પદ- ૧૦૫ ………………….૨/૨
શ્રીજી મહારાજ વિષે
વા'લા અબળા ઉપર અલબેલ, શીદને રીસાયા રે;
અમને છોગાળા રંગછેલ, લાગી તુજ માયા રે. (ટેક)
મુજ હૈડાના હાર છો રે, નેણાં તણા શણગાર;
પ્રીતમ જીવન પ્રાન છો, સુંદર ધર્મકુમાર. શીદને. (૧)
હાલર૧ કેરી લાકડી રે, તજતા ત્યાગે દેહ;
આપ સંગાતે એ રીતે રે , મેં શામળા બાંધ્યો છે સ્નેહ. શીદને. (૨)
જુરાફની૨ જોડી જુદીરે , પડતાં પાડે પ્રાણ;
ક્ષણ પળ અળગા ના થશો, શ્રીહરિ શામ સુજાણ. શીદને.(૩)
એક તમારે કારને રે, વહાલા થઇ છું વેચાણ;
આપ સાથે આવી મળી, એતો આગળની ઓલખાણ. શીદને. (૪)
સુખ આપો નિત્ય શામલા રે, દૂર કરો સહુ દુઃખ;
હૈડું હરખે હેતમાં, જીવન જોઇ તમારું મુખ. શીદને. (૫)
અવગુણને ગુણ અમ તણા રે, અલગા કરી અલબેલ,
વિશ્વવિહારીલાલજી, આવો છોગાળા રંગછેલ. શીદને. (૬)
_____________________________________________________
(૧) હાલર= એ પક્ષી છે તેને હદિયલકાઠી કહે છે, તેનું બચ્ચું ઉડવા શીખે છે
ત્યારે માળામાંથી કાષ્ઠનો કટકો પગમાં રાખે છે, તેને મરણ સુધી મુકતું
નથી.,
(૨) જુરાફ= એ એક જાતનુ પક્ષી હોય છે તેનો જન્મ નરમાદાની સાથે
થાય છે, તેઓના પગના આંકડા બેઉના એક એક સાથે જોડાય છે, તેમનું જોડું
છુટું પાડતાં , બેઉ પ્રાણનો ત્યાગ કરે છે, માટે દૃષ્ટાંત આપ્યું છે.