ઉત્પત્તિ:
પૂર્વભૂમિકા
નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા વેદાંતશાસ્ત્રના સાર સમા આ કીર્તાનને સમજતા પહેલાં આ કીર્તન તેમજ નિષ્કુળાનંદ સ્વામીના જીવનની ભૂમિકા સમજી લેવી જ્રુરૂરી છે.
સામાન્ય રીતે એવું માનાય છે કે નિષ્કુળાનંદ સ્વામી પરમ વૈરાગી સંત હતા પણ આ વાત અધૂરી છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી હતા એવા જ અનુરાગી સંત હતા.
વૈરાગની ખારભૂમિમાં ભક્તિના છોડ પાંગરતા નથી પણ નિષ્કુળાનંદ સ્વામીની વાત નોખી છે. નિષ્કુળાનંદ સ્વામી વિરાગ અને અનુરાગ બન્નેથી ભરપૂર છે.
એમના જીવનમાં વૈરાગ્યની ભૂમિકાએ અનુરાગનાં ફૂલ ખીલ્યાં છે એમ કહેવાય કરતાંય એમનો વૈરાગ્ય પરમાત્મા પ્રત્યે અસાધારણ પ્રીતિમાંથી પાંગરેલા છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે.
જેમ શ્રીકૃષ્ણ પ્રત્યે અસાધારણ અનુરાગથી ગોપીઓને વિષયસુખ વિષ જેવાં થયાં હતાં એ જ રીતે શ્રી સહજાનંદચરણના અનુરાગથી નિષ્કુળાનંદ સ્વામીને પિંડ બ્રહ્માંડમાં ક્યાંય રાગ રહ્યો નહોતો.
આવા વૈરાગ્યને ભક્તિમૂલક વૈરાગ્ય કહેવાય. સ્વામીના વિતરાગની પેઠે એમનું જ્ઞાન પણ ભક્તિમૂલક છે. એટલે જ આ કીર્તન માત્ર વેદાંતદર્શનનો અર્ક નથી પરંતુ પ્રેમની પરાકાષ્ઠાએ વેદાંતદર્શન કેવું હોય તેનો મર્મ સમજાવનારું છે.
આ કીર્તનમાં કોઈ અલૌકિક અદ્વૈતતત્વનો મહિમા ભર્યો છે પણ એ અદ્વૈત શુષ્ક જ્ઞાનીઓનું અદ્વૈત નથી, પ્રેમીઓનું પ્રેમાદ્વૈત છે.
શુષ્ક જ્ઞાનીઓના નિર્ગુણ-નિરાકાર બ્રહ્મસાગરમાં લહેરો, તરંગો કે બુદબુદાની કોઈ સંભાવના નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એક એવી મહાશૂન્ય અવસ્થા છે જેમાં સર્જન-વિસર્જનના કોઈ સ્પંદનો સંભવી શકતાં નથી.
જોકે એક દ્રષ્ટિએ આ ભૂમિકા સાધારણ નથી, સરાહનીય છે. આ ભૂમિકા માન-અપમાનથી પર છે. રાગદ્વેષથી રહિત છે. માયાના વિકારોથી મુક્ત છે. આ ભૂમિકાએ અહંતા અને મમતાનાં બંધન નડતાં નથી. પણ સાથોસાથ આ અવસ્થા ‘બ્લેક હોલ’ જેવી ‘સર્વશોષી’ અવસ્થા છે.
આ મહાશૂન્ય અવસ્થામાં સુખ કે દુ:ખ નથી, તો દિવ્યતાનાં નર્તન પણ નથી.
રાગ અને દ્વેષ નથી, તો અનુરાગનો વૈભવ પણ નથી.
અહંતા અને મમતા નથી, તો અસ્તિત્વનો ઉલ્લાસ પણ નથી.
આ મહાશૂન્ય અવસ્થા દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનથી રહિત જ્ઞાતા, જ્ઞાન અને હૃદયથી રહિત માત્ર અસ્તિત્વમયી શુષ્ક અવસ્થા છે. શુષ્ક જ્ઞાનીઓનું બ્રહ્મ કાળમીંઢ પથ્થર જેવું છે એમાંથી કોઈ ઘાટ ઘડી શકતા નથી.
જ્યારે પ્રેમાદ્વૈતની વાત જુદી છે.
આ અલૌકિક અવસ્થામાં આનંદનાં સંગીત છે. નિત્ય ચૈતન્યોનાં નર્તન છે. મુક્ત આત્માઓમો મહોત્સવ છે. અહીં બ્રહ્મ અને પરબ્રહ્મનો મહારાસ છે.
પ્રેમાદ્વૈતની આ અદ્ભુતઅવસ્થા જ્ઞાનરસ, આનંદરસ અને પ્રેમરસથી ભરપૂર છે.
જેમ અનેક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક નાભિકેન્દ્ર સાથે જોડાયેલા હોય એમ અહીં જે છે તે સઘળું એક પરમતત્વ સાથે જોડાયેલું છે. ઉપનિષદ્ કહે છે.
अरा इव रथनाभौ कलाः यस्मिन् प्रतिष्ठिताः ।
રથનાં પૈડાંની ધરી સાથે અનેક આરા જોડાયેલા હોય એમ એ પરમાત્માને આધારે સર્વકલાઓ પ્રતિષ્ઠિત છે.
અહીં અનેકતામાં એકતા છે. એકતામાં અનેકતા છે. ભગવાન્ શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે –
सूत्रे मणीगणा एवा ।
જેમ દોરાથી મણિઓ પરોવાયેલા હોય એમ અહીં જે કંઈ છે તે સર્વ પરબ્રહ્મથી પરોવાયેલું છે. અહીં દોરાનું અસ્તિત્વ છે, મણકાનું અસ્તિત્વ છે અને બન્ને વચ્ચે કદી ન તૂટે કે ન છૂટે એવું મજબૂત જોડાણ છે.
આકાશમાં સૂરજ ઊગે એટલે નક્ષત્રો, તારાઓ, ચંદ્ર બધું જ સૂર્યના તેજમાં લીન બને છે. અર્થાત્ અહીં અનેક અસ્તિત્વો એ મહા અસ્તિત્વમાં લીન થાય છે. આનો અર્થ એવો નથી કે અહીં સર્વ અસ્તિત્વો સમાપ્ત થાય છે. અહીં ફરીથી નક્ષત્રના ઝગમગાટની અને ચંદ્રના ઉદયની સંભાવના છે. શુષ્ક અદ્વૈતજ્ઞાનમાં સંભાવનાઓનાં સર્વ બીજ જ નાશ પામે છે.
ભગવાન સ્વામિનારાયણ કહે છે,
‘જેમ વૃક્ષમાં પંખીઓ લીન થાય એમ પ્રેમીઓ પરમાત્મામાં લીન થાય છે.
અહીં પંખીઓનું અસ્તિત્વ ઘટાટોપ વૃક્ષથી અલગ જણાતું નથી પણ વૃક્ષના એક એક પર્ણમાંથી પંખીઓનો મધુર કલનાદ ઊઠે છે. આ પ્રેમાદ્વૈતની ભૂમિકાએથી ઊઠેલું દિવ્ય સંગીત છે.
દૂધ મધુર છે, સાકર મધુર છે. બન્નેનાં અસ્તિત્વ અલગ છે. બન્નોના અલગ અલગ આસ્વાદ છે પણ સાકર જ્યારે દૂધમાં મળે ત્યારે સાકર દૂધમય બને છે. સાકરનું અસ્તિત્વ દૂધના અસ્તિત્વ સાથે એકરસ બને છે. બન્નોની મધુરતાના મિલનમાંથી કોઈ ત્રીજ અપૂર્વ મધુરતા પ્રગટે છે.
આવી જ સ્થિતિ પ્રેમાદ્વૈતની અવસ્થાએ બ્રહ્મ અને પરબ્રહ્મના મિલનની છે.
આ અલૌકિક અવસ્થાએ પરમ ભાગવત સંતનો વ્યષ્ટિભાવ સમાપ્ત થાય છે અને સમષ્ટિભાવ પ્રગટે છે ત્યારે એને જે દર્શન થાય છે તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી આ કીર્તનમાં કરે છે.
આસ્વાદ
સહજાનંદ ��િંધુ રે સખી જો સભર ભર્યા રે,
એકરસ અખંડ ને અવિનાશ...
સર્વત્ર સભર ભરેલા એકરસ, અખંડ અને અવિનાશ સહજાનંદના મહિમાને સમજાવવા માટે સ્વામીએ વેદાંતદર્શનમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંતો આ કીર્તનમાં વણ્યાં છે.
સર્વવ્યાપી છતાં સર્વ વિકારોથી રહિત આકાશનું દ્રષ્ટાંત છે.
સાગર અને સાગરમાંથી ઊઠતાં લહેર, તરંગો અને બુદબુદાનું દ્રષ્ટાંત છે.
એક જ કપડા ઉપર પડેલી નોખી નોખી ભાતનાં દ્રષ્ટાંત છે.
શંકરાચાર્યજી જેવા મોટા મોટા આચાર્યો, કબીર જેવા જ્ઞાની સંત-મહાત્માઓ પોતાની રચનાઓમાં આ બધાં દ્રષ્ટાંતોને વિવિધ રીતે વણે છે. છતાં નિષ્કુળાનંદ સ્વામીનું આ કીર્તન વેદાંતદર્શનમાં કોઈ જુદી જ ભાત પાડે છે.
એ જુદી ભાતને સમજવા માટે ભાગવતજીના એકાદશ સ્કંધનો સહારો લઈએ. એકાદશ સ્કંધમાં યોગેશ્વરોએ મહારાજ જનકને ત્રણ પ્રકારના ભાગવત ભક્તોની વાત કરી છે.
એક ભક્ત એવો છે જેને માત્ર મંદીરમાં પધરાવેલી મૂર્તિમાં જ ભગવાન દેખાય છે, પણ જડ-ચેતન વિશ્વમાં ભગવાન દેખાતા નથી. એટલે એ ભક્ત મંદિરની મૂર્તિનો આદર કરે છે પણ અન્યત્ર વિલસતા પરમાત્માનો અનાદર કરે છે.
स भक्तः प्राकृतः स्मृतः।
યોગેશ્વરો આવા ભક્તને પ્રાકૃત ભક્ત કહે છે.
બીજો મધ્યમ ભક્ત દ્વૈતભાવમાં જીવે છે. એને જગત પણ દેખાય છે અને જગદીશશ્વર પણ દેખાય છે. જગદીશ્વર સાથે તેનો વ્યવહાર પ્રેમભર્યો છે અને જગત સાથે તેનો વ્યવહાર વિવેકભર્યો છે.
યોગેશ્વરો આ વ્યવહારને ચાર ભાગમાં વહેચે છે – મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા.
श्रेष्ठेषु मुदिता -પોતાનાથી શ્રેષ્ઠ પ્રત્યે પ્રસન્નભાવ.
समानेषु मैत्री - પોતાનાથી સમાન પ્રત્યે મૈત્રીભાવ.
कनिष्ठेषु करूणा - પોતાનાથી કનિષ્ઠ પ્રત્યે કરુણાભાવ.
अज्ञेषु उपेक्षा - પોતાનો અનાદર કે અપરાધ કરનારા અજ્ઞાનીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ.
પરમાત્માને માર્ગે પ્રગતિ સાધી રહેલા ભાગવત સંતના આ સુંદર લક્ષણો છે.
આધ્યાત્મિક સાધનમાં પોતાની બરાબરી કરી શકતા હોય તે સાથે મિત્રતા રાખવી. પોતાનાથી આગળ વધેલાને જોઈને અંતરમાં રાજી થવું.
આધ્યાત્મિક યાત્રામાં કોઈ સહયાત્રી સંજોગોવશાત્ કે સંસ્કારવશાત્ પાછળ રહી જાય તો થોડી વાર ઊભા રહીને, બે ડગલાં પાછળ ચાલીને પણ તેનો હાથ પકડવો. તેને સહારો દેવો, હિંમત આપી યાત્રામાં ઉત્સાહ વધારવો.
કોઈ અજ્ઞાનીઓ અનાદર કરે તો ઉપેક્ષા કરવી. સારો-નરસો કોઈ પ્રતિભાવ જ ન દેવો.
ગૃહસ્થને પાંચ પૈસા મળે એટલે એના નાતીલા ઈર્ષ્યા કરે એ જ રીતે અધ્યાત્મમાર્ગ કોઈ આગળ વધે ત્યારે અકારણ તેનો દ્વેષ કરનારાઓનો પણ પાર નથી હોતો. સાધનમાં તલ્લીન થયેલો સંત આવા લોકો પ્રત્યે ઉપેક્ષાથી જીવે છે. જેને જે કરવું હોય તે કરે. સાધક પોતાના મારગ છોડતો નથી.
ભરબજારે નીકળેલા હાથીને જોઈને શ્વાન ભસે. હાથી ધારે તો સૂંઢના એક સપાટે કૂતરાને ક્યાય ફેંકી દે પણ હાથીને કૂતરાની ગણના જ હોતી નથી. એ તો એની મસ્તીમાં જ ડોલતો જાય છે. આવી હાથી જેવી મસ્તીથી જીવનાર સંતને યોગેશ્વરો મધ્યમ પ્રકારના ભાગવત સંત કહે છે.
ત્રીજા પ્રકારના ભાગવત સંતને જડ ચેતન વિશ્વ ભાસતું નથી. આવા સંત માટે ઊંચ, નીચ, સારા, નરસાના સર્વ ભેદ શમી ગયા છે. એમની દ્રષ્ટિએ સર્વત્ર સહજાનંદ સભર ભર્યા છે.
સર્વ ભેદોનું શમન હોવાથી આવા સંતમાં મૈત્રી, કરુણા, મુદિતા કે ઉપેક્ષાવૃત્તિનો ઉદય પણ ન હોય તે સહજ છે.
તુલસીદાસજી કહે છે તેમ આવા સંતની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં એને પોતાના ઇષ્ટદેવ સિવાય કશું જ દેખાતું નથી.
યોગેશ્વરો કહે છે – ‘હે જનક, આ ઉત્તમ ભાગવત સંત છે.’
વેદાંતદર્શનનાં સાર સમાન આ કીર્તનને સંભળીને નિષ્કુળાનંદ સ્વામીને શ્રેષ્ઠ દાર્શનિક સંત કહેવા કરતાંય ઉત્તમ ભાગવત સંત કહેવા વધારે યોગ્ય છે.
આ કીર્તનને શુષ્કવેદાંતની દ્રષ્ટિએ સમજાવવા કરતાંય ઉત્તમ ભાગવત ધર્મની દ્રષ્ટિએ સમજવું જરૂરી છે. તો જ આ કીર્તનના મૂળ મર્મને પામી શકાય તેમ છે.
સહજાનંદ સિંધુ રે, જો સભર ભર્યા રે,
એકરસ અખંડ ને અવિનાશ...
નિષ્કુળાનંદ સ્વામી બહુ માર્મિક રીતે અહીં ‘સખી’ શબ્દનો પ્રયોગ કરે છે. શાસ્ત્રોમાં મોટા ભાગે દાર્શનિક ચર્ચાઓ ગુરુશિષ્યના સંવાદથી થતી હોય છે. જ્યારે અહીં સરખે- સરખી સાહેલીઓનો સંવાદ છે.
પ્રારંભે જ ‘સખી’ શબ્દોનો પ્રયોગ આ પદને જ્ઞાનરસ કરતાંય ભક્તિરસથી ભરપૂર બનાવે છે.
સરખી સાહેલીઓ સાથે મળી વરરાજાના ગુણ ગાય. એ જ રીતે અહીં સરખે- સરખા પ્રેમ ભરેલાં હૈયાં સર્વત્ર સભર ભરેલા ‘સહજાનંદ’ના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે.
વેદમાં સરસ મંત્રો છે. એક આર્ષ દ્રષ્ટા ઋષિ બીજા આર્ષદ્રષ્ટા ઋષિને પ્રશ્ન કરે છે.
किं स्वित वनं क उ वृक्ष आसीत्
यतो धावा पृथिवी निष्ठतक्षुः I
मनीषिणो मनसा विपृच्छामि
किमध्यतिष्ठन् भुवानानि धर्यन् I
‘હે મનીષીઓ! આ પૃથ્વી, આકાશ, સુર્ય, ચંદ્ર વગેરે જે કાષ્ઠમાંથી ઘડાયા તે કાષ્ઠ ક્યા વૃક્ષનું હતું? એ કાષ્ઠ ક્યા વનમાં ઉત્પન્ન થયું હતું? આ સુંદર સર્જન કરનાર કુશળ સુતાર કોણ હતો? કઈ કોઢ્યમાં બેસીને એણે આ જડ-ચેતન વિશ્વનું ઘડતર કર્યું? આ અનરાધાર જણાતું વિશ્વ કોને આધારે ટકેલું છે?’
પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે ઋષિના વિશુદ્ધ અંત:કરણમાં મંત્રદર્શન થાય છે. જેમાં આ જિજ્ઞાસાનો જવાબ છે.
ब्रह्मं वनं ब्रह्म उस वृक्ष आसीत्
यतो हावा पृथिवी निष्ठतक्षुः I
मनीषिणो मनसा विब्रविमि
ब्रह्माध्यतिष्ठत् भुवानानि धारयन् II
‘બ્રહ્મ જ વન છે. બ્રહ્મ જ કાષ્ઠ છે. બ્રહ્મ જ પૃથ્વી અને આકાશનું ઘડનાર છે. બ્રહ્મ જ સર્વ ભુવનને ધારણ કરે છે.’
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સુતાર જુદો હોય, કોઢ્ય જુદી હોય, ઘડવાનાં સાધન જુદાં હોય, લાકડાં જુદાં હોય, વન જુદું હોય પણ અહીં આશ્ચર્યકારી વાત એ છે કે જે ઘડનારો છે તે જ કાષ્ઠ છે, તે જ વન છે, તે જ સાધન છે, તે જ કોઢ્ય છે. જડચેતન વિશ્વ રૂપે તે જ છે અને જડ-ચેતન વિશ્વને ઘારણ કરનાર પણ તે જ છે. પોતે જ ઘડે છે અને પોતે જ ઘડાય છે.
શ્રુતિ કહે છે – एकेडहं बहुस्यां प्रजायेय ।
પરમાત્મા સંકલ્પ કરે છે – ‘હું એક છું અનેક રૂપે થાઉં.’
અહીં એકતામાં અનેકતા છે. અનેકતામાં એકતા છે.
આ મનીષીઓનું દર્શન છે.
જે મનનો માલિક હોય તેને મનીષી કહેવાય.
જે મનનો ગુલામ હોય તેને માણસ કહેવાય.
મનના ગુલામને બધું અલગ અલગ ભાસે છે.
મનના માલિકને બધું એકાકાર ભાસે છે.
સહજાનંદ સિંધુ રે સખી જો સભર ભર્યા રે,
એકરસ અખંડ ને અવિનાશ...
જડ-ચેતન વિશ્વમાં સહજાનંદ સભર ભર્યા છે.
વિવિધ વિક્ષોપોરૂપ તરંગોની ભીતર એકરસ, અખંડ, અવિનાશ સહજાનંદ લહેરાઈ રહ્યો છે. પણ અંતરની આંખ વિના એ ઓળખાતો નથી.
બહારની આંખે ભાતભાતનાં રસો અને રૂપો ભાસે છે. અંતરની આંખે બધું જ એકરસ અને એકરૂપ જણાય છે.
બહારની આંખે બધું ખંડ ખંડ જણાય છે. અંતરની આંખે બધું અખંડ જણાય છે.
બહારની આંખે બધું નાશવંત જણાય છે. અંતરની આંખે બધું શાશ્વત જણાય છે.
એક વાર અબજીબાપાના કૃપાપાત્ર જાદવજી બાપાને અમે વિનંતી કરી, ‘બાપા! અંતરમાં શ્રીહરિ વધારે સાંભરે અને બીજા ઘાટ ન ઊઠે એવી અમારા વતી શ્રીજી મહારાજને પ્રાર્થના કરજો.’
જાદવજી બાપા કહે, ‘સ્વામી! અંત:કરણ જ ક્યાં છે? રોમ રોમ શ્રીહરિમય છે. અંત:કરણ હોય તો ઘાટ ઘડે ને?’
આ કેટલી ઊંચી સ્થિતિનો જવાબ છે! પિંડ અને બ્રહ્માંડમાં બધું જ પુરુષોત્તમરૂપ થઈ જાય પછી ઘાટ ઊઠે શેના? અને ઊઠે તોય આનંદની લ્હેરો હોય, સુખદુ:ખના વિષાદમય તરંગો ન હોય. પણ આ વાત તો જેને અલૌકિક આંખ મળી હોય તે જ કહી શકે! અને સમજી શકે!
સર્વવ્યાપી બ્રહ્મને કોઈ સીમાડા નથી. સીમાડાઓ માયા સર્જે છે. સીમાડાઓ અહંતા અને મમતા સર્જે છે.
ખેતર કોકના બાપનું છે અને શેઢા આપણે નક્કી કરીએ છીએ.
ધરતીનો ધણી કોક છે અને સીમાડા આપણે નક્કી કરીએ છીએ.
સાગરનો સ્વામી કોક છે અને સરહદો આપણે આંકીએ છીએ.
અરે મૂરખ માનવજાતે હવે તો આકાશમાં પણ સરહદો કલ્પી છે.
નવાઈની વાત તો ટોલ્સ્ટોયની વાર્તામાં આવે છે એમ ‘આકાશ અને ધરતીની સરહદ આંકનારો માણસ આખરે સાડા છ ફૂટની ધરતીમાં સમાઈ જાય છે.’
સંસારીઓ તો મારા-તારાની સરહદો આંકે પણ ધર્મગુરુઓ પણ મારા-તારાપણના પાળા બાંધે ત્યારે નવાઈ લાગે!
નીતિશાસ્ત્ર કહે છે –
अयं निजः परो वेत्ति गणना लघुचेतसाम् I
उदारचिरतानां तु वसुधैवकुटुम्बकम् II
‘આ મારો છે, આ પરાયો છે, આવી ગણના તો ટુંકા મનવાળાની હોઈ શકે. ઉદારચરિત મહાપૂરુષો માટે તો સમસ્ત વિશ્વ પોતાનો જ પરિવાર હોય છે. એમને મારા-તારાના ભેદ હોતા નથી.’
અધ્યાત્મના ઊંચા ગગનમાં વિરહે તેને માટે સમસ્ત સરહદો ભૂંસાઈ જાય છે.
ઉદય અને અસ્ત લહેરોના છે, સાગરના નહીં.
આવાગમન વાદળોનાં છે, આકાશનાં નહીં.
સ્વામી કહે છે, ‘આવે ન જાયે જેમ આકાશ.’
આકાશ આવતો નથી, આકાશ જાતો નથી, આકાશ સ્થિર છે, પણ જીવોની સ્થિતિ માથા ફરેલાં બાળકો જેવી છે.
નાનાં નાનાં બાળકો એકબીજાના હાથ પકડી ફૂદરડી ફરે. ફરતાં ફરતાં ફેર ચઢે એટલે બેસી જાય. પણ મગજમાં ફેર ચઢી ગયા હોય એટલે બધું ફરતું દેખાય. છોકરાઓ મજાકમાં બોલે, ‘મામાનું ઘર ફરે, માસીનું ઘર ફરે.’
વાસ્તવમાં મામા-માસીના ઘર ફરતાં નથી, છોકરાઓનાં માથાં ફરે છે. એ જ રીતે માયા જેનાં માથાં ફેરવી નાખે છે એને બધું ફરતું દેખાય છે. જેને માયાના ફેર ચઢ્યા નથી એને બધું સ્થિર દેખાય છે.
આવવું કે જવું તે અપૂર્ણને હોય. સર્વત્ર પરિપૂર્ણને આવાગમન કેમ સંભવે?
ઓશોએ ભગવાન બુદ્ધની એક કથા કહી છે –
વિચરણ કરતાં કરતાં તથાગત વડલા નીચે વિરામ કરવા બેઠા. આનંદે તથાગતને કહ્યું, ‘ભગવાન્! આપે ઘણો પરિશ્રમ કર્યો, આપે ઘણી ધર્મયાત્રાઓ કરી, ઘણા દેશોમાં ફર્યા, હવે આપને વિરામની જરૂર છે.’
ભગવાન બુદ્ધે કહ્યું, ‘આનંદ! બુદ્ધ ક્યાંય ગયા નથી, બુદ્ધ ક્યાંયથી આવ્યા નથી. બુદ્ધ તો જ્યાં છે ત્યાં જ કાયમ સ્થિર છે.’ પણ આનંદને બુદ્ધની વાત ઘણા સમય પછી સમજાણી.
આનંદને બુદ્ધ ફરતા દેખાય છે. કારણ કે આનંદને ફેર ચઢેલો છે. બુદ્ધની દ્રષ્ટિએ બુદ્ધ સ્થિર છે.
ભાગવતજીમાં સુંદર પ્રસંગ છે –
નાના નાના ગોપ બાળકોએ મા જશોદાને ફરિયાદ કરી, ‘કાનુડો માટી ખાય છે.’
મા નાનકડા કાનુડાને ઠપકો આપવા માંડ્યા, ‘કાના! માટી કેમ ખાય છે?’
ભગવાન બાલકૃષ્ણે અદ્ભુત જવાબ દીધો.
नाहं भक्षितवान् अम्बः सर्वे मिथ्याभिशंसिनः I
‘મા! મેં માટી ખાધી નથી, આ બધા જૂઠું બોલે છે.’
નવાઈની વાત એ છે કે કાનુડાના હાથ માટીવાળા છે, મોઢું માટીથી ભર્યું છે, છતાં કહે છે ‘મેં માટી ખાધી નથી.’
કાનુડાની આ વાત કોને ગળે ઊતરે? કારણ કે બધા ‘ફેર ચઢેલા’ ભેગા થયા છે. એમને કૃષ્ણ માટી ખાતા દેખાય છે, જ્યારે કૃષ્ણ તો સર્વથા આકાશ જેવા નિર્લેપ અને કર્તા છતાં અકર્તા છે. અનંત ભુવનની માટીમાં એ છે અને અનંત ભુવનની માટી એનામાં છે. એટલે તો બાળલીલા કરતા ભગવાન માને મુખમાં બ્રહ્માંડ દેખાડે છે.
લેર્ય તરંગ રે બુદાબુદ બહુ થયા રે, દેવ દૂનિ નર ને જો નાર્ય
સ્થાવર જંગમ રે દિસે જોતાં જૂજવાં રે, આદ્યે અંતે મધ્યે વિલસે વાર્ય
એક જ સાગર લહેર, તરંગ અને બુદબુદાનાં રૂપ ધરે. એ જ રીતે એક જ આનંદસાગર શ્રીહરિએ તાદાત્મ્ય સંબંધથી દેવ, દાનવ, માનવ, મુનિ, નર અને નારીનાં રૂપ ધર્યાં છે.
નામરૂપાત્મક વિશ્વ વિવિધ રૂપે ભાસે છે. પણ આખરે તો એક જ પરમ ચૈતન્ય સાગરનો વિહાર છે.
વેદાંતશાસ્ત્ર પરમાત્માને જગતના ‘અભિન્ના નિમિત્તોપાદાન’ કારણ મને છે. નૈયાયિકો પરમાત્માને જગતનાં નિમિત્ત કારણ માને છે.
કોઈ કાર્ય થાય તેના સામાન્ય રીતે ત્રણ પ્રકારનાં કારણો હોય છે. નિમિત્ત, ઉપાદાન અને સહકારી.
કાર્ય કરે તે નિમિત્ત કહેવાય. કાર્યમાં પરિણમે તે ઉપાદાન કહેવાય, કાર્યમાં સહયોગી બને તે સહકારી કહેવાય.
જેમ કે ઘટનિર્માણમાં કુંભાર નિમિત્ત કારણ છે. માટી ઉપાદાન કારણ છે. ચાકડો, દંડ, દોરો વગેરે સહકારી કારણ છે.
નૈયાયિકો કહે છે કુંભાર માટીમાંથી માટલાં ઘડે એમ પરમાત્માએ માયામાંથી જડ-ચેતન વિશ્વનું સર્જન કર્યું છે. વિશ્વ માટે પરમાત્મા નિમિત્ત કારણ છે. માયા ઉપાદન કારણ છે. કાળ, આકાશ વગેરે સહકારી કારણ છે.
ઘડો, માટી, કુંભાર વગેરે જેમ જુદાં જુદાં છે એમ પ્રકૃતિ, પરમાત્મા, જીવ વગેરે જુદાં જુદાં છે.
વેદાંતદર્શનની દ્રષ્ટિએ નૈયાયિકોની આ વાત ‘આપાતરમણીય’ છે. અર્થાત્ ઉપર-ઉપરથી રમણીય ભાસે છે પણ ‘મીમાંસા’ કરીએ તો બંધ બેસે તેવી નથી.
વેદાંતદર્શનને નૈયાયિકોનો ‘અલગતાવાદ’ પસંદ નથી. એક જ પરમાણુને જોવાની બે દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે અલગ અલગ જુએ છે. બીજી દ્રષ્ટિ ‘બધું જ એક જ નાભિકેન્દ્ર સાથે જોડાયેલ છે’ એમ સમસ્તને જુએ છે.
વેદાંતદર્શનની દ્રષ્ટિએ એક જ સર્વાંગસુંદર શરીરની જેમ સમસ્ત જડ-ચેતન વિશ્વ એક જ પરમાત્માનું શરીર છે. પરબ્રહ્મથી જીવ અને જગત જુદાં કલ્પી શકાય તેમ નથી. કુંભાર અને ઘડાનું દ્રષ્ટાંત અહીં બંધ બેસી શકે તેમ નથી. અહીં તો ઉત્પત્તિ-અવસ્થા હોય કે પ્રલય-અવસ્થા હોય, એક જ પરમતત્વનો વિશિષ્ટ રૂપે લીલાવિહાર છે.
મોટા મોટા આચાર્યોને નૈયાયિકોનો નિમિત્ત કારણવાદ ફાવ્યો નથી. વેદાંતદર્શન પરમાત્માને નિમિત્ત કારણની સાથોસાથ ઉપાદાન કારણ પણ માને છે. નિમિત્ત અને ઉપાદાન એક જ હોવાથી વેદાંતદર્શન ‘અભિન્નાનિમિત્તોપાદાન’ શબ્દ પ્રયોજે છે. આ અભિન્નાનિમિત્તોપાદાન ને સિદ્ધ કરવા માટે વેદાંતદર્શનમાં કુંભારને બદલે કરોળિયાનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે.
કરોળિયો પોતાના જ શરીરમાંથી લાળ પેદા કરી જાળ વિસ્તારે છે. એજ રીતે પરમાત્માએ પોતાના જ જડ ચેતનરૂપ શરીરમાંથી સંસારની જાળ વિસ્તારી છે.
વેદાંતદર્શનની આશ્ચર્યકારક વાત એ છે કે પરમાત્મા જગતના ઉપાદાન કારણ હોવા છતાં પરમાત્માના સ્વરૂપમાં કોઈ વિકારો સંભવતા નથી.
જેમ આકાશ આદિ પંચભૂતોમાંથી ભાતભાતની સૃષ્ટિ થાય છે. સર્વમાં હોવા છતાં આકાશ સર્વથા નિર્લેપ છે. તેમ પરમાત્મા સર્વમાં હોવા છતાં સર્વથા નિર્લેપ છે.
જેમ શરીરમાં બાલ, જોબન અને વૃદ્ધ અવસ્થા આવે છે પણ શરીરમાં હોવા છતાં આત્માને બાળ, જોબન અને વૃદ્ધ અવસ્થા નથી. એ જ રીતે પરમાત્મા સર્વ અવસ્થાઓથી પર છે.
જેમ શરીરને હર્ષ, શોક, ભૂખ, તરસ, જરા, મૃત્યુ, ષડૂર્મિ વ્યાપે છે પણ આત્મા ષડૂર્મિથી રહિત છે. એ જ રીતે પરમાત્મા સર્વત્ર હોવા છતાં સર્વથા નિર્વિકાર છે.
આ જ વાતને નિષ્કુળાનંદ સ્વામી સાગરનાં લહેર, તરંગ અને બુદબુદાનાં દ્રષ્ટાંતથી સમજાવે છે.
વેદાંત દર્શનમાં ‘ભેદ’, ‘અભેદ’ જેવા વૈવિધ્ય અને વિરોધાભાસ છે તેના સમાધાન માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સુંદર વાત કરી છે.
એક વ્યક્તિ મેરુ પર્વત ઉપર ઊભો છે, અને પૃથ્વી, પહાડો, વૃક્ષો, નદીઓ વગેરે વિવિધ સૃષ્ટિ દેખાય છે.
એક વ્યક્તિ લોકાલોક પર્વત ઉપર ઊભો છે, પણ પૃથ્વી, પર્વત, પાણી વગેરે કોઈ ભેદ ભાસતા નથી.
એ જ રીતે દર્શનોમાં જે વૈવિધ્ય અને વિરોધાભાસ છે તે દર્શનભેદથી છે. અને દર્શનભેદ સ્થિતિના ભેદથી છે.
જેમની સવિકલ્પ સ્થિતિ છે અને બધું અલગ અલગ ભાસે છે. નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન પરમએકાંતિક પરમહંસોની દ્રષ્ટિ પરમ પ્રેમે કરીને પરમાત્મામય બની છે એટલે એમને ઋષિ વામદેવની પેઠે સર્વત્ર પરમતત્વનો જ વિહાર દેખાય છે.
અહીં યોગી અને ભાગવત સંતની સમાધિનો ભેદ સમજવા જેવો છે. યોગી સવિકલ્પ સમાધિમાં વિષયવાસનાના સંસ્કારો જેમાંથી નષ્ટ થાય છે એવા ચિત્તના દ્રષ્ટા રૂપે રહે છે.
એકાંતિક બ્રહ્મનિષ્ઠ ભાગવત સંતને સવિકલ્પ સમાધિમાં પરબ્રહ્મનાં દર્શન થાય છે.
યોગી તથા ભાગવત સંત બન્નેને સવિકલ્પ સમાધિમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટી છે. પણ બન્ને ત્રિપુટીના સ્વરૂપમાં ભારે ભેદ છે.
યોગીને જ્યાં ચિત્તદર્શન છે, ભાગવત સંતને ત્યાં ભગવદ્ દર્શન છે.
નિર્વિકલ્પ સમાધિમાં યોગીના ચિત્તનો લય થાય છે ત્યારે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનની ત્રિપુટી પણ ટકતી નથી. એકમાત્ર વિશુદ્ધ બ્રહ્માનુભૂતિ રહે છે.
જ્યારે ભાગવત સંતની નિર્વિકલ્પ સમાધિમાં દ્રષ્ટા, દ્રશ્ય કે દર્શનની સાથે બ્રહ્મભાવ પણ લીન થાય છે ત્યારે માત્ર પરબ્રહ્મ જ વિહરે છે.
આવી પરબ્રહ્મમયી અવસ્થા ભાગવત સંતની નિર્વિકલ્પ સમાધિ છે. આ અવસ્થા શુષ્ક અદ્વૈત અવસ્થા નથી પણ આનંદસભર ‘પ્રેમાદ્વૈત’ અવસ્થા છે. આ અવસ્થાએ ભગવાન ભક્તમય છે. ભક્ત ભગવાનમય છે.
રાસપંચાધ્યાયીમાં પ્રેમની ઉત્કટ અવસ્થાએ ‘ગોપીઓ સ્વયં કૃષ્ણમય બનીને લીલાવિહાર કરે છે.’ એવી કથા છે.
યોગેશ્વરો મહારાજ જનકને જે ઉત્તમ ભાગવત સંતની વાત કરે છે એવા મહાપુરુષોની આ દિવ્ય ભૂમિકા છે. નિષ્કુળાનંદ સ્વામીનું આ કીર્તન આવી ઊંચી ભાગવત ભૂમિકાએથી ઊઠેલું સંગીત છે.
હિમ કરાને રે લૂણ બહુ લેખતાં રે, જોતાં દીસે જૂજવી તેહની જાત
ઉત્તમ મધ્ય રે એથી અળગું નહીં રે, પોત એક પાડી ભિન્ન ભિન્ન ભાત.
પાણી એક જ છે પણ ઉત્તર-દક્ષિણ ધ્રુવના પ્રદેશોમાં એ બરફના રમણીય રૂપ ધરે છે. એ જ પાણી નાના નાના હિમકરાનાં રૂપ ધરે છે. અને એ જ પાણી ખારા દરિયામાં ‘લવણ’નાં રૂપ ધરે છે.
જગતમાં જે કાંઈ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ જણાય છે એ સહજાનંદ સિંધુથી અલગ નથી.
પોત એક પાડી ભિન્ન ભિન્ન ભાત.
ભગવદ્ ગોમંડલમાં ‘પોત’ શબ્દના અનેક અર્થો છે. એમાંથી ત્રણ અર્થ અહીં અનુકૂળ છે. પોત એટલે વસ્ત્ર, પોત એટલે પાણી, પોત એટલે પોતે – સ્વયં.
જેમ એક જ વસ્ત્ર ઉપર જુદી જુદી ભાત પડે છે.
જેમ એક જ પાણી વિવિધ રૂપે પરિણમે છે.
જેમ એક જ માટી ભિન્ન ભિન્ન પાત્રો રૂપે ભાસે છે.
એમ એક જ પરબ્રહ્મ ભાતભાતની સૃષ્ટિ રૂપે ભાસે છે. ઉત્તમ પણ એથી અલગ નથી. મધ્યમ પણ એથી અલગ નથી. કનિષ્ઠ પણ એથી અલગ નથી. આ તો એક જ વસ્ત્ર ઉપર પડેલી અલગ અલગ ભાતો છે. એક જ તત્વનાં વિવિધ રૂપો છે.
ભગવાન સ્વામિનારાયણના સમયમાં ‘સ્વરૂપાનંદ સ્વામી’ નામે પ્રસિદ્ધ સંત હતા. તેઓ દેહમાં હોવા છતાં દેહાતીત ભાવે રહેતા હતા. યંત્રવત્ શરીરની ક્રિયાઓ ચાલતી પણ સ્વયં અહર્નિશ શ્રીહરિની મૂર્તિમાં નિમગ્ન રહેતા.
એક વાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંબવૃક્ષ નીચે બિરાજમાન હતા. સ્વામી શ્રીહરિનાં દર્શને આવ્યા.
ભગવાન સ્વામિનારાયણે સ્વામીને પૂછ્યું, ‘સ્વામી! તમે દેશ-દેશાન્તરમાં ફરીને આવો છો. તો દેશ-દેશાન્તરમાં મનુષ્યો કેવા છે? એની વાત કરો.’
સ્વામી હિન્દુસ્તાની સંત હતા. એમણે હિન્દુસ્તાની લહેકામાં જવાબ દીધો, ‘ગુરુ મહારાજ! મનુષ્ય તો યે નીમ વૃક્ષ કે નીચૈ હૈ ઔર કહીં નહીં હૈ.’
સભામાં તો જાતજાતના માણસો બેઠા હોય. એમાંથી કોઈ આળવીતરી બુદ્ધિવાળાએ મર્મ કર્યો, ‘આ સંતે માણસ જોયા નથી તો ઉપદેશ કોને કર્યો હશે? અને કલ્યાણ કોનાં કર્યાં હશે?’
મર્મ સાંભળી મહારાજ બોલ્યા, ‘સાંભળી લ્યો, બીજા ઉપદેશ કરી વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય પણ આ સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શનમાત્રથી કલ્યાણ થઈ જાય! આ સંતને ત્રણેય અવસ્થામાં અમારા સિવાય કાંઈ દેખાતું નથી.’
ભાડું ભરીયે રે જેમ કોઈ જળનું રે, રાખીયે તે રતનાકરને માંયે,
ભીતર બહાર રે ભર્યું જળ ભાળીયે રે, ભાજન ભાંગતે તોય રહ્યું ત્યાંયે.
ઉપનિષદ્માં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને સમજાવે છે :
अनेन ब्रह्मणा इदं सर्वं ओतं च प्रोतं च I
જ્ઞાનીઓની નજરે નિહાળો તો દરિયામાં ઘડો અને ઘડામાં દરિયો છે. અંદર પાણી છે અને બહાર પાણી છે.
નિષ્કુળાનંદ સ્વામી ‘ભાંડું’ શબ્દ વાપરે છે.
જળ ભરવાના પાત્રને ‘ભાંડું’ કહેવાય. જળ એક જ છે પણ ભાંડુંની દીવાલોએ ભેદ ઊભો કર્યો છે. ભાંડું ભાંગી જાય તો ભેદ ભૂંસાઈ જાય.
આપણી અંદર અને બહાર આનંદસાગર લહેરાય છે. પણ આપણા દેહભાવની દીવાલો ‘પ્રેમાદ્વૈત’નો અનુભવ થવા દેતી નથી.
આપણે અગાધ અને અસીમ છીએ પણ આપણા દેહભાવની દીવાલોએ આપણને વિરાટમાંથી વામણા બનાવી દીધા છે.
બીજી દ્રષ્ટિએ વિચારીએ તો આ પંક્તિમાં જીવનમુક્ત દશાનું વર્ણન છે. પરમ-એકાંતિક પરમહંસો દેહમાં રહેવા છતાં દેહાતીત વર્તે છે. ગુણમાં વસવા છતાં ગુણાતીત વર્તે છે.
જીવો અને જીવન્મુક્તો દેખાવે સરખા લાગે છે પણ ભીતર ભારે ભેદ છે. આપણે દેહની દીવાલોમાં કેદ છીએ. આપણા ઘડાનું ઢાંકણું મજબૂત રીતે બંધ છે. અમૃતસાગરમાં ડૂબવા છતાંય આપણું પાણી બંધિયાર છે.
જીવન્મુક્તોએ દેહભાવના ઢાંકણાં ખોલી નાખ્યાં છે. હવે એમને અંદર અને બહાર આનંદ સાગર સિવાય કાંઈ નથી.
આપણે દુ:ખસાગરમાં ડૂબકાં ખાઈએ છીએ. જીવન્મુક્તો આનંદસાગરમાં વિરહે છે.
પરમહંસ અને પરમાત્મા હવે એકરૂપ થયા છે.
ભાજન ભાંગતે તોય રહ્યું ત્યાંગ
દેહની દિવાલો તૂટે તો પ્રેમાદ્વૈત પ્રગટે.
આવે ન જાયે રે અખંડ એ આત્મા રે, જેહ સ્થિર અસ્થિર તે નવ થાય,
નિષ્કુળાનંદ રે લેર્ય આનંદની રે, ઉપની તે સાગર માંયે સમાય.
અ.મુ. અબજીબાપા મૂર્તિના આનંદમાં રસબસ રહેનારા મુક્તોની વાત કરે છે તેવા જ મુક્તોની સ્થિતિનું આ પંક્તિમાં વર્ણન છે. સાગરમાંથી લહેરો પ્રગટે અને સાગરમાં સમાય એમ આનંદસાગર શ્રીહરિની મૂર્તિના તેજમાંથી આ અક્ષરમુક્તો પ્રગટે છે અને પાછા એ જ સ્વરૂપમાં સમાઈ જાય છે.
બીજી દ્રષ્ટિએ જડ, ચેતન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે પણ પરબ્રહ્મ તત્વ સદા માટે સ્થિર છે, નિર્વિકાર છે. અસ્થિરતા લહેરોમાં છે, તરંગોમાં છે, બુદબુદામાં છે, મૂળ સાગરમાં નથી.
દરિયાની લહેરો દરિયામાં સમાય એમ આ બધો જ લીલાવિહાર જે શ્રીહરિમાંથી સર્જાયો છે આખરે એ જ શ્રીહરિમાં સમાઈ જાય છે.
આ કીર્તન વેદાંતદર્શનનો અર્ક છે. આ કીર્તનમાં વેદાંતદર્શનને ‘પ્રેમરસ’ની ચાસણી ચઢેલી છે. એટલે આ જ્ઞાન શુષ્ક ન રહેતાં રસાળ જ્ઞાનમાં પરિણમ્યું છે.
આ કીર્તનમાં આકાશનું દ્રષ્ટાંત પરબ્રહ્મની સર્વવ્યાપકતા, સ્થિરતા અને નિર્વિકારતા દર્શાવવા માટે છે.
સાગરનું દ્રષ્ટાંત ‘નામરૂપાત્મક વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એક જ પરબ્રહ્મનો લીલાવિહાર’ છે એ દર્શાવવા માટે છે.
હિમ-કરા અને લુણનું દ્રષ્ટાંત ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદ દર્શાવવા માટે છે.
‘પોત’નું દ્રષ્ટાંત અનેકતામાં એકતાનાં દર્શન માટે છે.
‘ભાંડું’નું દ્રષ્ટાંત દેહની દીવાલોની દૂર કરી બ્રહ્મભાવે પરબ્રહ્મમાં નિમગ્ન થવા માટે છે.