈ સ્‍ત્રી નહોતું. બધાં જ પુરુષોત્તમ બનીને મહારાજની મૂર્તિમાં મગ્ન બન્‍યા હતા. એજ દિવસે રાત્રિ સભામાં પ્રેમસખીએ ઠુમરી રાગમાં આલાપન કરીને આ પદ ગાયું ત્‍યારે શ્રીહરિએ અત્‍યંત પ્રસન્‍ન થઈને એમ વર દીધો કે આ પદનું શ્રદ્ધાપૂર્વક ગાન કરનારનું અંતર તત્‍કારળ નિર્વાસનિક થશે.

વિવેચન

આસ્‍વાદઃ- ભારોભાર ભકિતશૃંગારથી ભરેલી આ કવિતા પ્રેમસખી પ્રેમાનંદની અનેક શ્રેષ્ઠ રચનાઓ પૈકીની એક છે. વ્રજભાષાના અષ્‍ટછાપ કવિઓની સીધી અસર અહીં વર્તાય છે. પોતાના ઇષ્‍ટ આરાઘ્‍યના નિત્‍ય નવીન સૌંદર્યના સુખદ અને મંદમંદ પરિવર્તનોમાં ચિત્તને પરોવી રાખવું, એની મધુસ્મૃતિ અને સુખાનુભાવોમાં મનને રસલીન રાખવું. મિલનપ્રાપ્‍તિના સુખનો ધીરે ધીરે આસ્‍વાદ કરવો અને હદયમાં ઉદભવતા સૂક્ષ્મ પ્રણય સંવેદનાને ભાવુકતાથી પ્રગટ કરવા એ જ ભકિતશૃંગારરસ છે. કાવ્‍યનો ટેક ચિત્તાર્ષક છે. કવિ પોતાના સ્‍વેષ્‍ટ શ્રી સહજાનંદજીને ઉદેશીને જ ઉપાલંભના સૂરમાં કહે છે- 'તેરી સાંવરી સુરત છટાદાર... મન હરે પ્રાન હરે...' શું કરીએ? તારું આ અલૌકિક રૂપ અમારા માત્ર મન જ નહીં, પ્રાણ પણ હરી લે એવું અદભુત છે. પ્રેમસખી ગોપીભાવે પ્રિયતમ પાતળિયા સાથે સ્‍વગત સંવાદ સાધે છે. સલુણા સહજાનંદની સાંવરી સુરત અને છટાદાર વ્‍યકિતત્‍વ કવિના કોમળ કાળજાને કોરી જાય છે. બીજા અંતરામાં કવિ કહે છે- ચલત મેરો રે હસી ચિત્ત ચોરે, હાં રે બસ કર લીની સબ બ્રજનાર. પૂર્વા‍પર પ્રસંગના સંદર્ભમાં કવિ કહે છે કે પ્રભુ જયારે પંગતમાં હસીને પીરસવા આવ્‍યા ત્‍યારે જમવા બેઠેલી બધી જ નારીઓના ચિત્તને મહારાજની એક મુસ્‍કાને પોતાના વશમાં કરી લીધાં. આ કોઈ દંતકથા નથી, નક્કર હકીકતરૂપ ઐતિહાસિક ઘટના છે. આ પ્રસંગને ઉલ્‍લેખીને સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્‍વામી તેમની વાતોમાં કહે છેઃ 'એક જ સ્‍ત્રીની વાસનાનો નાશ કરવા વાસ્‍તે શ્રીજીમહારાજના સંબંધે બધી જ સ્‍ત્રીઓનો કામ બળી ગયો અને એ સર્વે પુરુષમાત્રના દેહની ગંધ આવે ત્‍યારે તરત જ ઉલટી થઈ જાય એવી અક્ષરધામના મુકતોની પંકિતના પદપર આરૂઢ થઈ ગઈ.' ત્રીજા અંતરામાં રસરાજ શૃંગારનું રસિક નિરૂપણ રસેશ પરમાત્‍મા પ્રત્‍યે કરતાં કવિ ગાય છેઃ 'શિર જરકસી ચીરા, પહેરે પટ પીરા. હાં રે તેરે ઉર બીચ મોતીયુંદા હાર.' પિયુએ માથે જરકસી ફેંટો બાંધી કમર પર કસીને દુપટો પહેર્યો છે. એના ગળામાં મોતીઓની માળાઓ શોભે છે. કવિએ 'મોતીયુંદા- શબ્‍દમાં પંજાબી ષષ્‍ટી વિભકિતનો 'દા' પ્રત્‍યય વાપરીને કમાલ કરી છે. પ્રેમસખીમાં રહેલો ગોપીભાવ હવે વધુ પ્રગલ્‍ભપણે મુખરિત થાય છે. મધુર ઉપાલંભ આપતા પ્રેમાનંદ પ્રાણેશ્વર પ્રભુને કહે છેઃ ધર્મકુંવર તમે જરૂર કોઈ જાદુટોના જાણતા લાગો છો, નહીં તો એક સાથે આટલી બધી લલનાઓ શી રીતે તમારી માધુરી મૂરતમાં મગ્ન થઈ જાય? અરે... બીજાની વાત તો છોડ..... યાર, મારા મીત... તેં તો મારું જ મન તારા સ્‍વરૂપમાં એવું તો વશ કરી રાખ્‍યું છે કે બસ રાત દિવસ તારા સિવાય મને કાંઈ સૂઝતું જ નથી. પ્રેમસખીનો પ્રેમાલાપ હવે એની પરાકાષ્ઠાએ પહોંચે છે. અંતિમ અંતરામાં કવિ પોતાના પ્રેમનો પ્રામાણિક એકરાર કરતા કહે છેઃ હે હરિકૃષ્ણ! હું મારા અંતરમાં અખંડ તારી મૂર્તિને તારા સ્‍વરૂપને ધારી રાખું છું, કારણ કે તારી છટાદાર મૂર્તિ મારા હૈયામાં સોંસરી ઉતરી ગઈ છે. ભકત અને ભગવાન વચ્‍ચેનો ભાવાત્‍મક સંબંધ પ્રેમના મધુર માઘ્‍યમ દ્વારા કવિએ અહીં સિઘ્‍ધ કરી બતાવ્‍યો છે. રાગ ઠુમરીમાં એની બંદિશ કાવ્‍યના ભાવ અને કથ્‍યને વધુ સચોટ અને પ્રાસાદિક બનાવે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અમૃત વરસ્યા મેહ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ અને જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નેહ નિભાવના
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0
 
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0