એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન, ૧/૧

 

કુંદનપુર વિવા રચ્યો એ ઢાળ.
એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન,
વચનામૃત વરસાદ કરવા, પોતે થયા પરસન.
શ્રી હરિ કે સૌ સાંભળો, નરનારી સંત સમેત,
સર્વ સિદ્ધાંતનું સારછે, હૈયે ધરજો કરી હેત.               ર 
તને કરી મેં તપાસીયું, જો હોયે ઉપાધિ અનેક,
શ્રી બદ્રીપતિનાં બળ થકી, મારા અંતરમાં નહિ એક.  ૩
અન્ય અંતર અવિલોકિયાં, મન બુદ્ધી ચિત અહંકાર,
પકડી જુજવું પુછતાં, એ ચોખાં દીઠાં ચાર.               ૪
ગુનો ઘણો ગાફલાઇનો, અતિ જોયો અમે આજ,
તેનું કારણ હું આત્મા, કાંતો મને મળ્યા મહારાજ.      પ
બળ લઇને એ બેઉનું, પોખે પાંચે ઇંદ્રિયે પંડ,
મુક્ત મટીને બધ બને, પછે ન રહે જ્ઞાન અખંડ.        ૬
પાંચે ઇંદ્રિના, પ્રિછવિ, ભિન્ન ભિન્ન ભાંખું ભોગ,
જેણે કરી આ જીવને, થાયે જનમ મરણ રોગ.           ૭
મારા જાણીને મુજને, હૈયે આવ્યું હેત અત્યંત,
નિષ્કુળાનંદ એમ હરિ કહે, સહુ સાંભળજો તમે સંત.   ૮   

મૂળ પદ

એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ઉત્પત્તિ

સદ્‍ગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો'માં એક રમૂજી પ્રસંગ આવે છે. એકવાર ગઢપુરમાં શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી કે તમે બાઈઓની સભામાં જઈને કહી આવો કે કોઈએ સભાપ્રસંગમાં અંદર અંદર ગ્રામ્યકથા કરવી નહી. મૂળજી બ્રહ્મચારી તો સમજ્યા ન સમજ્યા ને દોડ્યા, બાઈઓની સભામાં જઈને કીધું: 'મહારાજે રામકથા ન કરવાની આજ્ઞા કરી છે, માટે હવે પછી સભામાં રામકથા ન કરવી.' મહારાજ જયારે જમવા પધાર્યા ત્યારે લાડુબાએ પૂછ્યું: મહારાજ, તમે રામકથા ન કરવાની આજ્ઞા કેમ કરી?' મહારાજ કહે, 'આ મૂળજી બ્રહ્મચારીએ અર્થનો અનર્થ કરી નાખ્યો. અમે એમ કહ્યું હતું કે સભા ચાલતી હોય ત્યારે અંદર અંદર ગ્રામ્યવાર્તા ન કરવી એટલે કે ગામ ગપાટા ન મારવા, અને એમણે કહી દીધું કે રામકથા ન કરવી.' આમ કહીને મહારાજ હસ્યા. સામાન્યત: જે માણસોને વધારે પડતું બોલવાની આદત હોય છે તેનાથી જરૂરી સાથે બિનજરૂરી વાતો પણ અનાયાસે થઈ જતી હોય છે. વધારે પડતી નિખાલસતા જેમ વ્યવહારમાં અડચણો ઊભી કરે છે, તેમ વધારે પડતો વાતોડિયો સ્વભાવ ભક્તિસાધનામાં બાધક છે. ગ્રામ્યવાર્તા કરવાથી મન ચંચળ બનીને પંચ વિષયોમાં એવું ગુંચવાય છે કે ધ્યાનભજનમાં પછી કેમે કરીને ચોટતું જ નથી. શ્રીજીમહારાજના સમયમાં જે માણસોને ગ્રામ્યવાર્તાનું વ્યસન રહેતું તેમની ઉપર મહારાજની પ્રસન્નતા નહિવત્‍ થતી. એવા તુચ્છ બુધ્ધિના લોકોને શ્રીહરિ ક્યારેય પોતાની પાસે આવવા દેતા નહી. દાદાખાચરના એક કારભારીને ગ્રામ્યવાર્તા કરવાની અતિ આદત હોવાથી મહારાજ તેને પોતાની પાસે વધુ સમય બેસવા દેતા નહી. એકવાર શ્રીજીમહારાજ સાળંગપુર પધાર્યા હતા. એ વખતે શ્રીહરિ સાથે આવેલા પાર્ષદો સાવ નવા હતા. તે પાર્ષદોને ગ્રામ્યવાર્તા કરવા સાંભળવાનો ભારે ચસ્કો હોવાથી મહારાજે તેમને તત્કાળ રજા આપી દીધી. ત્યારબાદ શ્રીજીમહારાજે સંત હરિભક્તોની સભામાં વાત કરી: 'જે મનુષ્યને આંખ અને કાન એ બે ઇન્દ્રિયો વશ નથી વર્તતી તેમનું અંતર હંમેશાં ડહોળાયેલું જ રહે છે. પરિણામે તેઓ પંચ વર્તમાન સંબંધી કોઈ નિયમો પાળી શકતા નથી. જ્યાં ગ્રામ્યવાર્તા (Gossip) થતી હોય ત્યાં જેના કાનની વૃત્તિ ખેચાતી હોય તે જયારે ધ્યાન - ભજન કરવા બેસે ત્યારે એ શબ્દો સાંભરી આવે અને પરિણામે મન ક્યારેય ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહી. માટે જેણે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તેને હંમેશાં સાવધાન રહેવું. મન અને ઇન્દ્રિયોની વૃત્તિઓને અહોનિશ પરમાત્માના સ્વરૂપમાં જ રાખવી, મુમુક્ષુને અંત:કરણમાં જે ગાફેલતા રહે છે, પ્રમાદ રહે છે તેને લીધે તેની પંચ જ્ઞાનેન્દ્રિયો વધુને વધુ પંચ વિષયો ભોગવે છે. પરિણામે આવા બદ્ધજીવોને જન્મમરણરૂપી સંસૃતી ક્યારેય ટળતી નથી.’ સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ત્યારે તે સભામાં હાજર હોવાથી તેમણે શ્રીજીમહારાજની આ મહત્વપૂર્ણ જ્ઞાનવાર્તાને કીર્તનનાં સ્વરૂપમાં વણી લીધી. 'એક સમે શ્રીહરિ સ્વામી, તેડાવિયા નિજ જન, વચનામૃત વરસાદ કરવા, પોતે થયા પ્રસન્ન.' નિષ્કુળાનંદ સ્વામીને શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, ઈત્યાદિ પંચ વિષય સંબંધી શ્રીહરિના જ્ઞાનોપદેશને આવરી લેતા આઠ પદો રચ્યા છે. એમાનું પ્રથમ પદ અત્રે આસ્વાદ અર્થે પ્રસ્તુત છે.

વિવેચન

આસ્વાદ: શ્રીજીમહારાજના વચનામૃતો અસંખ્ય છે, તેમાંથી સર્વજીવહિતાવહ સર્વગ્રાહ્ય વચનામૃતોનું સંકલન પ્રમુખ પાંચ નંદ સંતવર્યોએ કરી વચનામૃત ગ્રંથ તૈયાર કર્યો છે. એમાં સંકલિત ન થઇ શક્યા હોય એવા પણ ઘણાં વચનામૃતો નંદ સંત કવિઓના કીર્તનરૂપે આજે પણ પ્રાપ્ય છે. સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું પ્રસ્તુત પદ શ્રીજીમહારાજના એક મહત્વપૂર્ણ વચનામૃતનું પદ્યસ્વરૂપ છે. એકવાર શ્રીજીમહારાજ સભામાં સર્વે સંતો અને સત્સંગી નરનારીઓને સંબોધીને કહે છે: 'આજે સર્વે સિધ્ધાંતના સારરૂપ વાત અમે કરીએ છીએ તેને હેત કરીને હૈયામાં ધારજો. ભગવાન શ્રી નરનારાયણના પ્રતાપે ગમે તેટલી ઉપાધી આવવા છતાં અમારા અંતરમાં એનો લેશમાત્ર પણ અંતરાય થતો નથી. અમે અન્ય લોકોના પણ અંતર તપસ્યા ત્યારે અમે દીઠું કે એ સર્વેને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેયના ગુણધર્મો સ્પષ્ટપણે વર્તે છે. ભગવાનના ભક્તને જો પંચ વિષય અંતરાય કરતા હોય તો તે બાબતમાં અમે આજે જોયું કે એમાં સૌથી મોટો ગુનો તો એ હરિભક્તની ગાફલાઈનો છે. જે ગાફલાઈ રાખશે તેને પ્રમાદ અને મોહ એ બંને નડ્યા વિના નહી રહે. હું આત્મા છું અને મને મહારાજ જેવા પરાત્પર પરબ્રહ્મ ઇષ્ટદેવરૂપે મળ્યા છે. એ બંને સત્યનું બળ રાખીને જો પંચ જ્ઞાનેન્દ્રિય સહિત આ પિંડને ભોગવે તો એ મોટો મુક્ત હોય તો પણ એનું જ્ઞાન અખંડ રહેતું નથી. માટે પાંચે ઇન્દ્રિયો અને એના ભોગને જ્ઞાને કરીને ઓળખી એ પંચ વિષયો માત્ર ભગવાન સંબંધી જ ભોગવવા, જે જીવો એ પંચ વિષયો જગત સંબંધી જ ભોગવ્યા કરે છે તેમનો જન્મમરણરૂપી રોગ ક્યારેય મટતો નથી. તમને સર્વેને અમારા ગણીને તથા મારા હૈયામાં તમારા પ્રતિ હેત હોવાથી તમારા હિતની આ વાત આજે કરી છે તેને સદાય જીવંત રાખજો.' આ પછીના પળોમાં સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામીને રસ, શબ્દ, સ્પર્શ, રૂપ તથા ગંધ ઈત્યાદિ પંચ વિષય દ્વારા થતું જીવનું પતન તથા તેને જીતવાનો ઉપાય બતાવ્યો છે. જ્ઞાનોપદેશનું આ પદ મુમુક્ષુને માટે દીવાદાંડીરૂપ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી