રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું ૧/૪

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું...ટેક.
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાળી;
		છે વરવા જેવા એક વનમાળી...રે સગપણ૦ ૧
રે સ્થિર નહિ આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા છોડી;
		મેં જગના જીવન સાથે જોડી...રે સગપણ૦ ૨
રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પરઘેર પાણી શું ભરીએ;
		વરીએ તો નટવરને વરીએ...રે સગપણ૦ ૩
રે ભૂધર ભેટયા ભય ભાગ્યો, રે સહુ સાથે તોડયો ધાગો;
		એ રસિક રંગીલાથી રંગ લાગ્યો...રે સગપણ૦ ૪
રે એવું જાણીને સગપણ કીધું, રે મેણું તો શિર ઉપર લીધું;
		બ્રહ્માનંદનું કારજ સીધું...રે સગપણ૦ ૫
 

મૂળ પદ

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

રાજકવિ લાડુદાનજીએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરતાં જ ધન્યતા અનુભવી અને એ સાથે જ એમનો હૃદયપલટો થઇ ગયો. રાજવી ઠાઠમાઠ છોડીને કવિએ ભગવી કંથા‌ ધારણ કરી. એમની સાથે આવેલ એમનાં મામાને વતનમાં પાછા મોકલી પોતે શ્રીજીમહારાજના સાનિધ્યમાં ત્યાંજ રોકાયા. મામાએ ઘેર પહોંચી લાદુદાનના પિતા શંભુદાનજી ને સમાચાર આપ્યા કે લાડુદાનને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી છે. આ સાંભળી એમની મા લાલુબાને તો વજ્રાઘાત થયો. લાડુદાનજીનો વિવાહ ગઢવી સ્વરૂપદાનની ખીમબાઈ અને મોજબાઈ નામની બે કન્યાઓ સાથે થયેલો.*( ગઢવી સ્વરૂપદાનજીના પત્નીએ લાડુદાનાજીનાં માતૃશ્રી લાલુબાને વચન આપ્યું કે ‘ મારે પુત્રી થશે તો તમારા પુત્ર સાથે પરણાવીશ.’ એ વચન પ્રમાણે જોડિયા બહેનો જન્મતાં તે બંનેનો વિવાહ લાડુદાનજી સાથે નક્કી થયો હતો.) એ બે કોડવંતી કન્યાઓ પણ વ્યથિત થઇ ગઈ. એમનાં સમાજમાં ડાહ્યા ગણાતા (?) કેટલાક માણસોએ શંભુદાનને સમજાવ્યું: “લાડુ તો હજી કાચી જુવાનીમાં છે તેથી વેગમાં બોલાય ગયું હશે. તમે ત્યાં કન્યાઓને લઈ જઈ એને સમજાવો.પાછા સંસારમાં જોડાઈ જશે.” શંભુદાનજીને આ વાત ગમી તેથી કટુંબકબીલા સાથે તેઓ ગઢપુર પહોંચ્યા. એભલબાપુએ સર્વેનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્યાં સહજાનાદજી સાથે શંભુદાનજીનો મેળાપ થયો. શંભુદાનજીએ પોતાની સર્વ હકીકત કહી, લાડુને મળવાની ઈચ્છા પ્રદર્શિત કરી. શ્રીહરિની સંમતિ મળતાં શંભુદાનજી લાડુદાનને મળ્યા. લાલુબા તથા બંને કન્યાઓની સ્થિતિની વાત કરી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઈશ્વરસ્મરણ કરી મોક્ષ પ્રાપ્ત થઇ શકે છે તેમ પણ સમજાવ્યું. લાડુદાનમાંથી બ્રહ્માનંદ બનેલા એ સંતે આ બધું શાંતિથી સાંભળ્યા પછી પિતાને વિવેકપૂર્ણ વાતો કરી સમજાવ્યું: ભગવાન પ્રત્યક્ષ મળ્યા પછી જન્મ વૃથા ગુમાવવો એ નરકના કુંડમાં જાણી જોઇને પડવા જેવું છે. મારી આશા હવે રાખશો નહિ. ભગવાને તમને બીજો પુત્ર અર્જુનદાસ આપ્યો છે અને આછુબા દીકરી પણ દીધી છે, એ બંનેને ભગવાનની ભેટ માનીને ઉછેરો અને આ પ્રગટ પ્રભુનો આશરો કરી જન્મ સુફળ કરી લો.“ બ્રહ્માનંદને મળ્યા બાદ શંભુદાનને લાગ્યું કે હવે લાડુની આશા રાખવી વ્યર્થ છે. તો ‘ બ્રહ્માનંદ’ માં વિલીન થઇ ગયો છે. એ જ દિવસે રાત્રિ સભામાં સર્વ સગાંસંબંધીઓની સામે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં પોતાના હ્રદયના ભાવ વહેતા મૂક્યા: ‘ રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું રે . રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાળી; છે વરવા જેવા હરી લે જાણી રે .’ એમ ચાર પદ ત્યાજ જોડ્યાં ને પોતાની મન:સ્થિતિ શી છે તે સામજાવતા ગયા. આ પદ સાંભળી લાલુબાને તથા ખીમબાઈ –મોજબાઈ એ બને કન્યાઓને પણ ખાતરી થઇ ગઈ કે લાડુદાન હવે સંસારી જીવ રહ્યા નથી. એમાંય ત્રીજા પદમાંની બ્રહ્માનંદની ખુમારી ને દ્રઢતા જોઇને તો એમને એમ લાગ્યા કે આ સંતના મારગમાં વિઘ્ન નાખી માથે પાપ નથી વહોરવું . રે શિર સાટે હરિવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે, રે રંગસહિત હરિને રટીએ રે હાક વાગે પાછા નવ હટીએ , બ્રહાનંદ કહે ત્યાં મરી મટીએ રે.’ લાલુબાનું માત્રુ હૃદય પુત્ર વિયોગે અતિ વિહ્‌વળ હતું. ચોધાર આંસુએ તેમને રડતાં જોઇને મહારાજે તેમને સાંત્વન આપતાં કહ્યું: “બા તમે તમારા દીકરાની જરાય ચિંતા કરશો નહિ. અમે તમારા પુત્રને માતાતુલ્ય વાત્સલ્ય સુખ આપીશું. એમને અહીં જરા ય તમારી ખોટ નહિ વર્તવા દઈએ.” આ સાંભળી માની આંખનાં આંસુ સુકાયાં ને સર્વેને શાંતિ થઇ. શ્રીહરિના આશીર્વાદ લઈ સૌ રવાના થયા. ઉત્પત્તિઃ- ૨ ઉત્પત્તિઃ- ચાર શક્તિ, ચૌદ વિદ્યા અને ચોસઠકળા સિદ્ધહસ્ત કરી અનેક પૃથ્વી સમ્રાટનાં માન-પાનને પામી ફક્ત સ્વામિનારાયનના પ્રથમ દર્શને જ ફકીરી લઈ લીધી એવા મહામુક્ત સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીના જીવનની આ એક મહત્ત્વની ઘટના છે. ભણેલ-ગણેલ સર્વ શક્તિસભર યુવાનીના આરંભે પહોંચેલ એકનો એક લાડકવાયો લાડુદાન સ્વામિનારાયણનો સાધુ થઈ ગયો છે. એવી જાણ ખાણ ગામમાં થતાં સ્વાર્થી સંબંધીઓમાં ખળભળાટ મચી ગયો. સ્વાર્થના સંયોગે વિયોગનાં વાદળાં વરસી પડ્યાં. માતા-પિતા, વાગ્દાન થયેલ બન્ને કન્યાઓ તથા મામા આદિક સર્વે કુટુંબીજનો લાડુદાનને લલચાવી ઘરે લઈ જવા માટે સૌ ગઢપુર આવ્યા. સ્વવિચાર શ્રીજીને નિવેદન કર્યો. કસોટીની કડાઈમાં કકડાવી વધુ મક્કમ કરવા શ્રીહરિએ બ્રહ્માનંદસ્વામીને સ્વકુટુંબીજનોને મળવાની આજ્ઞા કરી. એટલે મુક્તાનંદસ્વામીને સાથે લઈ બ્રહ્માનંદસ્વામી પૂર્વાશ્રમના સંબંધીઓને ઉતારે જઈ મળ્યા. ‘સ્વાર્થનાં સૌસગા-સંબંધી.” એ ન્યાયે સ્વામીના માત-પિતાએ પણ મોકાન મૂકી કે, ‘દીકરા! તારા વિનાના અમારા દિવસો ઝેર થઈ જશે. અમારી આશા લાકડી ભાંગી જતાં અમો અચેતન થયાં છીએ, બેટા ! માટે આ વૃદ્ધ મા-બાપ ઉપર દયા કરીને અમારી સાથે પાછો ઘરે આવ તો સારું, લાડુદાન !” આટલું બોલતા બોલતા મા-બાપ ચોધાર આંસુએ રડી પડ્યાં છે. પરિસ્થિતિ ગંભીર બની ગઈ. છતા બ્રહ્માનંદસ્વામી તો અચળ મને મૌન ધરીને બેઠા છે. આ જોઈ મામા લાલ-પીળા થઈ તાડૂકી ઊઠ્યા કે “સંભળાય છે તમને આ વૃદ્ધ માતા-પિતાની વેદના ! જિંદગીની અર્ધી મંજિલે મૂકીને, અળગો થાય એ યુવાન દિકરાને શું કહેવુ ? આ તારા જનક અને જનનીની સામે મીટ માંડીને જો તો ખરો ! બાવો થવાના તારા સમાચાર સાંભળ્યા છે તે દિવસથી તેણે ધરાઈને ધાન ખાધું નથી. રોઈ રોઈને આંખો લાલ ચોળ થઈ ગઈ છે. તું જતાં એમનું જીવન ઝેર થઈ ગયું છે, લાડુદાન !’ પરિસ્થિતિ વધુને વધુ બેકાબૂ બનતી જાય છે. એક પછી એક સંબંધીઓ સ્વામીને સબોડી રહ્યાં છે. માતા લાલુબાઈએ ધ્રુસકા ભરતા-ભરતા કહ્યું કે ‘બેટા, લાડુ ! અમારું દુઃખ તો અમે સહન કરી લેશું પણ ભાઈ, જીવન જીવવાનું હજુ જેને બાકી છે એવી આ બન્ને કન્યાઓનું તારી સાથે સગપણ થયું છે, એનું શું ?’ સગપણ શબ્દ સાંભળતાં સ્વામીને બોલવાનો મોકો મળી ગયો. પિતાશ્રીને ઉદ્દેશી સ્વામીશ્રી કહેવા લાગ્યા કે સાંભળો, ‘સગપણ ક્યું સાચું ? આ ? કે તે ?’ એમ કહી શીઘ્રશક્તિના સહારે પ્રસ્તુત કીર્તન બુલંદ અવાજે બ્રહ્માનંદસ્વામી ગાતા ગયા અને સમજાવતા ગયા.

વિવેચન

આસ્વાદ : સ્વામી સહજાનંદ મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ કવિના સ્વજનો –માતાપિતા , મામા , વાગ્દ્‌ત્તા વગેરે રાજસ્થાનથી ગઢડા તેમને ગૃહસ્થાશ્રમમાં પાછા લઈ જવા આવ્યા, ત્યારે કવિએ ઉત્તરમાં આ કાવ્ય દ્વારા પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો હતો. સંસારના સબંધો ક્ષણભંગુર છે , ઈશ્વર સાથેનો સંબંધ સનાતન છે. આ પ્રકારની પ્રતીતિને કવિએ પ્રાસાદિક કાવ્યમાં ચોટદાર અને ભાવાત્મક અભિવ્યક્તિ અર્પી છે. ‘રે’ શબ્દથી બહુધા આ પદની પંક્તિઓ આરંભાઈ છે ; આ ‘રે’ શબ્દથી જે વીરવૃતિ કવિને પ્રગટ કરવી છે તેમાં બળ મળ્યું છે એમ લાગે છે. કવિને જગતના સબંધો મિથ્યા જણાયા તેથી સંસારિક પ્રીતિમાં મન લગાડ્યું જ નથી. જીવન અલ્પકાલીન છે અને સ્થિર પણ નથી, તેથી સ્થિર અને સનાતન એવા પ્રભુની સાથે કવિ પ્રીત જોડે છે . સંસારીને વરીને એના ઘરનું પાણી ભરવું તેના કરતાં તો પ્રભુનું ઘર – તેના ઘરનું પાણી ભરવું – એને જ વરવું . ‘રે’ વરીએ તો હરિવરને વરીએ ‘ એવો દ્રઢ નિર્ણય કવિને થઇ ગયો છે. ભૂધર – પૃથ્વીને ધારણ કરનાર જ ભેટી ગયા. એટલે સંસારના બધાં ભય ભાગી ગયા . ‘રે’ સહુ સાથે તોડ્યો ધાગો ‘ સંસારના સર્વ સંબંધ તંતુઓ કવીએ એક ઝાટકે જ કાપીને ફેંકી દીધા છે. શા માટે? કારણ કે કવિને એ રસિકવરની રૂપરસીક્તાની મોહિની અસર કરી ગઈ છે. બ્રહ્માનંદ અંતે કહે છે કે,આમ સમજીને જ મેં પ્રભુ સાથે પ્રીતિ બાંધી છે , ઘનશ્યામ સાથે સગપણ બાંધ્યું છે. જગતના જીવોના મેં‌ણા પણ એટલે જ ખાધા છે, પણ અંતે તો મારું કાર્ય સિદ્ધ થઇ ગયું છે. પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધતા મારા જન્મજન્માંનતરના ફેરા ટળી મને અંતિમ લક્ષ મળી જતાં મારું જીવનકાર્ય સિદ્ધ થઇ ગયું છે. પ્રસ્તુત પદ એના ઉદ્‌બોધાત્મકલહેકાથી, પ્રત્યેક કડીની સબળ પ્રાસરચનાથી, તળપદાં ક્રિયારૂપો દ્વારા ઉઠાવ પામતાં અસરકારક ચિત્રોથી, ટેક પંક્તિના ઓજસથી અને ભક્તિ અંતર્ગત શૌર્યભાવના તેજસ્વી અંકનથી ગુજરાતી ભાષાનું એક ઘરેણું બન્યું છે. વિવેચન ૨ ભાવાર્થઃ- સાંસારિક સુખ જેને ઝેર જેવું થઈ ગયું છે, એવા બ્રહ્માનંદસ્વામી પિતાજીને સંબોધીને કહે છે કે, ‘હે પિતાજી! મેં તો શ્રીહરિના સગપણને સાચું જાણી એમની સાથે સગપણ કરી લીધું છે. તમે કહો છો એ સગપણ તો ક્ષણભંગુર, નાશવંત, મિથ્યા અને સ્વાર્થી છે. એમ જાણી બધાની પ્રીત તોડીને હું તો વરવા જેવા વનમાળીને વરી ચૂકેલ છું. II૧II અ શરીરની અલ્પ આયુષ્ય હોવાથી બધી આશા-તૃષ્ણાનો ત્યાગ કરી જગતનાં જીવનરૂપ જગદીશને સુખના સિંધુ જાણી તેમની સાથે મેં મારું તન-મન જોડી દીધુ છે. માટે પિતાજી આ મારા હરિવરની સાથેનું જ સગપણ સાચું છે. II૨II ઘોર નરકની ખાણરૂપ એ કન્યાઓની સાથે ફોગટ ફેરા ફરવામાં શો માલ છે? પરઘેર પાણી ભરવું કે’તા અખંડ સોહાગી પુરુષોત્તમવરને મૂકીને માયાવી જીવડાઓને વરવામાં શો લાભ છે ? માટે જ હું તો પુરુષોત્તમવરને વરી ચૂક્યો છું. II૩II અ પ્રગટ ભગવાનનો ભેટો થતાં જન્મ-મરણનો ભય ભાંગી ગયો છે. અને મેં તો આ સ્વાર્થીલા સગા-સંબંધી સાથેનો સંબંધરૂપી ‘ધાગો’ કે’તા દોરો તોડી નાખ્યો છે. લોકમાં મનુષ્યનાં મરણ પછી તેના બારમાના દિવસે ‘ગડહોમાળ’ ભરે છે. એટલે કે પાણીના ચાર ઘડાઓ ભરી તેને કાચા સૂતરના દોરાની માળા વીંટી, કોડિયામાં દીવો સળગાવી એ દોરાને દીવાથી બાળીને તોડી નાખે છે. અને કહે છે કે ‘તૂટ્યો તાંતો અને છૂટ્યો નાતો.’ એ લોકોક્તિનો સ્વામી આ કીર્તનમાં ઉલ્લેખ કરી મોહાંધ મૂઢ જીવાત્માઓને પોકારી પોકારીને કહે છે કે સર્વ સુખના સિંધુ એવા રસિકવરથી જ મને રંગ લાગ્યો છે. એટલે જ મેં આ હરિવરની સાથે સગપણ કર્યું છે. માટે હે સ્વાર્થી સંબંધીઓ ! તમે પણ જો તમારું શ્રેય ઈચ્છતા હો તો ‘ગડહોમાળ’ ની જેમ સ્વાર્થી સંબંધીઓનો સંબંધ તોડી મારા આ સુંદરવરની સાથે અખંડ સંબંધ બાંધો. મેં તો સમજી વિચારીને આ સહજાનંદનું મ્હેણું શિર ઉપર લીધું. જેથી મારાં તમામ કાર્યો સિદ્ધ થયાં અર્થાત પૂર્ણ થઈ ગયાં. II૪-૫II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
જીતુભાઇ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
વિડિયો
નિરજ રાધનપુરા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
3
0