ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર, ૧/૪

ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર,કાયર ભક્તિ કામ ન આવે, હો તું અબ નર સુર  બંદે. ટેક.
મિરાં મોરઘ્વજ તજી મમતાં, હરિસે રહે હજુર,ભૂપતિ ગોપિચંદ ભરથરી, તન ધન જાન્યે ધુર.  બંદે. ૧
સેખ ફિરદ કુવા બીચ લટકે, શુળી ચડે મનસુર,સેહેર બિલાખ સહિત બાજીદે, તજી સોલસે હુર.  બંદે. ર
સ્મસ્ત તબરે જને શિરકી ચબડિ, ખેંચ દઇ જિન દૂર,તન સુખ ચાયે રામ રીઝાયે, એ તો બાત હે કુર.  બંદે. ૩
બાના બનાય સાખી પદ ગાયે, માનું ભક્તિ ભઇ ભરપુર,નિષ્કુળાનંદ એહિં અચંબા, હરિકું ધુતત ભૂર.  બંદે. ૪

મૂળ પદ

ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ઉત્પત્તિ

સદ્‍ગુરુ નિષ્‍કુળાનંદ સ્‍વામી બહુમુખી પ્રતિભાસંપન્‍ન એક વિરલ વિભૂતી હતા. જન્‍મજાત કાષ્ઠકલા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના આ કુશળ કલાકારે તીવ્ર વૈરાગ્‍ય પ્રાપ્‍ત થતાં સંસારનો ત્‍યાગ કર્યો, પરંતુ પછી પણ એમણે પોતાની આ ઈશ્વરદત્ત કલાના સર્વ કસબનો સુંદર વિનિયોગ શ્રીજીમહારાજની પ્રસન્‍નતાર્થે સંપ્રદાયના અનેક મંદિરોની દ્રષ્‍ટાંતરૂપ સેવામાં કર્યો હતો. ગઢડામાં કલાત્‍મક અક્ષર ઓરડી, ધોલેરા મંદિરના કમાડની બેનમૂન બારસાખ, વડતાલ મંદિરનો ભવ્‍ય દરવાજો તથા જ્ઞાનબાગમાં આવેલો બાર બારણાનો કાષ્ઠહિંડોળો એમની સર્જકતાના સીમાચિહ્નો છે. શ્રીજીમહારાજે તો એમને ગઢડા મંદિરના મહંત બનાવવાનો પોતાનો મનસુબો પ્રગટ કર્યો હતો, પરંતુ વૈરાગ્‍યમૂર્તિ નિષ્‍કુળાનંદે તો એ ઉપાધિ પોતાના ત્‍યાગવૈરાગ્‍યમાં વિઘ્‍નરૂપ માની સૌરાષ્‍ટ્રના શુષ્‍ક પ્રદેશમાં આવેલા ધોલેરા મંદિરના મહંત બનવાનું સ્વીકાર્યું‍. ત્‍યાં જઈને પણ તેઓ પગ વાળીને મહંતની ગાદીએ બેસી ન રહયા, દિવસરાત કારીગરો સાથે મંદિરના સ્‍થાપત્‍યને સુશોભિત બનાવવા માટે મથ્‍યા કરતા. એમાંથી સમય મળે એટલે સંપ્રદાયના સાહિત્‍યને સમૃદ્ધ કરવા માટે લેખન કરતા. વળી પ્રતિદિન સંઘ્‍યા આરતી પછી મંદિરના સભા મંડપમાં યોજાતી ધર્મસભામાં મુમુક્ષુઓને જ્ઞાન-વૈરાગ્‍યની વાતો દ્વારા સમ્‍યક સમજણ આપતા. ધોલેરોમાં સ્‍વામી અત્‍યંત સાદાઈથી પોતાનું વાર્ધકય વીતાવતા હતા. આહારમાં માત્ર બાજરીનો રોટલો અને છાશ જ જમે. એમાં વળી ધોલેરાની ખડકાળ જમીનનું સખત પાણી. પરિણામે સ્‍વામીને આખા શરીરે ગરમી ફૂટી નીકળી. છતાં પણ સ્‍વામી તો દેહની પીડાને સહેજ પણ ગણકાર્યા વિના પોતાના કર્મઠ જીવનની વ્‍યસ્‍ત દિનચર્યા, જૈસે થે... ચાલુ જ રાખતા. પરંતુ એમની આ કારમી દેહપીડા હેતવાળા સંત-હરિભકતોના કોમળ હૈયાને કોરી ખાતી હતી. એકવાર સ્‍વામી સંઘ્‍યાકાળે મંદિરની વાડીએ સ્‍નાન કરવા ગયા હતા, ત્‍યારે મંદિરમા સર્વે સંતો અને સત્‍સંગી હરિભકતોએ ભેગા મળીને શ્રી મદનમોહનજી મહારાજને ગદ્‍ગદ્‍ કંઠે પ્રાર્થના કરીઃ 'મહારાજ, નિષ્‍કુળાનંદ સ્‍વામીને શરીરે જે મહાકષ્‍ટદાયક વ્‍યાધિ થયો છે તે કૃપા કરીને મટાડો અથવા તો સ્‍વામીને સત્‍વરે અક્ષરધામમાં તેડી જાઓ. એમની અસહ્ય દેહપીડા હવે અમારાથી જોવાતી નથી.' પ્રાર્થનાની પૂર્ણાહુતિ બાદ બધા શ્રી ઠાકોરજીના સાંનિઘ્‍યમાં બેસીને શ્રી સ્‍વામિનારાયણ મહામંત્રની ધૂન્‍ય કરવા લાગ્યા. એટલામાં તો સ્‍વામી વાડીએથી સ્‍નાન કરીને મંદિરમાં આવી પહોંચ્‍યા. દેવના દર્શને મંદિરના ગર્ભગૃહમાં ગયા ત્‍યારે સર્વે સંત-હરિભકતોને ધૂન્‍ય કરતા જોઈને સ્‍વામીએ સહસા પૂછયું: 'તમે બધા આજે કોઈ વિશેષ પ્રયોજનથી આ ધૂન્‍ય કરી રહ્યો છો કે શું?' સ્‍વામીનો આવો અણધાર્યો સવાલ સાંભળીને સૌ ચોંકી ઉઠયા. થોડીવાર મંદિરમાં સોપો પડી ગયો. પછી એક સંતે સહેજ સાચવીને કહ્યું‍: 'સ્‍વામી, આજની આ વિશેષ પ્રાર્થનાસભા આપની આ દારૂણ દેહપીડાને ટાળવા માટે શ્રીહરિને ચરણે એક આર્ત યાચના સ્‍વરૂપે આયોજવામાં આવી છે.' આ સાંભળીને સ્‍વામીનો પુણ્‍યપ્રકોપ ભભૂકી ઉઠયોઃ 'મહાપુરુષો, મારા એક પ્રશ્નનો તમે મને સીધે સીધો જવાબ આપો. મેં તમારા બધાનું શું બગાડયું છે? હું મારી રીતે સત્‍સંગની સેવા અને ભજનભકિત કર્યા કરું છું. અને યથાશકિત તમારી પાસે પણ કરાવું છું. હું કયારેય તમને કોઈને કનડું છું કે આજે તમે બધાં ભેગા મળીને મારું બગાડવા બેઠા છો?' આ સાંભળીને સૌ સ્‍તબ્‍ધ થઈ ગયા, સર્વની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ. એક ભલા ભકતે સજળ નેત્રે બે હાથ જોડીને કહ્યું: 'દયાળુ, આપ તો બ્રહ્મસ્‍વરૂપ છો, મુકત છો, આપને દેહાઘ્‍યાસ નથી એટલે આવી અસહ્ય દેહપીડામાં પણ હસતે મુખે ભગવાન ભજો છો. પરંતુ સ્‍વામી, અમે બધા હેતવાળા હરિભકતોને આપની સાથે અત્‍યંત આત્‍મબુદ્ધિ બંધાઈ ગઈ છે, તેથી આપનું આ દુઃખ અમારાથી જોવાતું નથી.' આ સાંભળીને સ્‍વામી સહેજ હસ્‍યા પછી બોલ્‍યાઃ 'તમે મારું દુઃખ જોઈ શક્તા નથી, પરંતુ તમારાથી મારું દુઃખ લઈ શકાય તેમ પણ નથી એ એક હકીકત છે. મારા પ્રારબ્‍ધનું દુઃખ તો મારે ભોગવ્‍યા વિના છૂટકો જ નથી. જો તમે બધા મહારાજને પ્રાર્થના કરીને મારો રોગ મટાડી દો અથવા મને અક્ષરધામમાં મોકલાવો તો મારે મારા બાકી રહેલા પ્રારબ્‍ધ કર્મોને ભોગવવા માટે બીજો જન્‍મ ધારણ કરવો પડશે. વળી શ્રીજીમહારાજ મારા દ્વારા જે સત્‍સંગ સેવા અને સમાસ કરાવે છે તે લાભ પણ બંધ થઈ જશે. માટે કયારેય આવી પ્રાર્થના કોઈના માટે ન કરવી. શ્રીજીમહારાજ જે કરતા હોય તે હંમેશાં સહુના સારા માટે જ હોય છે એવી દ્રઢ સમજણ રાખવી.' એક સંતે વળી વિનંતીના સૂરમાં દલીલ કરતા પૂછયું: 'સ્‍વામી, આપ તો મહારાજના લાડીલા મુકત છો. આપને વળી આ પ્રારબ્‍ધનાં બંધન શેના? એતો સામાન્‍ય બદ્ધ જીવો માટે છે.' આ સાંભળીને સ્‍વામી ફરી ગજર્યા, 'અરે... તમે ભૂલો છો ભકતો, યાદ કરો શ્રીજીમહારાજે છેલ્‍લાના સત્તરમાં વચનામૃતમાં ભરતજીના દ્રષ્‍ટાંતને ચમત્‍કારી કેમ કહ્યું છે. ભરતજી જીવનમુકત હતા તો પણ પ્રારબ્‍ધવશ મૃગનો દેહ આવ્‍યો. જગતનો ઇતિહાસ તપાસો. સત્‍યવાદી રાજા હરિશ્ચંદ્ર અને રાજા રંતિદેવ જેવાને પ્રારબ્‍ધવશ કેવા દુઃખ ભોગવવા પડયા? આપણાં માટે તો શ્રીજીમહારાજની મરજી એ જ આપણું પ્રારબ્‍ધ છે. મહારાજની મરજીથી જીવનમાં જે સુખદુઃખ આવે તે ભોગવી લેવા, એને દુર કરવા માટે મહારાજને પ્રાર્થના ન કરવી. ભગત અને જગતમાં આ એક ઉડીને આંખે વળગે એવો ફરક છે. ભગત ભગવાનની ઇચ્‍છાથી જીવનમાં જે દુઃખો આવે તેને હસતા મોઢે સહન કરે છે, જયારે જગતના વાસનિક જીવો રડતા રડતા ક-મને દુઃખની પીડાને વેઠે છે. સહન તો બધાએ જ કરવું પડે છે, પણ કોણ કેવી રીતે દુઃખનો સામનો કરે છે એ ઉપરથી એની યોગ્‍યતા સિદ્ધ થાય છે. થોડીવાર અટકીને સ્‍વામીએ ફરી પોતાનું વકતવ્‍ય આગળ ચલાવ્‍યું: 'મારા વ્‍હાલાં હરિભકતો, હવે મુખ્‍ય મુદાની વાત કહું છું તે ગણીને ગાંઠે બાંધો. જે ભકતો જીવનમાં માત્ર પંચ વિષયના સુખો જ ઇચ્‍છે છે તેમના ઉપર કયારેય ભગવાનની પ્રસન્‍નતા થતી નથી. મહારાજની મરજીથી જીવનમાં જે તડકો-છાંયડો આવે તેને પ્રભુની પ્રસાદી માનીને ગ્રહણ કરો, આદરપૂર્વક એને અપનાવો . એનાથી કયારેય દુર ન ભાગો. દુ:ખથી દુર ભાગવું એ તો કાયર ભકિત છે. આપણે તો સહજાનંદી સિંહ - શુરવીર નરબંકા છીએ. અને સંતો, તમે સાંભળો.... માત્ર ભગવા વસ્‍ત્રો પહેરી કીર્તન કરવાથી આપણે મુકત નથી બની જતા. મને તો તમારા બધાની વાતો સાંભળીને અચંબો થાય છે. ભગવાનના દુઃખરૂપી પ્રસાદનો અનાદર કરીને પોતાને ભગવાનના ભકત કહેવડાવવું એ તો ભગવાનને છેતરવા બરાબર છે.' સ્‍વામીની આવી મર્મસ્પર્શી ચોટદાર વાતો સાંભળીને સર્વે સંત હરિભકતો તેમના ચરણોમાં લોટી પડયા. સહુએ એકીસ્‍વરે સ્‍વામીને પ્રાર્થના કરી... 'સ્‍વામી, આજે આપે અમારી અંતરની આંખો ખોલી નાંખી અમને સાચા અર્થમાં સત્‍સંગી બનાવ્યા છે. આપે આજે અમને જે જ્ઞાન આપ્‍યું તેને એક કીર્તનના, રૂપમાં જો ગુંથી આપો તો નિત્‍ય એ વાર્તાનું શ્રવણ-મનન થાય.' હરિભકતોની આગ્રહભરી વિનંતીને સ્‍વીકારીને સદ્‍ગુરુ શ્રી નિષ્‍કુળાનંદ સ્‍વામીએ શીધ્ર એક હિન્‍દી કાવ્‍યની રચના કરી તેને આશાવરી રાગની બંદિશમાં ગાઈને સભામાં સંભળાવ્‍યું: 'કયૂં પાયે ઘર દુર, બંદે, કયૂં પાયે ઘર દુર, કાયર ભકિત કામ ન આવે, હો તું અબ નર સુર. બંદે કાવ્યકૃતિ:- કયૂં પાયે ઘર દૂર, બંદે, કયૂં પાયે ઘર દૂર, કાયર ભકિત કામ ન આવે, હો તુ અબ નર સુર. બંદે. ટેક. મીરાં મોરઘ્‍વજ તજી મમતા, હરિસે રહે હજુર, ભૂપતિ ગોપીચંદ ભરથરી, તન-ધન જાને ધુર. બંદે. (૧) શેખ ફરિદ કૂવા બીચ લટકે, શૂલી ચડે મનસૂર, શહેર બિલાખ સહિત બાજંદે, તજી સોલસે હુર. બંદે. (ર) સમસ્‍ત તબરે જેને સિરકી ચમડી, ખેંચ દઈ જીન દૂર, તનસુખ ચાહે રામ રીઝાયે, એનો બાત હૈં કુર. બંદે. (૩) બહાના બનાયે સાખી પદ ગાયે, માનું ભકિત લઈ ભરપુર, નિષ્‍કુળાનંદ એહી અચંબા, હરિકુ ધૂતત ભુર. બંદે. (૪)

વિવેચન

આસ્‍વાદઃ સદ્‍ગુરુ નિષ્‍કુળાનંદ સ્‍વામીનું પ્રસ્‍તુત હિન્‍દીપદ વૈરાગ્‍યમૂલક ઉપદેશનું ઘોતક છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિઘ્‍ધાંતોમાં વૈરાગ્‍ય એક આગવું સ્‍થાન છે. ડો. યૂથી લખેછે ; Vairagya is a very important and essential part of Swaminarayan’s teachings. 'ત્‍યાગ ન ટકે રે વૈરાગ્‍ય વિના, કરીએ કોટિ ઉપાયજી, એ અમર કવિતાના પ્રાણવાન પુરસ્કર્તા સદ્‍ગુરુ નિષ્‍કુળાનંદ સ્‍વામીને સ્‍વયં ભગવાન શ્રી સ્‍વામિનારાયણે વૈરાગ્‍યમૂર્તિનું બિરુદ આપ્‍યું હતું. નિષ્‍કુળાનંદ એમના પદોમાં દ્રઢતા, શ્રદ્ધા અને ત્‍યાગને જ ભકિત કહે છે. કાવ્યનો ઉપાડ આકર્ષક છે. ધ્રુવ પંકિતમાં જ કવિ રૂપક રચીને તથા કથનનું પુનરાવર્તન કરીને એને વધુ ચોટદાર અને વેધક બનાવે છે. કવિએ મુમુક્ષુ ભકતને બંદે ! તરીકે સંબોધી એને ટપાર્યો છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયને અભિમત અક્ષરધામ એ જ આત્‍યંતિક કલ્‍યાણ પછી સર્વે મુકતાત્‍માઓનું ઘર યાને આખરી વિરામસ્‍થાન (મંઝિલ) છે. પરંતુ જે શૂરવીર ભકતોએ શિર સાટે ભગવાનને ભજયા હોય છે એને જે અક્ષરધામની પ્રાપ્‍તિ થાય છે. નિષ્‍કુળાનંદ ઉપાલંભના સૂરમાં મોક્ષાર્થી ભકતની સામે એક ધ્રુવપ્રશ્ન મૂકે છેઃ હે ભકત, તેં તારી જાતને તારી મંઝિલથી અક્ષરધામરૂપી તારા ઘરથી આટલી બધી દૂર, આટલી બધી અળગી કેમ કરી દીધી છે? સવાલની વેધકતા અને એના કથન પાછળનો કટાક્ષ હજી ઓસરે એ પહેલાં જ કવિ એનું સમાધાન આપતા કહે છેઃ 'કાયર ભકિત કામ ન આવે, હો તુ અબ નર સુર.' કવિના ધ્રુવપ્રશ્નનોનો જવાબ પણ આમાં છે અને સાથે સાથે પ્રેમાળ પ્રોત્‍સાહન પણ. અહીં કવિ પ્રીતમદાસની ખ્‍યાતનામ કાવ્યપંક્તિ યાદ આવે છેઃ 'હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. પરથમ પહેલાં મસ્‍તક મૂકી, વળતું લેવું નામ જો.' આત્‍યંતિક કલ્‍યાણનો માર્ગ એ વીરોનો માર્ગ છે. એમાં કાચાપોચાનું કામ નથી. પરંતુ પ્રગટ પુરુષોત્તમનારાયણની પ્રાપ્‍તિ થયા પછી હવે તો તું સહજાનંદી સિંહ છે, તારી જાતને હવે તું નબળો ન માન. જગતના વાસનિક જીવોની સાથે રહીને તું તારી સાચી ઓળખ ભૂલી ગયો છે, માટે હવે અજ્ઞાનતાની એ ભ્રામક જાળને ભેદીને તું તારા આત્‍મબળને જાગૃત કર! કવિએ પોતાના કથ્‍યને વધુ ઉજાગર કરવા માટે પુરાણ અને કુરાનમાંથી અનેક પ્રેરણાદાયી દ્રષ્‍ટાંતો આપ્‍યા છે. મેવાડની મીરાંએ પોતાની કૃષ્ણભકિતને કેટકેટલાં કષ્‍ટો વેઠીને પણ અખંડ પ્રજવલિત રાખી હતી. શ્રીકૃષ્ણના પરમ ભકત રાજા મોરઘ્‍વજની કસોટી કરવા માટે સ્‍વયં શ્રીકૃષ્ણ અર્જુનની સાથે તેની પાસે ગયા હતા. શ્રીકૃષ્ણનો આદેશ થતાં મોરઘ્‍વજ પોતાના મસ્‍તક ઉપર કરવત મૂકાવવા તૈયાર થઈ ગયો હતો. આ જગતમાં જેણે જેણે પણ હરિનો મારગ લીધો છે તેણે માથે કફન બાંધીને હંમેશા કેસરિયા કર્યા છે. એ શૂરવીર નરબંકાઓ કયારેય રણમેદાનમાંથી પીઠ દેખાડીને ભાગ્‍યા નથી. ગોપીચંદ બંગાળમાં આવેલ રંગપુરનો રાજા હતો. તે ભતૃહરિની બહેન મેનાવતી અને રાજા ત્રિલોકચંદ્રનો પુત્ર હતો. તેણે પોતાની માતા મેનાવતીના ઉપદેશથી રાજપટ છોડી સંન્‍યાસ લીધો હતો. તે જલંધરનાથનો શિષ્‍ય હતો અને ત્‍યાગી થયા પછી તેણે પોતાની પત્‍ની પાઠમદેવી પાસે મહેલમાં જઈ ભિક્ષા માગી હતી. ભતૃહરિ ઉજજયિનીનો સુપ્રસિદ્ધ રાજા હતો. પોતાની પ્રિય પત્‍ની પિંગળાને પોતાના અશ્વપાલ સાથે પ્રેમ કરતી જાણીને તેને તીવ્ર વૈરાગ્‍ય પ્રગટયો હોવાથી તેણે રાજપાટ છોડીને ભેખ લીધો હતો. જગતનો ઇતિહાસ તપાસતાં એમ જોવા મળે છે કે મોટા મોટા રાજા-મહારાજા અને બાદશાહો પણ વૈરાગ્‍યને લીધે ત્‍યાગી બનીને મોક્ષના માર્ગે ચાલ્‍યા છે. શેખ ફરિદ અને મનસૂર સૂફી સંતો હતા. પરવરદિગારના એ નેક બંદાઓએ ખુદાને માશૂક માનીને બેઇન્‍તહા મહોબ્‍બત કરતા કરતા મોતને વ્‍હાલું કર્યું હતું. મનસૂર નવમી સદીમાં ઇરાકના બેજાનગરમાં હુસેનહલ્‍લાજ નામના મુલસમાનને ત્‍યાં જન્‍મ્‍યો હતો. બર્ફ નામના પહાડ ઉપર ખુદાએ મનસૂરને પોતાનો ગેબી પૈગામ આપ્‍યો હતો કે ખુદાતાલા પ્રત્‍યેની બેપનાહ મહોબ્‍બત એજ ખુદાની ખરી ઇબાદત છે. એ પછી અલ્‍લાહનો ઈલમી કરિશ્‍મા મનસૂરીની રગેરગમાં એવો તો વ્‍યાપી ગયો કે તે અહોનિશ અનલહકનો પોકાર કરવા લાગ્‍યો. અનલહક એ ફારસી શબ્‍દ છે એનો અર્થ 'અહં બ્રહ્માસ્‍મિ' અર્થાત 'હું ખુદા છું. ‘એવો થાય છે. ઇસ્‍લામના સિદ્ધાંત મુતાબિક અલ્‍લાહ એક જ છે અને બીજું કોઈ અલ્‍લાહ બની નથી શકતું. પરિણામે બગદાદના ખલીફા મકતદિરે મનસૂરને ઇસ્‍લામ વિરોધી સમજીને કેદખાનામાં નાંખ્‍યો. જેલમાં ખલીફા મનસૂરને સમજાવવા જાય છે કે તું અનલહકની તારી જિદ્દ છોઠી દે, નહીં તો તને ફાંસી આપવામાં આવશે. ત્‍યારે મનસૂર ખલીફાને કહે છેઃ મુઝે ઉઠાને આયા હે વાઇઝ-એ-નાદાં? જો ઉઠા સકે તો મેરા સાગર-એ-શરાબ ઉઠા. કહીંસે બર્ફ બિજલી ચમકતી હૈ દેખ વાઇજ, મૈં મેરા જામ ઉઠાતા હૂઁ તું તેરી કિતાબ ઉઠા. મનસૂરનો આ મર્મી શેર સમજવા જેવો છે. 'હે નાદાન ધર્મ ઉપદેશક, તું મને સમજાવવા આવ્‍યો છે? જો તું ખરેખર મને સમજાવવા માગતો હોય તો પહેલાં ખુદા પ્રત્‍યેની મારી મહોબતને સમજ, મારા ભકિતના કેફને સમજ. બર્ફ નામના પહાડ ઉપર ખુદાએ જયારે મને આ પ્‍યાર મહોબતનો પૈગામ આપ્‍યો, ત્‍યારે ખુદાઇ નૂરથી એ પહાડ ઉપર વિજળી પડી અને પહાડ ભસ્‍મીભૂત થઈ ગયો હતો. હે ધર્માંધ ખલીફા, એ પૈગામ તું યાદ કર. છતાં પણ મારી વાત તારા પલ્‍લે ન પડતી હોય તો મને મારા હાલ ઉપર છોડી દે. હું તો અનલહકના નાદ સાથે જ ભકિતના નશામાં અલ્‍લાહનો પ્‍યારો થઈશ, તું તારા કિતાબી તથા કથિત જ્ઞાનનો ભાર લઈને ફર.' મનસૂર પરમાત્‍માનું પરમસાધર્મ્ય પામેલો ફરિસ્‍તો હતો, એ ખુદાના નામે ખુશી ખુશી શૂળી ઉપર ચડી ગયો. બલ્‍ખ બુખારાના બાહશાહ બાજંદની જાહોજલાલીનો પાર નહોતો. એના હરમમાં સોળસો રાણીઓ હતી. પરદેશ જવું હોય તો એના રસોડાનો સામાન ત્રણસો ઉંટો ઉપર જતો. આવા ભોગવિલાસી બાજંદનું માનીતું એક ઉંટ એકવાર અચાનક મરી જતા બાજંદને ગૌતમ બુદ્ધની જેમ વૈરાગ્‍ય સાંપડયો અને એ પોતાનો સઘળો વૈભવ છોડીને ફકીર બની ગયો. આ બધા રજોગુણી રાજાઓ જે રાતદિવસ મોજશોખમાં મગ્ન રહેતા એમના માટે એશોઆરામની જિંદગી છોડવી એ તો જીવતે જીવ ચામડી ઉતરડી નાંખવા જેવું કષ્‍ટદાયક હતું, પરંતુ જયારે વૈરાગ્‍યે એમનું ગળું ઝાલ્‍યું ત્‍યારે એ ત્‍યાગ શકય બન્‍યો. પંચ વિષયના દેહસુખ ભોગવવા અને ભગવાનની પ્રસન્‍નતા પણ પ્રાપ્‍ત કરવી આ બે વાત એકસાથે કયારેય શક્ય નથી. ભગવાનની કૃપા (Grace)‍ જોઇતી હોય તો દેહના સુખોનો ત્‍યાગ કરી પરમાત્‍માની ઇચ્‍છાથી જીવનમાં જે દુઃખો આવે તેને સહર્ષ સ્‍વીકારવા. કવિ બાલશંકરે ખૂબ જ સુંદર વાત કરી છેઃ 'ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્‍યારું પ્‍યારાએ, અતિ પ્‍યારું ગણી લેજે.' અંતિમ અંતરામાં કવિ આજના તથાકથિત સાધુઓ અને વિદ્વાનો તરફ લાલબત્તી ધરતા કહે છેઃ ભગવા વસ્‍ત્રોનું બહાનું બનાવી મુખેથી કાવ્‍ય-કીર્તનના પદો ગાવાથી કોઈ સંત નથી બની જતું. નિષ્‍કુળાનંદ અંતે આક્રોશપૂર્વક આલાપે છે કે મને તો આવા ધતિંગ જોઈને અચંબો થાય છે કે આજે ઠગ ભગતો ભકિતના આડંબર નીચે ભગવાનને છેતરવાની ધૃ‍ષ્‍ટતા કરે છે. આજથી લગભગ પોણા બસો વરસ પહેલાં સદ્‍ગુરુ નિષ્‍કુળાનંદ સ્‍વામીએ લખેલી આ હકીકત આજે પણ એટલી જ પ્રસ્‍તુત છે. તેથી જ એક આધુનિક શાયરે લખ્‍યું છે- 'મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ, તારાબનાવેલા આજે તને બનાવે છે.-

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી