આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ૧/૫

આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મારો પ્રભુજી પધાર્યા ધન્ય આજની ઘડી	-ટેક.
જેની નિત્યે વાટ જોતા ઝરૂખે ચડી, તે તો અમ પર આવ્યા કરતાં અમૃતઝડી	-૧
પિયુજી પધાર્યા એવી ખબર જડી, ઉમંગે શું ઊઠી હું તો તજી ચાખડી		-૨
મારા મનમાં લોકડિયાંની નાવે લાજડી, હરિને જોઈ જોઈ જીવું એવી ટેવ પડી	-૩
મુક્તાનંદ કે’ મોહન સાથે લાગી પ્રીતડી, તેને સુપના જેવો સંસાર ન શકે નડી	-૪

 

મૂળ પદ

આજની ઘડી રે ધન્ય આજની ઘડી,

મળતા રાગ

ગોડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

“આવો આવો લાડુદાનજી ! ગઢડામાં એભલ ખાચરના લીંબુતરુનીચે બેઠેલા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે ભાવનગરથી વજેસિંહ બાપુનું રાજસન્માન પામીને આવેલા રાજકવિ લાડુદાનજીને ઉષ્માભર્યો આવકાર આપતા કહ્યું અને પછે, પોતાના ગળામાં પહેરેલો ગુલાબનો હાર તેમને પહેરાવ્યો. ગઢડા આવતા માર્ગમાં કરેલા પોતાના સંકલ્પ સત્ય થતા જોઇને લાદુદાનજીને એમ લાગવા માંડ્યું કે આ તો સાગરનો તાગ લેવા નીકળેલી મીઠાની ભરેલી કોથળી સાગરના પાણીમાં ઓગળતી જાય છે ! લાડુદાનજીની કવિત્વશક્તિથી પ્રભાવિત થઈને ભાવનગરના મહારાજા વજેસિંહજીએ કવિનું રાજસન્માન કર્યું હતું. કવિને માટે સુવર્ણ આભૂષણો બનાવવાના હતા, તેથી રાજુલાવાળા નાગદાન સોનીને મહારાજાએ બોલાવ્યા. સોની સત્સંગી હતા અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉર્ધ્વપુંડ્ર તિલક કુમકુમનાં ચાંલ્લા સહિત કર્યું હતું. આ નવીન તિલક જોઇને કવિને આશ્વર્ય થયું. તેમણે સોનીને પૂછી નાખ્યું : ‘મહાજન ! આ વળી ક્યાં સંપ્રદાયનું ટીલું કર્યું છે ?” મહાજન નમ્રતાથી જવાબ વાળ્યો “કવિરાજ ! સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મનુષરૂપે પ્રગટ થયા છે, હું એમનો આશ્રિત છું.” આ સાંભળી લાડુદાનજી કહે ‘ આવા તો વિશ્વમાં કેટલાંય ધતિંગ ચાલે છે. અમે ચારણ એમ ખાતરી કર્યા વિન��� લોલેલોલ કરીને કોઈને ભગવાન ન માની લઈએ.” તે વખતે વજેસિંહ મહારાજે પણ તેમાં સૂર પુરાવતા કહ્યું :“કવિરાજ ! અમારા રાજ્યમાં આ તરફ સણોસરથી આથમણી દિશામાં સાત ગાઉં ગઢડા ગામ છે ત્યાં આ સ્વામીનો મુકામ છે ,તમે ત્યાં જઈને ખાતરી કરી આવો કે ખરેખર ભગવાન છે કે ધતિંગ છે !” કવિ તરત જ ઉત્સાહમાં આવી જી બોલ્યા: “ભલે બાપુ ! હું ગઢડા જઈ પાકી ખાતરી કરી ત્રણ દિ’માં પાછો આવું છું પણ જો સાચું હશે તો શેષ જીવન ત્યાંજ વિતાવીશ. “ મહા કવિરાજ સભામાંથી ઊઠી ગઢડા જવા તૈયાર થયા ત્યારે વૃદ્ધ સોની ભક્ત મર્મમાં બોલ્યા કે “કવિરાજ ! એક કહેવત છે કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો તે પાછી આવે ખરી ! સ્વામિનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે . માટે સમાગમ કરજો.’’ કવિરાજ કહે:: “એ તો ખરે ખબર પડશે !” લાડુદાન ગઢડા જવા ઉપડ્યા ત્યારે તેમના મામા અભયદાનજી*( વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવે લાડુદાનને વડોદરા રાજના રાજકવિ તરીકે રાખવા માટે માનપૂર્વક આમંત્રણ આપ્યું હતું. તે સંદેશો લઈને તેમના મામા અભયદાનજી આવ્યા હતા.) તેમને મળવા રાજસ્થાનથી આવ્યા હતા , તેમને પણ કવિએ પોતાની સાથે લીધા . ગઢડાનાં પાદરમાં લાડુદાને ચાર સંકલ્પ કર્યા. (૧) જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું એમની પાસે જાઉ ત્યારે મારી આજ સુધીની જીવનકથની કહી સંભળાવે. (૨) એમના ચરણોમાં સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેના સોળ ચિહ્નો હોવા જોઈએ . (૩) અત્યારે ગુલાબની મોસમ નથી છતાં હું જાઉ ત્યારે એમણે ગુલાબનો હાર પહેર્યો હોય અને તે મને પહેરાવે. (૪) વળી હું જાઉ ત્યારે કાળા કામળા પર શ્રીમદ્ ભાગવતનું પુસ્તક પૂર્વાભિમુખ બેસી વાંચતા હોય. આ સંકલ્પો સાચા પડે તો ભગવાન માનવા. ગઢડામાં એભલ ખાચરના દરબારમાં પ્રવેશતાં જ કવિરાજના સંકલ્પ એક પછી એક સત્ય થવા લાગ્યા. કવિએ જોયું કે કાળા કામળા પર રાખેલું ભાગવતનું પુસ્તક વંચાતું હતું. લાડુદાનને જોતા જ તેમનું નામ લઈને મીઠો આવકાર આપીને શ્રી સહજાનંદ સ્વામીએ પોતે પહેરેલો ગુલાબનો હાર કવિને પહેરાવ્યો. પછી કવિને પોતાને પાસે બેસાડીને શ્રીહરિએ એભલબાપુને કહ્યું: “બાપુ ! આ લાડુદાનજી બહુ મોટા રાજકવિ છે, કચ્છમાં ચૌદ વર્ષ રહીને પિંગળ શીખી એ ઉત્તમ કવિ બન્યા છે, ત્યાર બાદ તેઓ ત્યાં‌ના મહારાવનો સરપાવ પામ્યા. ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ અને ભાવનગરના રાજવીઓને પણ તેમની કાવ્યશાક્તિથી તેમણે મુગ્ધ કરી દીધા છે. હાલમાં તેઓ ભાવનગરથી આવ્યા છે . વજેસિંહબાપુએ એમને મોકલ્યા છે. માટે રાજવીને છાજે તેવી રીતે તેમની બરદાસ્ત કરજો.” લાડુદાનજી તો સ્થિર હૈયે આ બધું સાંભળી રહ્યા. શ્રીહરિની નયનરમ્ય મૂર્તિના અનિમેષ નેત્રે એ દર્શન કરી રહ્યા. થોડીવારે શ્રીજીએ તકિયે અઠિ‌ગણ દઈને બેસતા પોતાના બંને ચરણ પ્રસાર્યા. ત્યારે કવિરાજે પ્રભુના બંને ચરણો બહુ બારીકાઈથી નીરખ્યા. બંને ચરણોમાં સોળ ચિહ્‌નો બહુ સ્પષ્ટ દેખાતા હતા. કવિના અંતરમાં પ્રકાશ થઇ ગયો. માતાના ગર્ભમાં હતા ત્યારથી અત્યાર સુધી પોતાના દ્રષ્ટિપથમાં જે દિવ્ય પ્રતિમા નિરંતર દેખાયા કરતી તે જ આ પ્રગટ સ્વામિનારાયણ પ્રભુ છે, એવો અંતરમાં નિશ્ચય થતા કવિના હૈયામાં ધન્યભાવ વ્યાપી ગયો. એમના અંતરની આંખ સહજાનંદને નિહાળીને ઠરી અને એ સાથે જ એમનું કવિ હ્રદય ગાઈ ઊઠ્યું : ‘આજની ઘડી રે, ધન્ય આજની ઘડી: મેં નીરખ્યા, સહજાનંદ, ધન્ય આજની ઘડી’ કવિનું દેહાભિમાન ઓગળી ગયું, સહજાનંદના સ્વરૂપમાં ચિત્ત સમાધીરથ થઈ ગયું. રમણીય ઘડીની ધન્યતાનું એ ગાન હતું. એ ગાન ગાતાં, લાડુ સહજાનંદ નિરખતા ઠરી આંખડી” એ અંતિમ પંક્તિ તો સહજાનંદ સ્વામી સામે જોઈ ઉંચો સ્વર કરી કરીને વારે વારે પોકારી કવિએ પ્રેમની ઉત્કટ ઊર્મિ ઠાલવી. લાંબા કાળના વિયોગ પછે પ્રિયજનની પ્રાપ્તિ થાય તે સમયના જેવો હર્ષોન્મા‌દ કવિના હ્રદયનો જોઈ ત્યાં બેઠેલા સર્વજનો આશ્ચર્યથી ચકિત થઇ ગયા. આશ્રય કરી સાધુ થયા. મહારાજે પહેલા એમનું નામ શ્રીરંગદાસજી પાડેલું, પણ એકવાર સ્વામીનું બ્રહ્માસ્ત ભક્તકવિરૂપ જોઇને શ્રીજી બોલી ઉઠ્યા; “વાહ બ્રહ્માનંદ ! તમે તો ખુબજ બ્રહ્મનો આનંદ માણો છો.” ત્યારથી કવિનું નામ ‘શ્રીરંગ’ માંથી ‘બ્રહ્માનંદ’ થયું કવિને પણ એ નામ કાવ્યા‌ન્તે છંદરચનામાં ગોઠવવામાં અનુકૂળ આવવાથી વધુ સ્વીકાર્ય લાગ્યું. *( સંદર્ભ : શ્રી બ્રહ્મસંહિતા . ( પર. ૩. અ-૨ )) ઉત્પતિ ૨ ઉત્પત્તિઃ- ઉત્તર ગુજરાતના છેલ્લે પગથારે અને મરુ ભૂમિના પ્રથમ પગથારે શિરોહી રાજ્યના તાબે સુંદર સોહામણા ગિરિરાજ આબુની તળેટીમાં ખાણ નામના ગામમાં દેવજ્ઞાતિ મારૂ ચારણકુળમાં આશ્વાલયન ૠષિથી ચાલેલી આશિયા શાખાના ગઢવી ભક્ત શિરોમણી શ્રી શંભુદાનજી અને મહાપતિવ્રતા શ્રી લાલુબાદેવીની કૂખે વિક્રમ સંવત ૧૮૨૮ ને મહાસુદિ પાંચમના પવિત્ર દિને પ્રાતઃકાળે લાડુદાનના નામે જન્મેલું અણમૂલું રતન એ જ આપણા કવિ શ્રેષ્ઠ, શીઘ્ર કવિ શ્રી સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામી જેમણે સદ્ગુરુ રામાનંદસ્વામીના પવિત્ર મુખે ગર્ભાવસ્થામાં પ્રગટ પ્રભુનો મહિમા સાંબળી જીવનમાં દ્રઢ કરી લીધો હતો. એવા મહામુક્ત લાડુદાને બાલ્યાવસ્થામાં જ કેટલાક અલૌલિક ગુણો સિદ્ધહસ્ત કરી ભૂજની પાઠશાળામાં સળંગ દશ-બાર વર્ષ અભ્યાસ કરી રાજ્ય કવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, સહસ્ત્રશતાવધાની, મહામહોપાધ્યાય, મહાશીઘ્રકવીશ્વર, દોવળી તાજીમ સરદાર, સંગીતાચાર્ય અને ચોસઠકળા પારંગત, આમ, અનેક પદવીઓ મેળવી હતી. ટૂંકમાં ચાર શક્તિ, ચૌદવિદ્યા અને ચોસઠકળા જેમણે સિદ્ધહસ્ત કરી હતી. એવા રાજકવિરત્ન લાડુદાનજી રાજા રજવાડાઓનું માન-સન્માન પામતા પામતા ભાવનગર મહારાજા વજેસિંહના દરબારમાં આવ્યા. અને ભાવનગરના રાજકવિની સાથે કાવ્યચર્ચા કરી. અમૃત ધ્વનિ, રેણકી. ચર્ચરી છંદ, ત્રટકબંધ, વટકબંધ આદિ છંદોથી વાતાવરણ ધણધણી ઊઠ્યું. શબ્દોનું વૃંદાવન ખડું થયું. રાજમહેલોની દિવાલોમાં પડછંદાઓ પડતા. મોરલાઓ ટહુકી ઊઠ્યા. કેવી શબ્દ બંકી રચના ! કેવા શુદ્ધ ઉચ્ચાર ! કેવી બોલવાની મધુર શૈલી ! આવી અદ્ભુત કળાથી સભા દિગ્મૂઢ બની ગઈ. ભાવનગરી રાજકવિ ઝંખવાઈ ગયા. તેમણે મહાકવિ શ્રી લાડુદાનને કહ્યું કે આપ જે સ્વરચિત છંદ બોલ્યા તેવો છંદ રચવો તો બાજુ પર રહ્યો, પરંતુ તે છંદને ગાવો તે પણ અમારા માટે અશક્ય છે. માટે આપ તો ચારણજ્ઞાતિમાં જેમ ‘ઈશરા કે પરમેશ્વરા’ કહેવાયા તેમ જ તમે કોઈ અવતારી પુરુષ લાગો છો. આપ તો સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છો. આમ, પોતાના રાજકવિથી લાડુદાનની તારીફ સાંભળી સભા જીત્યા બદલ લાડુદાનને શિરપાવ આપવા માટે સોનાનાં ઘરેણાંનું માપ લેવા વજેસિંહ દરબારે રાજુલાના સોની નાગદાનભાઈને ફરમાન કર્યું. એટલે સોની મહાજન કવિશ્રીને નમસ્કાર કરી માપ લેવા લાગ્યા. ત્યાં મહાજનનાં કપાળમાં કોઈ નવા સંપ્રદાયનું ચિહ્ન જોઇ કવિએ કટાક્ષથી પૂછ્યું કે “મહાજન ! શક્તિપંથીને ‘આડ’ હોય, શિવપંથીને ‘ત્રિપુંડ”’ હોય, વૈષ્ણવો અને રામાનંદીઓને એકલું ‘ઉર્ધ્વપુંડ્ર’ તિલક હોય પરંતુ આ બે પાંખડાવાળું અને વચ્ચે કચ્છ પ્રદેશની કોરી જેવડા કુમકુમના ચાંદલાવાળું નવીન ટીલું વળી ક્યા પંથનું છે ?” તેનો જવાબ મહાજન આપે તે પહેલા તો વજેસિંહ બાપુ બોલી ઉઠ્યાં કે ‘કવિશ્રી ! અમારા રાજ્યમાં હમણાં એક નવું ધતિંગ નીકળ્યું છે. ભાવનગર તાબાના ગઢડા ગામમાં એક જીવનમુક્તાએ ‘સ્વામીનારાયણ’ ના નામે નવો પંથ ચલાવ્યો છે. તેને જે જુએ તે તેને વશ થઈ જાય છે. કોઈ કહે છે એણે બાબરો ભૂત વશ કર્યો છે. તો વળી, કોઈ કહે છે કે તેની પાસે જંત્ર-મંત્રનો જાદુઈ, કામરુ દેશની વિદ્યાનો નાનો ગુટકો છે. તેની પ્રસાદી ખાય કે તેની સામે મીટ માંડીને જુએ તો તેને કાંઈક થઈ જાય છે. અને તેનો જે ભક્ત થાય તેની નિશાની તરીકે આ સોનીના જેવું કપાળમાં ટીલું કરે છે. એ ભગવાન કઈ જ્ઞાતિના ? ક્યા મુલકના ? ક્યા ગામના છે ? તે કોઈને જણાવતા નથી. માટે તમે તો સુજ્ઞ, સુજાણ અને બુદ્ધિજ્ઞ પુરુષ છો. એટલે તમે પોતે જઈ ખાતરી કરો કે સાચી હકીકત શી છે? કવિનું સદ્ભાગ્ય આજે ભાવનગરના દરબાર દ્વારા સત્યરાહ ચીંધી રહ્યું છે. કોને ખબર હતી કે એ નદી સમુદ્રમાં મળી જશે ? હા, કવિશ્રીએ કહ્યું કે ‘મહાજન ! એ તો તેનો મેળાપ થયે પરખાશે કે સોનુ સોળ વલું છે કે કથીર ? એમ કહી અમુક ઘોડે સ્વારો સાથે લાડુદાને ગઢડા ભણી પ્રયાણ કર્યું. જોતજોતામાં કવિશ્રી ગઢડાની સીમમાં આવ્યા. તેનું કાલ્પનિક મન અનેક કલ્પનાઓ કરી રહ્યું હતું પણ પ્રભુની આગળ માનવી શા હિસાબમાં ? દરબારગઢમાં પ્રવેશતા જ કોઈ અદ્ભુત ચમત્કાર સર્જાયો. “ચાર મિલે ચોસઠ ખીલે, વીસ રહે કર જોર, જેહી મિલત છાતી ઠરે, હરખે સપ્ત કરોર.” એ ન્યાયે આજે ભક્ત અને ભગવાનનું કોઈ અદ્ભુત મિલન થયું. પ્રથમ મિલને જ સહજાનંદજીને જેવા છે તેવા ઓળખી કવિનું હૃદય આનંદવિભોર બન્યું. જીવનમાં કદી અને ક્યારેય નહીં આનંદ માણ્યો હોય તેવા અત્યાનંદની ઊર્મિઓએ કાવ્યનું સ્વરૂપ પકડ્યું. જોતજોતામાં એ કડીરૂપ કિરણો પ્રકાશનાં પૂંજ પાથરવા લાગ્યાં, એ સર્વોપરી સહજાનંદની મૂર્તિને નિરખતા-નિરખતા લાડુદાન સૌ પ્રથમ પ્રત્યક્ષ પ્રભુનું પ્રસ્તુત પદ રચી ગાવા લાગ્યા.

વિવેચન

આસ્વાદ : ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ દર્શન વેળા, એ જ ક્ષણે... “ આજની ઘડી રે , ધન્ય આજની ઘડી” નાં ઉમંગસભર ઉદ્‌ગાર અતિ સહજભાવે ગાનાર બ્રહ્માનંદ, મધ્યકાલીન સાહિત્યના ગણમાન્ય શિઘ્રકવી હતા, જે એમણે સર્જનપ્રતિભાને આગવી વિશેષતા છે. કવિએ ગઢડામાં શ્રી સહજાનંદ સ્વામીને પ્રથમ વાર જોયા એ સાથે જ એમને તે જ સાક્ષાત્‌ પ્રભુ હોવાને પ્રતીતિ થતા એ રમ્ય પળે એમના અંતરમાં જે ધન્યતાનો ભાવ વ્યાપી ગયો. એ ભાવને મુખરિત કરતું‌ આ પદ છે, જે ક્ષણે પ્રભુ ઓળખાયા એ ક્ષણ પણ ધન્ય થઇ ગઈ. હવે કામ, ક્રોધ, લોભ કે વાસના નહિ નડી શકે, કારણ કે હવે શ્રીહરિજી (સહજાનંદ) ની મૂર્તિ હૃદયમાં પ્રત્યક્ષ છે. કવિ કહે છે: “જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી; સદ્‍ગુરુની દ્રષ્ટિ થાતા, વસ્તુ એ જડી રે .” જીવની પરિમિત બુદ્ધિ બ્રહ્મના મુળ સ્વરૂપને જાણી શકતી નથી, એ મોટી અડી-અડચણ ( અવરોધ) છે. પણ સદ્‍ગુરુની કૃપાદ્રષ્ટિ થાય ત્યારે એ અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થાય છે. મૂળ બ્રહ્મસ્વરૂપ ઓળખાય છે. એથી આ ઘડી ધન્ય છે, જીવ ચોરાશી લાખ યોનીમાં ચાર પ્રકારની ખાણ ( સ્વેદજ , જરાયુજ , ઉદ‌‍્‍ભિજ્જ , અંડજ)માં ભ્રમણા કરે છે પરંતુ અંત:કરણમાં ઈશ્વર સાથેની એકતા સિદ્ધ થાય ત્યારે આ જન્મજન્માંતરની પીડા (દુગ્ધા ) ટળે છે, જ્ઞાન કૂંચી મળી અને તે કેમ લાગુ કરવી એ બાબતમાં સદ્‍ગુરુનું માર્ગદર્શન મળ્યું. એટલે બધા તાળાં ઊઘડી ગયા. બધા રહસ્યો સમજાઈ ગયા. લાડુને હવે સહજાનંદ સ્વામીનું દર્શન થયું તેથી એની આંખડી ઠરી છે. હવે નજર પ્રભુ પર જ કેન્દ્રિત થઇ છે અને પરમ શાંતિનો અનુભવ થયો છે. આંખડી ફરી ઘણે ઠેકાણે , નજર રખડી ઠેર ઠેર , પણ હવે ઠરી તો સહજાનંદ પર જ . કવિનું માન મીણની જેમ ઓગળી ગયું . સહજાનંદના સલૂણા સ્વરૂપમાં મન મોહી ગયું. એ રમણીય ઘડીની ધન્યતાનું આ ગાન છે. કવિની પ્રાસરચના સહજ સિદ્ધ છે ને ગેયતાનો પરિતોષ કરનારી છે. બ્રહ્માનંદના પળોમાં ખીલી ઉઠેલા ભાષાસૌંદર્યથી પ્રભાવિત થઈને સ્વ. કનૈયાલાલ મુનશી પોતાના “ Gujarat and its literature” નામના ગ્રંથમાં લખે છે: “ all these Poets of Sadhus sang about Sahajanand’s amours, rhymed moral teaching and bewailed the futility of life in the best style of the age. In beauty of language, Brahmananda, surpasses all his contemporaries except Dayaram” Page : 268 આસ્વાદ : ૨ આજની એટલે કે અત્યારની ઘડી ધન્ય છે. કારણ કે મેં મારાં નેત્રથી સહજાનંદ સ્વામીને નીરખ્યા. માટે આજની ઘડી મારા માટે ધન્ય બની ગઈ. IIટેકII માવજી એટલે કે આ સહજાનંદની મૂર્તિ મારા હૃદયમાં ખડી થતાં હવે મને કામ, કોધ, લોહ કે પંચવિષયનાં ખટરસ કે નવરસ આદિક રસ નડી નહીં શકે. માટે જ આજની ઘડી ધન્ય છે. II૧II જીવની બુદ્ધિ પ્રગટ ભગવાનને જાણી શક્તી નથી એજ મોટી અડી કહેતાં ઘાટી છે. પણ સદ્ગુરુની કૃપાદષ્ટિ થતાં મને એ અમૂલ્ય વસ્તુ મળી ગઈ છે. માટે જ ધન્ય છે આજની ઘડી! II૨II આ જીવ ચોરાસી લાખ જાતના દેહ ધરી સ્વેદજ, જરાયુજ, ઉદ્ભિજ અને અંડજરૂપ ચારેય ખાણોમાં આથડી કે’તા ભટકી ભટકીને થાકી ગયો છે. પણ જ્યારે અંતરમાં શ્રીહરિનાં સ્વરૂપની એક્તા થઈ એટલે કે જીવમાં સાક્ષીરૂપ ઇશ્વર અંતર્યામીપણે સદાય રહ્યાં છે. તે જ આ પ્રત્યક્ષ સરોપરી ભગવાન છે. એવી દ્રઢતા થતા મારા જીવની દુગ્ધા કે’તા શારીરિક, માનસિક અને સાંસારિક ત્રિવિધ તાપની પીડાઓ દૂર થઈ ગઈ છે. એટલે જ આજની આ ઘડી ધન્ય ધન્ય છે. II૩II જ્ઞાનરૂપી કુચી મળે તો પણ તેને કેમ લગાડવી? જેમ તિજોરીને કૂંચીઓનો ઝૂડો મળે પણ તે કૂંચીઓ કેમ લાગુ થાય છે તે તો તેનો કોઈ માહિતગાર મળે અને તે યુક્તિ બતાવે તો જ તે તિજોરીની કળ ખૂલે છે. તેમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વગેરેના સ્વરૂપોને તત્વથી કેમ ઓળખવા ? એ રીતિ તો ગુરુગમથી સમજાય એવી છે. આજે સદ્ગુરુની કૃપાદ્રષ્ટિથી એવી સત્ય સમજણ પડતાં મારાં અંતરનાં અજ્ઞાનરૂપ તાળાં ઊઘડી ગયાં. કવિશ્રી લાડુદાનજી કહે છે આજે આ સર્વેશ્વર સહજાનંદજીનાં દર્શન થતાં, મારાં નેત્રો ઠરીને ઠામ થયાં છે. માટે આજની ઘડી ધન્ય છે ! ધન્ય છે ! II૪II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ





ગુરુરાજ શ્રી મુક્તાનંદ સ્વામી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0