આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઇ;૧/૪

 આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઈ;
	પ્રેમમગન હોઈ પ્રભુ સંગ ખેલે, બહુવિધ રંગ બનાઈ...૧
ચુવા ચંદન અબીર અરગજા, કેસર ગાગર ઘોરી;
	સબ હી સંગ લેહુ વ્રજવનિતા, ભર ગુલાલકી ઝોરી...૨
ભૂષણ વસન સુરંગી પહીરો, પ્રેમસે લ્યો પિચકારી;
	શ્વેત વસ્ત્ર સબ ધારી શ્યામરો, ખેલનકું ભયે ત્યારી...૩
રસિકરાય સંગ ફાગ ખેલીકે, તન મન અર્પણ કીજે;
	મુક્તાનંદ કે નાથકું ઉર ધારી, જનમ સુફળ કરી લીજે...૪ 
 

મૂળ પદ

આજ અનુપમ દિવસ સખીરી, વસંતપંચમી આઇ;

મળતા રાગ

વસંત

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

મનુષ્‍યજીવનમાં વસંતનો વિલાસ પ્રગટતા જ યૌવનનો અનેરો થનગનાટ ક્ષણે ક્ષણને આનંદ અને ઉલ્‍લાસથી ભરી દે છે. “યા પિંડે સા બ્રહ્માંડે” એ ન્‍યાયે પ્રકૃતિમાં પણ જયારે વાસંતી વાયરા વાય છે ત્‍યારે સકળ સૃષ્ટિ સમુલ્‍લાસભેર વસંતના વધામણાં ગાય છે. મઘ્‍યકાલીન ગુજરાતી સાહિત્‍યમાં કવિઓએ વસંતને મન મૂકીને ગાયો છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતકવિઓએ પણ વસંતગાનને એક ભકિતભાવન ઉદ્દીપક તરીકે સ્‍વીકારીને એનો યથોચિત ઉપયોગ પોતાની ભકિતઆરાધનામાં પ્રગલ્‍ભપણે કર્યો છે. વસંતનો ઉત્‍સવ એ તો આનંદનો ઉત્‍સવ છે. પ્રત્‍યેક મુમુક્ષુ શાશ્વત આનંદનો ઉપાસક છે. તેથી જ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ વસંતને વધાવવા વસંતપંચમીનો મહોત્‍સવ હંમેશા ભારે ભવ્‍યતાથી રંગેચંગે ઉજવતા હતા. આ. સં. ૧૮૬રમાં શ્રીજીમહારાજ લોયાના દરબાર સુરાખાચરના આગ્રહભર્યા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને વસંતોત્‍સવ ઉજવવા માટે સર્વે સંત હરિભકતો સાથે લોયા પધાર્યા હતા. મહારાજની સાથે આ ટાણે સંતમંડળમાં મોવડી તરીકે સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામી હતા. ગઢપુરથી હરિભકતોનો બહુ મોટો કાફલો વસંતોત્‍સવ ઉજવવા માટે લોયા આવ્‍યો હતો. લોયા દરબાર સુરા ખાચર ભારે ઉત્‍સાહી ભાવુક ભકત હતા. તેમણે આ મહોત્‍સવ માટે દિલથી તૈયારીઓ કરી હતી. આખું લોયા ગામ આ પ્રસંગે ધજા-પતાકા તથા આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્‍યું હતું. ધૂળિયા રસ્‍તાઓને વાળી ઝૂડીને સ્‍વચ્‍છ કરી પાણીનો છંટકાવ કરી નંદનવન સમું રમણિય વાતાવરણ સર્જવામાં કોઈ કસર રાખવામાં નહોતી આવી. જાણે દિવાળીનું દેદિપ્‍યમાન પર્વ હોય તેમજ ગામના પ્રત્‍યેક ઘર રંગોળી, સાથિયા અને તોરણોથી શોભતા હતા. સુરાખાચરનો શ્રીજીમહારાજ પ્રત્‍યેનો અનન્ય સખાભાવ અર્જુનના શ્રીકૃષ્ણ સાથેનો સખાભાવથી સહેજ પણ ન્‍યૂન નહોતો. એટલું જ નહીં, એમનો સ્‍વભાવ એટલો બધો રમૂજી હતો કે સત્‍સંગમાં સુરાખાચર અને હાસ્‍ય બંને એકબીજાના પર્યાય બની ગયા હતા. સુરા ખાચરની રમૂજવૃતિ અદ્‍ભુત હતી. એમનો દેખાવ પણ એટલો જ રમૂજ પ્રેરક હતો. મહારાજ એમને જોઈને જ અનાયાસે હસી પડતા, એમની વાત સાંભળીને મોંઢે આડો રૂમાલ રાખીને ખડખડાટ હસતાં તેમના માથે બાંધેલા મોટા પ્રચંડ પાઘડાને જોઈને હસતા અને એમની મોટી માટલા જેવી ફાંદને બંને હાથે હલાવીને હસતા. સુરાખાચર ઘણીવાર મહારાજને કહેતાઃ 'પ્રભુ, અમને જયારે અંતરમાં અજંપો થાય છે, ત્‍યારે આપને સંભારીએ છીએ એટલે અંતરમાં એકદમ ટાઢું થઈ જાય છે. તેમ તમે જયારે ઉદાસ થાઓ ત્‍યારે મને સંભારજો, મારા મોટા પાઘડાને યાદ કરજો અથવા છેવટે મારી આ ગોળી જેવી ફાંદને. પછી જો જો તમારી ઉદાસિનતા કેવી ભાગી જાય છે...’ મહારાજ આ સાંભળીને ખૂબ હસતા. વસંતપંચમીના આગળના દિવસે મહારાજે સુરાખાચરને બોલાવીને કહ્યું : 'દરબાર, આવતી કાલે વસંતપંચમી છે માટે કેસૂડાનો રંગ બનાવડાવો. દેશદેશાંતરથી આવેલા હરિભકતો પોતાની સાથે અબિલ-ગુલાલ લાવ્‍યા છે. સુરાખાચર કહે, 'મહારાજ, બધી તૈયારી થઈ ગઈ છે. વસંતનું પૂજન કરવા શી સામગ્રી જોઈશે તે કહો.' શ્રીહરિએ સૂચના આપતા કહ્યું‍: 'તમારા દરબાર ગઢમાં મંડપ બંધાવી તેની વચ્‍ચે વેદિકા બનાવો. તેમાં રંગોળી રચી અષ્‍ટદળ કમળ ચીતરાવી તેની ઉપર જળ ભરેલો સુવર્ણ કળશ, તેમાં આંબાનો મોર, દુર્વાના પાન વગેરે નાંખી ઉપર શ્રીફળ ગોઠવી પધારવજો. તે કળશનું પૂજન કરી આપણે વસંતોત્‍સવનો પ્રારંભ કરીશું.' શ્રીજીમહારાજની સૂચના અનુસાર વસંતપંચમીના શુભપર્વે સઘળી તૈયારીઓ થઈ ગઈ. શ્રીહરિ સંતો સાથે મંડપમાં પધાર્યા અને કળશનું પૂજન કર્યું. ત્‍યાં તો સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામીએ વસંતને વધાવતા દોહા લલકાર્યા‍: 'સબ ઋતુરાજ વસંત હૈ, મોર્યો શ્રીહરિ અંબઃ બિરહી કોકિલ સ્‍વર કરે, ફૂલે સંત કદંબ.' આ પ્રસંગે હાજર રહેલા સૌના અંતર વસંતના આગમને પ્રફુલ્‍લિત થઈને પૂર્ણ પણે પાંગરી ઉઠયા. શ્રીહરિએ સુવર્ણ પિચકારી લઈ કેસૂડાના રંગ છાંટી સર્વેને કેસરભીના કર્યા. ફગવા અને ગુલાલથી આખુંય વાતાવરણ રંગભીનું અને ઉલ્‍લાસમય બની ગયું. સંતોએ રસની રમઝટ બોલાવી. મુકત મુનિ નૃત્ય સાથે વસંત રાગમાં ગાઈ રહ્યા હતાઃ ' આજ અનુપમ દિવસ સખી રી, વસંતપંચમી આઈ...' આનંદ, ઉલ્‍લાસ અને નૃત્યસંગીત એ ત્રણેયનો જયાં સંગમ થાય છે, ત્‍યાં વસંતનો વિલાસ એની સોળે કળાએ ખીલી ઉઠે છે. ભકતોના અંતરતમ ભકિતભાવને મુકતમને મુખરિત કરતું વસંતગાન વાજિંત્રોના સૂર તાલ સાથે વાતાવરણને અનેરા આહ્‍લાદથી ભરી દેતું હતું. કાવ્યકૃતિ :-(દોહા) સબ ઋતુરાજ વસંત હૈ, મોર્યો શ્રીહરિ અંબ, બિરહી કોકિલ સ્‍વર કરે, ફૂલે સંત કદંબ. ૧ પુરુષોત્તમ પ્રગટ જબે, તબ ઋતુરાજ વસંત, જૂઈ ચમેલી માલતી, કેસુ ફૂલે સંત. ર શ્‍યામ સુંદરવર નિરખિકે, કિયો કુમતિ કો અંત, પુરુષોત્તમ પદરત ભયો, તા ઘર સદા વસંત. ૩ આજ પંચમી સુભગ દિન, આજ લાગ્‍યો ઋતુરાજ, મુકતાનંદ કે નાથસોં, ખેલન સજો સમાજ. ૪ તબ ઋતુરાજ વસંત હૈ, જબ ભઈ હરિસોં ભેટ, પ્રેમ મગન ગુન ગાઇએ, લોકલાજ સબ મેટ. પ ઉત્પત્તિઃ- સંવત્ ૧૮૬૨ ના મહાસુદિ પંચમીનું સુપ્રભાતમ એટલે મંગલમય વાતાવરણનું આહ્લાદક અમીઝરણું ! આજની વહેલી સવારના પહોરમાં વિશ્વાસની પરાકાષ્ટાએ પહોંચેલા દાદાખાચરના દરાબારમાં વસંતનાં વાયરામાં ભક્તિની ભભક ઝળકે છે. સર્વેશ્વરની સેવામાં જ સુખ માનતા સંતો શુદ્ધ સમજણથી સુવાસિત સુમનની છાબ ભરી વસંત સંત ને ભગવંતને વધાવવા ઉત્સુક બન્યા છે. કોઈ ભક્ત જાઈ, જૂઈ કે ચમેલીના હારથી, તો કોઈ ભક્ત ડોલર, ગુલાબના ગજરાથી, કોઈ સંત કેસુડાના કાષાય રંગથી, તો વળી કોઈ કાવ્ય-કુસુમથી ભગવાન શ્રીહરિને વધાવવા વહેલામાં વહેલા જાગી તૈયાર થઈ રહ્યા છે. તો આ બાજુ રાત્રિના છેલ્લા બે પહોરથી ધ્યાનસ્થ થયેલા સદ્ગુરુ મુક્તાનંદસ્વામીની પર્ણકુટિ સુધી ભાવોત્સુક બનેલા ભક્તોની ભીનાશ પહોંચી ગઈ. અચાનક સ્વામી ચમક્યા. આગલા દિવસના શ્રીજી આદેશની સ્મૃતિ થઈ આવી કે આજે વસંતોત્સવ ધામધૂમથી ઊજવવાનો છે. એટલે જ આ બધા સંતો વહેલા પરવારી ઉત્સવ સામગ્રીની તૈયારી કરતા લાગે છે. તો લાવ હું પણ એ તૈયારીમાં સહભાગી બનું. પણ વિચાર થયો કે હું તેમની પાસે જઈ સેવા માગીશ તો પણ મને કોઈ કશી સેવા કરવા દેશે નહીં! તો હવે શું ! આમ વિચારોનાં વમળમાં સ્વામી ઊંડા ઉતરી ગયા! સ્વામી ખોવાઈ ગયા સેવાના સરોવરમાં સહભાગી બનવાના સૂરમાં…પરંતુ થોડી જ વારમાં સ્વામીના વિચારોમાં ભાવનાની ભરતી આવી. શબ્દોનાં મોજાં ઊછળ્યાં. વસંતથી નવપલ્લવિત થયેલાં, ઝાડ-પાન તેમ જ વિરહી કોકિલાદિ પક્ષીઓના કલરવરૂપી ઘુઘવાટા થયાં સૌની ‘મા’ એવા મુક્તમુનિનું મનમંદિર આજે મોજમાં આવી આંખે દેખેલા અહેવાલને આલાપી ગાઈ ઊઠ્યુ … દોહા સબ ૠતુરાજ વસંત હૈ, મોર્યો શ્રીહરિ અંબ, વિરહી કોકિલ સ્વર કરે, ફૂલે સંત કદંબ. પુરુષોત્તમ પ્રગટ જબે, તબ ૠતુરાજ, વસંત જાઈ, ચમેલી, માલતી, કેસુ ફૂલે સંત. આજ પંચમી સુભગદિન, આજ લગ્યો ૠતુરાજ, મુક્તાનંદ કે નાથસો, ખેલન સાજો સમાજ.

વિવેચન

આસ્‍વાદઃ વસંતપંચમી એ ભગવાન સ્‍વામિનારાયણના ઉપાસક મુમુક્ષુઓ માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ દિવસ છે. આ પર્વાધિરાજે પરાત્‍પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણુ વડતાલમાં પોતાની વાણીસ્‍વરૂપા 'શિક્ષાપત્રી'નું સર્જન કર્યું હતુ. વનમાં, જનમાં અને તન-મનમાં વસંતની ખુમારી નવું જોમ પ્રગટાવે છે. તેથી જ એ વિકાસની સૂચક માનવામાં આવે છે. એટલું જ નહીં, એ ઉલ્‍લાસ અને ઉમંગની ઘોતક બની રહે છે. જીવનમાં અને ભકિતમાં વસંતની મહત્તા બેશક સ્‍વીકારાઈ છે. શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના આદિ કવિ સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામી આ ઐતિહાસિક વસંતગાનનો આરંભ 'સબ ઋતુરાજ વસંત હૈ...' એ દોહા દ્વારા કરે છે. દોહાબંધ આ કાવ્‍યની પંકિતએ પંકિતએ સંત કવિ મુકતાનંદ મન મૂકીને મહોરે છે. એમ કહેવાય છે કે જ્યારે વિરહાકુળ કોકિલ પોતાની પ્રિયતમાના વિયોગમાં કેલી કૂજન કરે છે ત્‍યારે એના આર્તનાદના પડઘારૂપે વન ઉપવનમાં વસંતનું આગમન થાય છે. પરિણામે આંબા ઉપર મહોર આવે છે અને જૂઈ, ચમેલી, અને માલતીની લતાઓ સુંદર સુવાસિત પુષ્‍પોથી પલ્‍લવિત થઈ જાય છે. પ્રકૃતિના આ વસંતવિલાસને કવિ તાત્‍વિક દ્રષ્ટિએ મૂલવતા કહે છેઃ આ બ્રહ્માંડના વૈરાજ નારાયણે દીર્ઘકાળ પર્યંત કઠોર તપશ્ચર્યા કરી ત્‍યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ લોકમાં પ્રગટ થયા અને એમના પ્રાગટયના પગલે જ આ સકલ સૃષ્ટિમાં કલ્‍યાણની વસંતનું આગમન થઈ ચુકયું છે. જે જીવાત્‍માઓએ શ્રીહરિના શ્‍યામ સુંદર સ્‍વરૂપને ઓળખીને પોતાની અજ્ઞાનવશ અશ્રદ્ધાનો ત્‍યાગ કરી એમને પોતાના અંતરમાં પધરાવ્યા તેના હૃદય મંદિરમાં સદાકાળ માટે વસંતે વાસ કર્યો છે. વસંતપંચમીના સુભગ દિનથી ઋતુરાજ વસંતનો પ્રારંભ થાય છે. એ દિવસે સકળ સૃષ્ટિ સમુલ્‍લાસથી આનંદ મંગલના ગીતો ગાય છે. પરંતુ કવિને મતે તો જીવને જયારે પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્‍વામિનારાયણમાં પરાત્‍પર પરબ્રહ્મની પ્રતીતિ થાય છે એ દિવસે જ એના જીવનમાં વસંતનું પદાર્પણ થાય છે. માટે પ્રેમમગ્ન થઈને લોકલાજ છોડી નિરંતર હરિગુણ ગાવા જોઈએ. હવે કવિનું વસંતગાન રાગ વસંતની સ્‍વર રચના દ્વારા સંગીતની સુરમ્‍ય સૂરાવલિ અને ભાવમનોહર શબ્‍દ રંગોથી વાતાવરણને રસતરબોળ કરી દે છે. આજ અનુપમ દિવસ સખી રી વસંતપંચમી આઈ, પ્રેમમગન હોઈ પ્રભુસંગ ખેલે, બહુવિધ રંગ બનાઈ. જીવ જયારે અજ્ઞાનનો અચંળો છોડીને શિવત્‍વને પામે છે, ભકત જયારે પરમાત્‍માનું પરમ સાધર્મ્ય પામીને પરમાત્‍મરૂપ થાય છે ત્યારે એના જીવનમાં આનંદના આવિષ્‍કારરૂપ વસંતનું આગમન થાય છે. ચુવા, ચંદન, અબીલ, અરગજા, કેસર, ગુલાલ આ બધાં સુગંધયુકત વિવિધ રંગો એ પરમાત્‍માના દિવ્‍ય સ્‍વરૂપદર્શન દ્વારા અનુભવાતા વિવિધ ભાવસંવેદનોના પ્રતિકો છે. મહામુકતરાજ અબજીબાપાશ્રી હંમેશા કહેતા કે મહારાજની મૂર્તિમાંથી આનંદના ઓઘ ઉતરે છે. ખુશ્‍બુની છોળો ઉડે છે, વિવિધ સુખાનુભવોની લ્‍હાણી થાય છે. અક્ષરધામમાં સદાય વસંતોત્‍સવ ઉમંગભેર મહારાજ અને મુકતો વચ્‍ચે ઉજવાયા કરે છે! અંતિમ ચરણમાં મુકત મુનિ મુમુક્ષુને મહામૂલી શિખમણ આપતા કહે છે- રસિકરાય સંગ ફાગ ખેલિ કે, તન-મન અર્પણ કીજે, મુકતાનંદ કે નાથ કુ ઉર ધરી, જનમ સુફલ કરી લીજે. તન અને મનથી સંપૂર્ણપણે સમર્પિત થયા વિના કેવળ બાહ્ય આડંબર દ્વારા પ્રભુ ભકિત કરવાથી જીવનમાં કયારેય વસંત નથી પાંગતી. માટે જો પરમાત્‍માના રસાત્‍મક સ્‍વરૂપને રંગ લાગ્‍યો હોય તો તન અને મનથી એ સ્‍વરૂપને સમર્પિત થવું અત્‍યંત આવશ્‍યક છે. 'પરથમ પહેલાં મસ્‍તક મૂકી, વળતું લેવું નામ જો' આ કાવ્‍યપંકિતમાં સમર્પણને જ ભકિતમાર્ગનું પ્રથમ પગથિયું બતાવ્‍યું છે. બીજી શિખામણ કવિ એ આપે છે કે મુમુક્ષુને ભકિતનો રંગ લાગ્‍યા પછી સંપૂર્ણત: સમર્પિત થયા બાદ પ્રગટ પુરુષોત્તમના સાકાર સ્‍વરૂપનું અંતરમાં ઘ્‍યાન ધરીને આત્‍યંતિક કલ્‍યાણના અધિકારી બની પોતાનો જન્‍મ સફળ કરી લેવો જોઈએ.સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામીની પ્રસ્‍તુત વ્રજભાષા કવિતા પ્રાસાદિકતા, શબ્‍દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમ જ પદલાલિત્‍યથી ભરપૂર છે. વિવેચન ૨ ભાવર્થઃ- બધી ૠતુઓનો રાજા એટલે વસંતૠતુ. વસંતૠતુમાં આમ્રવૃક્ષ ફળે છે. પરંતુ કોયલની ચાંચ પાકવાથી તે કેરીના રસની મજા માણી શક્તી નથી. એટલે રસાસક્તિના કારણે વિરહી સ્વરે ટહુકા કરે છે. સ્વામી અહીં ફળસભર આમ્રવૃક્ષરૂપે શ્રીહરિને સંબોધે છે. એ ફળપ્રદાતા પ્રગટપ્રભુને જોઈ સંતરૂપી કદંબો ફાલ્યાં ફૂલ્યાં ફરે છે. પ્રગટ પૂર્ણપુરુષોત્તમ જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે જૂઈ, ચમેલી અને માલતી જેવા ભક્તિની ભભકવાળા ભક્તને મન તો હંમેશને માટે વસંત જ છે. વળી, એ પુરુષોત્તમના પ્રસંગે કેસુડાના રંગની ઝાંખી કરાવે તેવા કાષાયી રંગે રંગાયેલા સંતોનાં મન અતિ પ્રફુલ્લિત થાય છે. સ્વામી કહે છે કે,“આજ વસંતપંચમીનો પવિત્ર દિન જોઈ મારો વ્હાલો ભક્તોના સંગે ભક્તિના રંગે રમવા તૈયાર થયા છે II૧થી ૩II ભાવાર્થઃ- સ્વામી પ્રસ્તુત પદમાં પોતાની સાહેલીને ઉદ્દેશીને કહે છે કે હે સાહેલી ! આજ અનુપમ દિવસ છે. વળી વસંતપંચમી આવી છે. માટે મનમાન્યા અનેકવિધ રંગ બનાવી પ્રેમઘેલી બની પ્રભુના સંગે–રંગે રમવું છે IIટેકII રંગસામગ્રીમાં ઉત્તમમાં ઉત્તમ ચુવા, ચંદન, અબીર, અરગજા અને કેસરના રંગની ગાગરો અને ગુલાબની ઝોળીઓ ભરી છે. વ્રજભક્તોને સાથે લીધા છે. ભક્ત અને ભગવાને અવનવા શણગારો સજ્યા છે. શ્યામે શ્વેત વસ્ત્ર ધાર્યાં છે. સૌએ પ્રેમથી પીચકારીઓ હાથમાં લઈ રંગ રમવાની તૈયારીઓ કીધી છે. II૨II સર્વ ભક્તવૃંદે રસિકરાયના સંગે રંગની ધૂમ મચાવી છે. સ્વામી કહે છે કે સંતવૃંદની સાથે મારો નાથ ખેલે છે. રંગે રમે છે. ગુલાબની ઝોળીઓ ભરી ઉડાડે છે. તેથી આકાશમાં લાલ ગુલાલની ગરદી ચડી છે. તનમન અર્પણ કરી સૌ ફાગ ખેલી જન્મ સફળ કરી રહ્યા છે. એટલે જ હે સાહેલી ! આજ આ અનુપમ દિવસ અનુપમ રીતે ઓપવા લાગ્યો છે. II૩II રહસ્યઃ- વસંતની વ્હાલપે વહેતા વ્હાલાને વધાવવા વારી ગયેલા મુક્તમુનિના આ પ્રસ્તુત પદમાં વસંત, સંત, અને ભગવંતનો ત્રિવેણી સંયોગ અદ્ભુત રીતે આલેખાયો છે. સંત કમળવન ફૂલ્યાં છે. શ્રીહરિરૂપી આંબો મોર્યો છે. પ્રગટ પુરુષોત્તમ મળ્યા તેને સદાયને માટે ‘વસંત’ જ છે. એટલે જ કવિએ પ્રસ્તુત પદનો રાગ વસંત જ પસંદ કર્યો. ભગવાનના સંગે-રંગે રાચવું એ કાંઈ સહેલું નથી. માયાવી રંગનો મોહ ટળ્યા પછી જ મહારાજને રંગે રમી શકાય છે. એ કઠિનતાને લક્ષમાં રાખી કવિએ પદનો રાગ પણ કઠિન પસંદ કર્યો છે. શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ વસંત રાગ ગાવો ઘણો કઠણ છે, કારણ કે આ રાગમાં શુદ્ધ, કોમળ અને તીવ્ર સ્વરનો પ્રયોગ થાય છે. એટલે સુગેયતાની દ્રષ્ટિએ ધારીએ તેટલું સરળ નથી. સ્વામીએ એ પ્રસંગે આવા વસંતોત્સવનાં પચીસ પદો બનાવ્યા છે. તે પૈકી આ પ્રસ્તુત પદમાં રાગ વસંત અને તાલ ત્રિતાલમાં ગવાતા સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત સાકાર થાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)

Studio
Audio
0
0