વિવેચન:
આસ્વાદ
હવે આપણે આ ઐતિહાસિક કીર્તનનો આસ્વાદ માણીએ.
સહજાનંદ સુખકારી રે સલૂણી છબી સહજાનંદ સુખકારી રે.
સ્વામી કીર્તનની કડીએ કડીએ જાણે ખૈયાના અંતરના અજ્ઞાનને હરિ રહ્યા છે.
ખૈયા! તે મને ‘સહજાનંદ’ ધાર્યો પણ હુ તો ‘બ્રહ્માનંદ’ છું.
ખૈયા! તેં બ્રહ્માનંદને સહજાનંદ કરતાં મોટો માની લીધો. પરબ્રહ્મને પ્રેમ કરવાને બદલે તેં બ્રહ્મને પ્રેમ કર્યો. ખૈયા! તારી બ્રહ્મજ્ઞાનની ભૂમિકા અધૂરી રહી.
ખૈયા! તું બ્રહ્મજ્ઞાની તરીકે ઓળખાયો પણ બ્રહ્મને ઓળખી ન શક્યો.
ખૈયા! સમજી લે. બ્રહ્માનંદ કરતાં સહજાનંદ મોટો છે.
ખૈયા! તું વેદાંતી છો. જગતને મિથ્યા માને છે એટલે હું માનું છું કે પંચવિષયનાં આકર્ષણો તને નહીં આકર્ષતા હોય પણ તારા બ્રહ્મજ્ઞાનના ‘અભિમાનની બેડીએ તારા પગ જકડી લીધા છે! જે ગાદીએ ભગવાન શોભે તે ગાદીએ તેં બ્રહ્મને બેસાડ્યું છે.
ખૈયા! ભગવાન સ્વામિનારાયણે આ લીલા બહુ સમજીને કરી છે. ખાલી મજાક કરવા નથી કરી.
એની ગાદીએ મને બેસાડ્યો ત્યારે આ વાતનો મર્મ હું પણ સમજી નહોતો શક્યો. હવે મને દીવા જેવું સ્પષ્ટ જણાય છે કે તારી માનસભૂમિકાનાં દર્શન કરાવવા માટે જ એ નટવરે આ ખેલ રચ્યો છે.
ખૈયા! જ્યાં જે શોભતું હોય તે શોભે. બ્રહ્મની ગાદીએ બ્રહ્મ શોભે. પરબ્રહ્મની ગાદીએ પરબ્રહ્મ શોભે. હા, પરબ્રહ્મને મોજ ચઢે તો ભલે બ્રહ્મની ગાદીએ બેસે પણ બ્રહ્મ ક્યારેક પરબ્રહ્મની ગાદીએ ન બેસી શકે. એ ગાદી તો ચક્રવર્તી સમ્રાટની ગાદી એના પર સેવકોથી કેમ બેસાય! બ્રહ્મ તો પરબ્રહ્મનું સેવક કહેવાય. પરબ્રહ્મનાં ચરણમાં તારો વિરામ નહીં થાય તો તારું વેદાંત અધૂરું રહી જશે, કુંવારું રહી જશે, વાંઝિયું રહી જશે.
ખૈયા! બ્રહ્મની ભૂમીકા પ્રાપ્ત કરી તેં ખરેખર સાહસ કર્યું છે. હવે સાહસ ભેગું એક સાહસ વધારે કરી એક છલાંગ ઓર લગાવ. બ્રહ્મના વૈભવનો મોહ છોડી પરબ્રહ્મના વૈભવને પ્રેમ કર. બ્રહ્માનંદને છોડી સહજાનંદને શરણે થઈ જા. બ્રહ્માનંદ તો સહજાનંદનો દાસ છે. બ્રહ્માન આનંદનું મૂળ સહજાનંદ છે.
तस्य भासा विश्चिमिदं विभाति I આ સહજાનંદના પ્રકાશે સમસ્ત વિશ્વ પ્રકાશે છે.
रसं ह्येवायं लब्ध्वा आनंदी भवति I
ચક્રવર્તી સામ્રાટની કૃપાથી ખંડિયા રાજાઓ જીવે તેમ આનંદકંદ આ સહજાનંદના આનંદથી મારા જેવા કંઈ બ્રહ્માનંદ જીવે છે.
ખૈયા! બ્રહ્મના આનંદ કરતાંય ‘સહજાનંદ’ના ચરણારવિંદના મકરંદનું પાન કરવામાં વધારે મજા છે. ભમરાઓ જેમ કમળનું સેવન કરે તેમ જોને આ સભામાં તારી સામે બેઠેલા કેટકેટલા બ્રહ્માનંદી મહાત્માઓ પુરુષોત્તમનારાયણના ચરણારવિંદનું સેવન કરે છે!
ખૈયા! તું ઊંચી ગાદીએ બેઠેલા બ્રહ્માનંદને જુએ છે ને! એ તારી મંજિલ નથી પણ વચલો મુકામ છે. તારી મંજિલ તો નીચે બેસવાનું જેણે નાટક કર્યું છે એ છે.
બ્રહ્માનંદ સ્વામીના વેણે વેણે ખૈયા ખત્રીના અંત:કરણનાં કમાડ ઊઘડી રહ્યાં હતાં.
બ્રહ્માનંદને ઊંચે આસને બેસાડી, પોતે નીચે બેસી ભગવાન સ્વામિનારાયણ વેદાંતીઓને સંકેત કરી રહ્યા હતા, ‘વેદાંતીઓ! આ તમારી સ્થિતિ છે. તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મને ઊંચે આસને બેસાડો છે. દિવ્ય અવતારોને ‘માયા શબલિત બ્રહ્મ’ અથવા તો ‘શુદ્ધ સત્વમય’ માની અવગણના કરો છો.
‘માયા શબલિત’નો અર્થ છે ‘માયાથી ખરડાયેલું’.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, ‘ભગવાન અને ભગવાનના અવતરો સદા દિવ્ય સાકાર છે અને અનંત કલ્યાણકારી ગુણોએ સહિત છે એને કોઈ નિરાકાર કે શુદ્ધ સત્વમય કહે તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય.’
નિર્ગુણ નિરાકારમાંથી અવતારો સંભવે નહીં. એટલે વેદાંતીઓ ‘અવતાર માત્ર માયાશબલિત સગુણ બ્રહ્મમાંથી પ્રગટે છે.’ એમ માને છે.
જીવ-ઈશ્વરના ભેદ સમજાવતા વેદાંતીઓ કહે છે, મૂળ તો જીવ, ઈશ્વર અને બ્રહ્મ જુદાં નથી એક જ છે પણ અંત:કરણરૂપ ઉપાધિને લીધે બ્રહ્મ ‘જીવ’ કહેવાય છે અને અનાદિ મૂલ અજ્ઞાનની ઉપાધિએ કરીને બ્રહ્મ ‘ઈશ્વર’ કહેવાય છે. માયાની ઉપાધિથી ખરડાઈને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર થાય છે.
જીવ અને ઈશ્વર ક્રમશ: ‘વ્યષ્ટિબ્રહ્મ’ અને ‘સમષ્ટિબ્રહ્મ’ પણ કહેવાય છે.
જીવનો દેહ પંચ અલ્પભૂતોનો બનેલો છે તેથી તે વ્યષ્ટિબ્રહ્મ છે. ઈશ્વરનો દેહ પંચ મહાભૂતોનો બનેલો છે તેથી તે સમષ્ટિબ્રહ્મ છે.
જેમાં અલ્પ પંચભૂતો હોય તે વ્યષ્ટિબ્રહ્મ. જેમાં પંચ મહાભૂતો હોય તે સમષ્ટિબ્રહ્મ. સામાન્ય જીવને એક જ શરીરની ઉપાધિ હોય છે. ઈશ્વરને પૂરા બ્રહ્માંડની ઉપાધિ હોય છે.
જીવને ત્રણ ગુણોની ઉપાધિ હોય છે. ઈશ્વરને શુદ્ધ સત્વગુણની ઉપાધિ હોય છે. ગુણોની ઉપાધિ હોવાથી ઈશ્વર સગુણ છે, બદ્ધ છે, અને માયાના આવરણે સહિત છે.
વેદાંતીઓ વેદાંતના રહસ્યને સમજાવવા ઘટાકાશ, મઠાકાશ અને મહાકાશનાં દ્રષ્ટાંત આપે છે.
આકાશ તો એક જ છે પણ ઘટ માંહેનો આકાશ ઘટાકાશ કહેવાય છે. મઠ માંહેનો આકાશ મઠાકાશ કહેવાય છે. ઘટ અને મઠની ઉપાધિ હટી જાય એટલે આકાશ મહા આકાશમાં મળી જાય છે.
મહાકાશની જગ્યાએ બ્રહ્મ છે. મઠાકાશની જગ્યાએ ઈશ્વર છે. ઘટાકાશની જગ્યાએ જીવ છે.
એક જ આકાશમાં વિવિધ ઉપાધિઓથી ભેદ ઊભા થાય છે તેમ એક જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં અનાદિ અવિદ્યાવશાત્ જડચેતન સૃષ્ટિરૂપી ભેદોની ભ્રાંતિ સર્જાય છે.
આમ શુષ્ક વેદાંતીઓ માને છે.
પરંતુ ‘બ્રહ્મમાં ભ્રમ ઊભો થાય’ એવી વેદાંતીઓની આ વાત કોઈ રીતે ગળે ઊતરે તેમ નથી.
અવિદ્યા જો બ્રહ્મમાં ભ્રમ પેદા કરી શકતી હોય તો બ્રહ્મ કરતાં અવિદ્યા બળવાન ગણાય. અવિદ્યા જો બ્રહ્મમાં ભ્રમ પેદા કરે તો એ ભ્રમની ક્યારેય નિવૃત્તિ શક્ય નથી. અવિદ્યાની નિવૃત્તિ શક્ય ન હોય તો વેદાંતે પ્રબોધેલી મુક્તિ અને મુક્તિનાં સાધનોનું કોઈ પ્રયોજન રહેતું નથી.
વેદાંતીઓની આ માન્યતામાં વિસંગતતા એ છે કે एकमेवाद्वितीय ब्रह्म, બ્રહ્મ સર્વથા ભેદશૂન્ય અને અદ્વિતીય છે. અહીં પ્રશ્ન એ થાય કે જો બીજા કોઈ તત્વનું અસ્તિત્વ જ નથી તો અવિદ્યા આવી ક્યાંથી?
સજાતીય, વિજાતીય કે સ્વગત ભેદશૂન્ય એવા બ્રહ્મને અવિદ્યા-દર્શન થયું કઈ રીતે?
શુષ્કવેદાંતના ક્ષેત્રમાં આવા અનેક પ્રશ્નોનો કોઈ જવાબ જડતો નથી.
એટલે ખૈયા ખત્રીને ટકોર કરતાં બ્રહ્માનંદ સ્વામી કહે છે, ‘ખૈયા! આવા ભેદભરમ અને ભ્રાંતિથી ભરેલા કોરા બ્રહ્મવાદને છોડો અને પરબ્રહ્મને શરણે આવો.’
પરબ્રહ્મને અવિદ્યાના આવરણો ક્યારેય નડતાં નથી.
એ નિર્ગુણ છે એનો અર્થ છે – માયાના ગુણોથી રહિત છે.
એ સગુણ છે એનો અર્થ છે – દિવ્ય ગુણોનો સાગર છે.
એ નિરાકાર છે એનો અર્થ છે – માયિક આકારથી રહિત છે.
એ સાકાર છે એનો અર્થ છે – દિવ્ય અવિનાશી આકારે સહિત છે.
પરબ્રહ્મમાં રહેલા ગુણો અવિદ્યાએ સર્જેલા નથી. સહજ અને શાશ્વત છે.
એમનાં નામ અને રૂપ આપણા જેવા માયિક અને નાશવંત નથી. અમાયિક અને અવિનાશી છે.
વેદોની સેંકડો શ્રુતીઓ આ વાતની સાક્ષી પૂરે છે.
ખૈયા! માયાને પણ દિવ્ય અને બ્રહ્મરૂપ કરી શકે એવી તાકાત ધરાવનાર પરબ્રહ્મને માયા ક્યારેય આવરણ ન કરી શકે.
ખૈયા! તારા શુષ્ક વેદાંતના બ્રહ્મને માયા લોપી શકે પણ આ પરબ્રહ્મ પાસે તો માયા દાસી છે.
ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે –
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા।
‘ગુણમયી અને દૈવી એવી આ મારી માયાનો પાર પામવો મુશ્કેલ છે.’
શ્રીમદ્ ભગવદ્ગીતા માયાને દૈવી કહે છે. દેવાધિદેવ પરમાત્માને જે આધિન હોય તેને ‘દૈવી’ કહેવાય.
બ્રહ્માનંદ સ્વામી વેદાંતના અટપટા જંગલમાંથી ખૈયાને બહાર કાઢી રહ્યા છે.
બ્રહ્માનંદ સ્વામી સદ્ગુરુ છે. મુમુક્ષુઓના અંતરની અટપટી આંટીઓને ઉકેલવાનું કામ સદ્ગુરુનું છે.
મા જેમ બાપને ઓળખાવે એમ સદ્ગુરુ મુમુક્ષુને શ્રીહરિની સાચી ઓળખ કરાવે છે.
બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કરતાં કરતાં શ્રીહરિ સામે આંગળી ચીંધીને કહ્યું –
‘ખૈયા! તારા નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો પિતા આ સગુણ સાકાર પર બ્રહ્મ છે.’
વિષયાનંદથી પર થયેલા બ્રહ્માનંદી મહાત્માઓ આ સહજાનંદના આનંદથી મસ્ત રહે છે.
ખૈયા! જેમ મહાત્માઓ માયામાં સુખ નથી માનતા એ જ રીતે એમને બ્રહ્મમાં પણ એવો આનંદ નથી આવતો જેવો ‘સહજાનંદ’માં આવે છે. એમને માટે તો ‘સહજાનંદ સુખકારી રે’.
ભગવતજીમાં ગર્ભસ્થ ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં બ્રહ્મજી કહે છે –पतन्ति अधः अनाद्दतः I
કાયામાયાનાં બંધન તોડી બ્રહ્મભાવની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા હોય પણ જો તમારા ચરણારવિંદનો આધાર ન હોય તો એને ઊંચેથી નીચે પડતાં વાર નથી લાગતી.
तथा न ते माधव तावकाः क्वचित् I
भ्रशन्ति मार्गात् त्वयि बध्दसौह्यदाः II
‘બ્રહ્મજ્ઞાનીઓ કે યોગીઓ માર્ગભ્રષ્ટ થઈ શકે છે પણ હે ભગવાન! તમારા વિષે અનુરાગવાળા ભક્તો ક્યારેય માર્ગભ્રષ્ટ થતા નથી.’
કહેવાય છે એક વાર કેટલાક સાહસિકો લાકડાંનો તપારો લઈ નાયગરા ધોધ પાસે જવા નીકળ્યા. આ લોકોના સાહસને નિહાળવા હજારો માણસો એકઠા થયા. કદાચ કંઈક દુર્ધટના થાય તો બચાવસામગ્રી તરીકે હવા ભરેલી રબરની ટ્યૂબો, લાંબી રસ્સીઓ વગેરે હાજર રાખવામાં આવ્યું.
જેમ જેમ તરાપો ધોધ તરફ આગળ વધતો ગયો તેમ તેમ લોકોના શ્વાસ અધ્ધર ચઢવા લાગ્યા. નાયગરા ધોધ થોડે છેટે રહ્યો, આખરે એ જ બન્યું જેની સર્વને બીક હતી. ગોળ ઘૂમરી ખાતાં પાણીની ભમરીમાં તરાપો ફસાયો. તરાપો ચકરાવે ચડ્યો અને ઊંધો વળ્યો. સાહસિક ડૂબવા લાગ્યા.
લોકોએ બચાવવા માટે રબરની ટ્યુબો, દોરડાં વગેરે સાધનસામગ્રી ફેંક્યાં. ડૂબતા સાહસિકોને બચાવવા માટે લોકોએ ઘણી જહેમત કરી પણ જેમના હાથમાં દોરડાં આવ્યાં તે જ સલામત રીતે બહાર આવી શક્યા. બીજા કોઈ બચી ન શક્યા. કારણ કે દોરડાંનો એક છેડો ડૂબનારાના હાથમાં હતો તો બીજો છેડો ઉપરવાળાના સલામત હાથમાં હતો.
ભવસાગરમાં બ્રહ્મજ્ઞાનીઓ રબરની ટ્યૂબોથી તરે છે. જ્યારે પરબ્રહ્મને પ્રેમ કરનારાઓ માટે એક છેડો એના હાથમાં છે, બીજો છેડો ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળાનો સમર્થ હાથ એને ડૂબવા દેતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે –
न मे भक्तः प्रणश्यति I
બ્રહ્માનંદ સ્વામીએ ‘સલૂણી છબી’ શબ્દ વાપર્યો છે.
લૂણે સહિત હોય તેને સલૂણું કહેવાય. લૂણ શબ્દના અનેક અર્થ થાય છે. જેમકે લૂણ એટલે મીઠું. લૂણ એટલે ‘સુંદર ચળકાટભર્યું.’
કીર્તનની પંક્તિમાં ‘મીઠું’ અર્થ અભિપ્રેત નથી. અહીં પ્રયોજાયેલો લૂણ શબ્દ લાવણ્યનો અપભ્રંશ છે.
આપણે ત્યાં વરરાજો પરણવા જાય ત્યારે લૂણ ઉતારવાનો રિવાજ છે. અહીં ‘લૂણ ઉતારવું’ એટલે મીઠું કાઢી લેવાની વાત નથી પણ વરરાજાના લાવણ્યને નિખારવાની વાત છે.
લાવણ્ય કોને કહેવાય, તો સાહિત્યકારો કહે છે –
मौक्तिकानां तरलता I
હીરા-મોતીમાં જે ચળકાટ છે તે લાવણ્ય છે. જે ચળકાટને લીધે આપણે હીરામોતીને ‘પાણીદાર’ કહીએ છીએ.
હીરામોતીની અનેક જાતો છે. ‘હીરામોતીના પાણીદારપણા ઉપરથી એની જાત નક્કી થાય છે. જાત પ્રમાણે એની કિંમત નક્કી થાય છે. જેમ ‘પાણી-તેજ-ચળકાટ’ વધુ તેમ કિંમત વધુ.
હીરામોતીનું આ ‘પાણી’ કુદરતી હોવું જોઈએ.
આજે તો કૃત્રિમ હીરા પણ મળે છે. કૃત્રિમ મોતી પણ મળે છે અને કૃત્રિમ સાધુ પણ મળે છે. સમય જતાં પાણી ઊતરી જાય તે કૃત્રિમ કહેવાય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ જેનાં પાણી ન ઊતરે તેને કુદરતી કહેવાય. હા, ઉપર રજ ચઢે એટલે થોડીવાર ઝાંખા લાગે પણ રજ દૂર થતાં એનું તેજ પાણી ઓર ઝળકી ઊઠે!
મારી અને તમારી આંખ હીરામોતીનાં પાણીને પારખી શકતી નથી. એ પાણીને પારખવા માટે તો ઝવેરીની આંખ જોઈએ.
હીરામોતીની જેમ માણસમાં પણ લાવણ્યતા હોય છે.
ઘણા માણસો અસલ સોના જેવા હોય. ઘણા માણસો સોનાનો ઢોળ ચઢાવેલી ધાતુ જેવા હોય. જે સહજ સુંદર છે તે અસલ સોના જેવા છે. એ શણગારો સજે કે ન સજે છતાં સુંદર જ લાગે.
સોનાનો ઢોળ ચઢાવેલી ધાતુ જેવા હોય તેને પોતાની કુરૂપતા ઢાંકવા જાતજાતનાં નખરાં કરવાં પડે, જાતજાતના શણગાર સજવા પડે, જાતજાતના મેકઅપ કરવા પડે. ઘણા તો ઊજળા દેખાવા માટે પીઠી ચોળે કે પાવડર લગાવે પણ જોનારને ડામરના ટીપણાં ઉપર લોટ વેર્યો હોય એવાં જ લાગે!
શણગાર ઉછીના-ઉધાર લઈ શકાય પણ લાવણ્યતા ઉધાર મળતી નથી.
બ્રહ્માનંદ સ્વામી ટકોર કરે છે. ‘સલૂણી છબી’
‘ખૈયા! તારા નિર્ગુણ નિરાકારને એક બાજુ મેલ અને આ લાવણ્યના સિંધુ સમા સગુણ સાકાર સહજાનંદને પ્રેમ કર.’
ભક્તિ સાહિત્યમાં ભગવાનને ‘લાવણ્યનિધિ’ કહ્યા છે. વિશ્વની સર્વ લાવણ્યતા એ સૌંદર્યસાગરમાંથી વરસેલાં અમીછાંટણાં જેવી છે.
સંસારના લાવણ્યને ક્યારેક લૂણો લાગી શકે છે. રૂપવાન હોય પણ રોગ થાય, કોઢ નીકળે, વૃદ્ધાવસ્થા આવે એટલે રૂપ કુરૂપતામાં પરિણમે.
કાળ, કર્મ અને માયાના લૂણા કોઈનેય છોડતા નથી પણ આ લાવણ્યનિધિ શ્રીહરિનું લાવણ્ય એવું અદ્ભુતછે કે એને કાળ-કર્મ-માયાનો લૂણો ક્યારેય લાગતો નથી.
ખૈયા! તેં ‘અરૂપી’ ‘અરૂપી’ કહીને અલખને નીરખવા માટે બહુ ફાંફાં માર્યા. એ અલખ આજે તારી આંખ સામે છે. હવે એને અંતરમાં લખી લે. આ લાવણ્યનિધિમાં તારા મનને ડુબાડી દે.
વેદાંત અરૂપી કહે છે, ન્યાય અનુમાને લે છે,
તે વહાલો સંતોમાં રહે છે રે... સલૂણી છબી
સહજાનંદ સુખકારી રે...
ખૈયા! તારું વેદાંત જેને નામરૂપથી રહિત નિરાકાર કહે છે તે અમારી સામે સાકાર બેઠું છે.
આ સદા સાકાર પુરુષોત્તમ નારાયણની ઓળખાણ વગર તારું વેદાંત જ્ઞાન અપૂર્ણ રહેશે.
વિજળીના બે છેડા નેગેટિવ અને પોઝિટિવ ભેગાં થાય ત્યારે જ પ્રકાશ થાય. તેમ આ રૂપ અને અરૂપનાબે છેડા ભેગા થાય ત્યારે જ પરબ્રહ્મનો પ્રકાશ થાય.
ખૈયા! તારું વેદાંત જેને આંખથી દેખાય નહીં એવું કહે છે એનાં અમે દર્શન કરીએ છીએ.
તારું વેદાંત જેને વાણીથી વર્ણવાય નહીં એવું કહે છે એના અમે ગુણગાન ગાઈએ છીએ.
તારું વેદાંત જેને મનથી મનન ન થાય એવું કહે છે એનું અમે ધ્યાન ધરીએ છીએ.
ખૈયા! તારા વેદાંતનું અરૂપી, અગમન, અગોચર તત્વ અમારી આંખ સામે સંતોની સભામાં ‘સહજાનંદ’ રૂપે સદેહે વિરાજમાન છે પણ સાધુના વેશમાં છે એટલે એ પરબ્રહ્મને પારખવો અઘરો છે.
‘તે વહાલો સંતોમાં રહે છે રે...’ આ પંક્તિના અનેક ભાવો છે.
જેમાંથી એક ભાવ એવો છે કે જે જ્ઞાનીઓને ગોત્યો નથી જડતો એ સંતોની મંડળીમાં સામે ચાલીને પહોંચી જાય છે.
નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, ‘પ્રભો, આપનું કાયમી નિવાસ ક્યાં છે?’
પ્રભુએ કહ્યું,
नाहं वसामि वैकुंठे योगीनां हृदये न च I
यत्र मद्भक्ताः गायन्ति तत्र तिष्ठामि नारद II
‘હું વૈકુંઠમાં વસતો નથી, ક્ષીર સાગરમાં સૂતો નથી, યોગીઓના હૃદયમાં રહેતો નથી. મારો નિવાસ તો મારા પ્રેમી ભક્તો સાથે મળીને જ્યાં મારું કીર્તન કરતા હોય, સત્સંગ કરતા હોય ત્યાં છે.
આ પંક્તિનો બીજો ભાવ છે – પરબ્રહ્મ સંતમંડળમાં સાધુવેશે સદેહે બેઠા છે. એટલું જ નહીં પણ એક એક સંતના અંતરમાં પણ એ જ પ્રગટ બિરાજમાન છે. હીરાના ઝુંમરમાં એક જગ્યાએ દીવો કરો અને સમસ્ત ઝુંમર ઝળહળી ઊઠે એમ આ એક એક સંતના અંતરમાં એ ‘સલૂણી’ છબી ઝળહળે છે.
ખૈયા! આ સામે બેઠેલી મૂર્તિને છોડીને તુ ‘અરૂપી’ ‘અરૂપી’ કહીને ક્યાં લગી દૂર દૂર અથડાયા કરીશ?
ખૈયા! આકાશને ચાટવાથી ખારો-ખારો સ્વાદ ન આવે. એમ તારા અરૂપીમાંથી આનંદનો આસ્વાદ નહીં આવે.
વેદાંતીઓને ‘અરૂપી’નો અનુભવ ન થાય એજ રીતે નૈયાયિકોના અનુમાન-પ્રમાણથી પણ એની ઓળખાણ અશક્ય છે.
અનુમાન-પ્રમાણ ન્યાયશાસ્ત્રનો આત્મા છે. જગતના સર્જનહારને સિદ્ધ કરવા ન્યાયશાસ્ત્ર તર્ક આપે છે. ‘જેમ કુંભાર વગર ઘડો ન બને તેમ સર્જનહાર વગર સૃષ્ટિનું સર્જન ન થાય.’
પણ યાદ રાખવું જોઈએ – અનુમાન આખરે અનુમાન છે, અનુભવ નથી. પ્રબળ તર્કોથી અનુમાનનું ખંડન થઈ શકે છે. પરંતુ લાખ તર્કોથી અનુભવનું ખંડન થઈ શકતું નથી.
પ્રહ્લાદને દાનવરાજ હિરણ્યકશિપુ લાખ સમજાવે કે ‘નારાયણ નથી’ પણ પ્રહ્લાદ માનવા તૈયાર નથી, કારણ કે પ્રહ્લાદના રોમેરોમમાં નારાયણ રમે છે. પ્રહ્લાદ એને સાક્ષાત્ અનુભવે છે.
મીરાંને લાખ મનાવો કે ‘કૃષ્ણ નથી’ તો મીરાં મનાવનારને પાગલ માની હસશે. કારણ કે મીરાંનો ગિરધર ગોપાલ એની આંખ આગળ નાચે છે. આવી વાત સૂર, નરસિંહ જેવા સેંકડો સાક્ષાત્કારી સંતોની છે.
સાક્ષાત્કારી સંતોના આ અનુભવ આગળ દુનિયાના સમસ્ત તર્કો તણખલાં જેવા છે. પરબ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ બે રીતે થાય. એક સાધનાની સહજ પ્રક્રિયા કરતાં કરતાં અંત:કરણ શુદ્ધ થાય ત્યારે અંતરની આંખે પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય અને બીજું એ જ પરબ્રહ્મને મનમાં મોજ ચઢે કે ‘મારે જગતમાં અવતાર ઘારણ કરી સર્વને નયનગોચર થવું છે’ ત્યારે વગર સાધનાએ આપણી ઉધાડી આંખો સામે એ પ્રગટે.
પરમાત્માનું પ્રથમ પ્રાગટ્ય સાધનાથી છે. બીજું પ્રાગટ્ય કરુણાથી છે.
નિગમ કહે અનુમાને મુનિવરને ના’વે ધ્યાને,
વહાલો તે આ ભીને વાને રે, સલૂણી છબી
સહજાનંદ સુખકારી રે...
વેદાંતીઓને બ્રહ્મતત્વ ‘અરૂપી’ છે એટલે દેખાતું નથી.
નૈયાયિકોને અનુમાન છે એટલે પ્રત્યક્ષ નથી.
વેદો પણ પરોક્ષ ભાવે જ પરબ્રહ્મનું વર્ણન કરે છે. એટલે વેદોને પણ પ્રત્યક્ષ નથી.
ભાગવતજીના દશમસ્કંધમાં વેદસ્તુતિના અધ્યાયમાં પરીક્ષિતનો પ્રશ્ન છે –
कथं चरन्ति श्रुतयः निर्गुणे गुणवृत्तयः I
વૃત્તિ શબ્દ આજીવિકા માટે અથવા તો વાણીના વિષય કે વ્યવહાર માટે વપરાય છે. ‘જેમની વાણીનો વિષય ત્રિગુણમયી નામરૂપાત્મક સૃષ્ટિ છે એવી શ્રુતિઓ માયાના ગુણોથી પર નિર્ગુણ એવા નારાયણનું વર્ણન કઈ રીતે કરી શકે?’
ગીતામાં પણ ભગવાન કહે છે –
त्रैगुण्यविषयाः वेदाः I
‘હે પાર્થ! વેદો ત્રણ ગુણને વિષય બનાવે છે, નિર્ગુણને નહીં.
પરીક્ષિતના પ્રશ્નનું સમાધાન કરતાં શુકદેવજી મહારાજ સમજાવે છે –
क्वचिदजयात्मना च चरतोनुचरेन्निगमः I
ચક્રવર્તી સમ્રાટને બંદીજનો વિરદાવલી ગાઈને જગાડે એમ વેદોની શ્રુતિઓએ પ્રલય સમયે ક્ષીર સાગરમાં પોઢેલા પ્રભુને પ્રાર્થના કરતા કહે છે.
‘હે ભગવાન! તમારા ગુણાનુવાદ ગાયા વગર અમને સંતોષ થતો નથી. અમે રહ્યા સગુણ. અમારાથી તમારા નિર્ગુણના ગુણ કેમ ગવાય? અમારી દ્રષ્ટિએ અમારી સમસ્યાના સમાધાનના બે માર્ગ છે. કાં તો તમે કરુણા કરી જાગો અને સૃષ્ટિનાં સર્જન કરો. તમારા સર્જનની અદ્ભુતતાના ગુણાનુવાદના માધ્યમથી અમે તમારા ગુણ ગાઈ શકીએ અથવા તો તમે સ્વયં અવતાર ધારણ કરી અવનવાં લીલા ચરિત્રો કરો તો અમે તમારી લીલાઓનાં ગાન દ્વારા તમારા ગુણ ગાઈ શકીએ.’
ભક્તિ સાહિત્યમાં કહેવાય છે કે, ભગવાનનું પરોક્ષ ગાન ગાવામાં વેદોની શ્રુતિઓને સંતોષ ન થયો. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે કરુણાસાગર! તમે અમને તમારો પ્રત્યક્ષ અનુભવ કરાવો.’
ભગવાને કરુણા કરી શ્રુતિઓને ગોકુલ-વૃંદાવનની ગાયો બનાવી. ભગવાને વાછરડાંનાં રૂપ ધરી એ ગાયોના દૂધ પીધાં. બાળક રૂપે બનેલા પ્રત્યક્ષ પરબ્રહ્મને રમાડતાં-ધવડાવતાં જે આનંદ મા જશોદાને થયો એવો જ આનંદ આ ગાયોરૂપી શ્રુતિઓને થયો.
ગોકુલની એક એક ગાય શ્રુતિ છે. ગોકુળની ગાયોનું દૂધ શ્રુતિસાર છે. આ શ્રુતિસાર દૂધ પ્રેમમય છે.
વિદ્વાનો વેદોને જ્ઞાનમય કહે છે. ભક્તો વેદોને પ્રેમમય કહે છે.
વેદોના જ્ઞાનરસને પીનારા ઘણા મળ્યા પણ વેદોના પ્રેમરસને પિછાણનારા ઓછા મળ્યા.
ગાયોના આઉમાં દૂધ ફાટ ફાટ થાતું હોય અને એને પીનારો વાછરડો કે દોહનારો ગોવાળ ન મળે તો ગાય ને અતિ અકળામણ થાય.
કંઈક આવી જ અકળામણ વેદોએ અનુભવી ત્યારે ભગવાને વાછરડાંનાં રૂપ લીધાં શ્રુતિરૂપી ગાયોના પ્રેમરસનું પાન સ્વયં પરબ્રહ્મે કર્યું.
એમાંથી થોડાં ફીણ નીચે પડ્યાં તે વ્યાસ અને શુકદેવે પીધાં. એમની ઉચ્છિષ્ટ પ્રસાદી પરીક્ષિતને મળી. એ અમૃતરસની ���્રસાદીની ભાગવતજીના રૂપમાં આપણને મળી.
એ અમૃતમયી પ્રસાદીનો પ્રભાવ તો જુઓ! ભાગવતજી રૂપે રહેલા એ પ્રસાદને પામી સમસ્ત વિશ્વ ધન્ય બન્યું.
શ્રીમદ્ ભાગવત શ્રુતિસાર છે. વ્યાસજી એને कल्पतरोर्गलितंफलम्। - ‘ક્લ્પતરુનું પાકેલું મધુર ફળ’ કહે છે. વેદોની પ્રત્યક્ષ ભક્તિનો આ પ્રભાવ છે. પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ ત્યારે જ શ્રુતિઓને સંતોષ થયો.
મુમુક્ષુને જ્યાં સુધી શ્રીહરિનો પ્રગટ જોગ ન થાય ત્યાં સુધી એના અંતરમાં સતત ખાલીપો રહે છે. એ ખાલીપો અજંપો પેદા કરે છે અને એ અજંપો જ વિરહભક્તિના ઉદયનો સ્ત્રોત બને છે.
ઉનાળામાં સૂરજની ગરમી વાદળો સર્જે અને એ વાદળો વરસે એમ વિરહથી જ્યારે અંતર તપે ત્યારે આંખો વરસવા લાગે. આંસુઓનાં એ પવિત્ર વારિ પરમાત્મા આડેનાં સર્વ આવરણોને ભીંજવીને ઓગાળી નાખે. આ ભક્તિમાર્ગની સાક્ષાત્કારની પ્રક્રિયા છે.
ઉનાળાની તપેલી ધરણીનું એક એક કણ વરસાદને ઝંખે તે જ રીતે મુમુક્ષુનું અંતર શ્રીહરિના પ્રગટ મિલન માટે તલસવું જોઈએ. જ્યારે એવો તલસાટ જાગે ત્યારે શ્રીહરિની કરુણા વરસાદની જેમ વરસી મુમુક્ષુની ધરણીને હરિયાળી બનાવે છે.
ગઢપુરનાં પ્રેમી ભક્તો લાડુબા અને જીવુબાએ શ્રીહરિને પ્રાર્થના કરી. ‘મહારાજ! આપ જ્યારે ગઢપુર છોડીને દૂર જાવ છો ત્યારે અમારાથી વિરહ સહેવાતો નથી. અમને જીવવા માટે કોઈ આધાર આપો.’
ભગવાન સ્વામિનારાયણે એ ભક્તોને પૂજવા માટે બાલમુકુંદ ભગવાનની મૂર્તિ આપી. પણ ભક્તોને સંતોષ ન થયો. કારણ કે એમને મૂંગી મૂર્તિની નહિ, બોલતાચાલતા શ્રીહરિની પ્યાસ હતી. ભક્તોને સંતોષ તો ત્યારે જ થાય કે એનો પ્રભુ એની સાથે સંવાદ કરે, એના હાથની સેવાનો સ્વીકાર કરે.
જ્યાં સુધી પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી અંદરનો શૂન્યાવકાશ ભરાતો નથી. માટે સ્વામી કહે છે, ‘નિગમ કહે અનુમાને!’
ખૈયા! તારું વેદાંત અનુમાનોથી બ્રહ્મની વાત કરે છે એ જ બ્રહ્મ અમારે તો નજર સામે પ્રત્યક્ષ બેઠા છે.
આગળ સ્વામી કહે છે,
‘મુનિવર ના’વે ધ્યાને વા’લો તે આ ભીને વાને રે...
ખૈયા! મુનીઓ ધ્યાન કરી કરીને મરી જાય તો પણ શ્રીહરિ એમના ધ્યાનમાં આવતા નથી.
શ્રીહરિ સામે લાંબો હાથ કરી કીર્તનની આ કડી બોલતાં બોલતાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું,
ખૈયા! જે શ્રીહરિ ન વેદોને મળ્યા, ન મુનિવરોને મળ્યા, એ શ્રીહરિ ભીને વાને મુનીમંડળમાં પ્રગટ બેઠા છે એને ઓળખી લે; અન્યથા તારા અંતરનો ખાલીપો નહીં ભરાય.
વાતાવરણમાં જ્યાં શૂન્યાવકાશ હોય ત્યાં વાવાઝોડાં ઊઠવાની સંભવના વધારે હોય છે. તેમ પ્રત્યક્ષ પ્રભુના મિલન સિવાય અંતરમાં કામ, ક્રોધ, લોભ અને અહંકારના બવંડર શમાતા નથી. જેમ રણની રેતીમાં કેકટસ જ પેદા થાય, કેસર કેરી ના આંબા ન થાય તેમ જેના હૃદયમાં શુષ્કજ્ઞાનની કોરી રેતી ઊડતી હોય ત્યાં અભિમાનના કાંટાળા થોર સિવાય બીજું કશું ઊગતું નથી.
બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં ગજબનું ઊંડાણ છે. સ્વામી અહીં ભગવાન માટે ‘ભીનેવાન’ વિશેષણનો પ્રયોગ છે.
નિર્ગુણ નિરાકારને પ્રેમ કરનારા કહેવાતા વેદાંતીઓ અથવા નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરનારા કહેવાતા યોગીઓને નામરૂપ સાથે બનતું નથી.
સામે પરબ્રહ્મ પણ એવો ખેલાડી છે કે એણે અજ્ઞાનીઓથી ઓઝલ રહેવા અવિદ્યાને આવરણો ઓઢ્યાં છે અને યોગીઓ તેમજ જ્ઞાનીઓથી ઓઝલ રહેવા માટે નામરૂપનાં આવરણ ઓઢ્યાં છે. પરિણામે પરબ્રહ્મ સામે મળે છતાં જ્ઞાનીઓ કે યોગીઓ એને ઓળખી શકતા નથી. અહીં સચ્ચિદાનંદમય પરબ્રહ્મ ‘ભીનોવન્’ ઓઢીને બેઠા છે એટલે ઓળખવા મુશ્કેલ છે.
અહીં ‘ભીનેવાન’નો અર્થ સમજીએ.
સામાન્ય રીતે જે પદાર્થનો વાન અર્થાત્ રંગ સહેજ શ્યામ હોય તેને ભીનેવાન કહેવાય.
ભગવાનનો ભીનોવાન શાસ્ત્રોમાં તેમજ સંતોનાં કીર્તનોમાં ભારે વખણાયો છે.
ભગવાનને અવારનવાર શ્યામસુંદર કહેવામાં આવ્યા છે.
શ્યામ એટલે આફ્રિકાના લોકો હોય છે એવા કાળા કોલસા જેવા નહીં.
આફ્રિકાના માણસોના કલરની તો વાત જ જવા દો.
સીસમના લાકડાને તેલ ચોપડો અને જેવું શોભે એવા આ રાજવંશીઓ શોભતા હોય! એમાં ઘણા તો કાળાં પાછા કાળાં કપડાંના શોખીન! એની ચામડીનો કલર અને કપડાંની સરહદો ક્યાં મળે છે? એની આપણને ગમ ન પડે. અંધારી રાતે સામે મળે તો ભૂત ભટકાણું હોય તેવા લાગે!
ભગવાન આવા કાળા નથી. તુલસીદાસજીએ શ્રીહરિના શ્રીવિગ્રહને સુંદર ઉપમાઓ આપી છે. એક ઉપમાથી સંતોષ નથી થયો, એટલે ત્રણ ત્રણ ઉપમાઓ આપી છે.
नील सरोरूह नीलमणी नील नीलधर श्याम I
પ્રથમ તુલસીદાસજીએ ભગવાનના શ્રીવિગ્રહને નીલમવરણા કમળ સાથે સરખાવ્યો પણ સંતોષ ન થયો, કારણ કે કમળમાં કોમળતા છે, સુંદરતા છે, સુગંધ છે પણ પ્રકાશ નથી, એટલે તુલસીદાસજીએ બીજી ઉપમા ‘નીલમણિ’ની આપી.
નીલમણિમાંથી પ્રકાશ પ્રસરે એમ ભગવાનના શ્યામ રંગમાંથી લાવણ્યતા વરસે છે.
આ ઉપમાંથી પણ તુલસીદાસજીને સંતોષ ન થયો કારણ કે નીલમણિમાં પ્રકાશ છે પણ સાથોસાથ કઠિનતા અને શુષ્કતા છે, રસાળતા નથી. રસાળતા સિવાય અમૃતનો વરસાદ ન વરસી શકે. એટલે તુલસીદાસે ત્રીજી ઉપમા નીલમવરણા મેઘની આપી.
અષાઢની નીલમવરણી મેઘઘટાઓ અનરાધાર વરસે એમ શ્રીહરિ પ્રેમ અને કરુણા વરસાવે છે.
આ રીતે જ્યાં નીલવમરણા કમળના રંગ, સુગંધ અને કોમળતા હોય, જ્યાં નીલમવરણા નીલમણિનો પ્રકાશ હોય અને જ્યાં નીલમવરણી મેઘઘટાની અમૃતવર્ષા હોય તેને ‘ભીનોવાન’ કહેવાય.
વાદળાં બે પ્રકારનાં હોય, એક ધોળાં, બીજાં કાળાં. ધોળાં વાદળાં રૂપાળાં લાગે પણ એમાં પાણી ન હોય. કાળા વાદળાં પાણીથી ભરપૂર હોય, જે નવખંડ ધરતીને જળબંબાકાર બનાવે. બ્રહ્માનંદ સ્વામી ખૈયાને સાનમાં સમજાવે છે, ‘ખૈયા! સૂકા રૂના પોલ સમાં વાદળાં જેવા બ્રહ્મને પ્રેમ કરવાને બદલે આ પ્રેમરસ, આનંદરસ અને કરુણારસથી ભરપૂર ભીના ભીના પરબ્રહ્મને પ્રેમ કર. એના પ્રેમકરુણાના વરસાદ તારી સૂકી વેદાંતની ધરાને લીલીછમ હરિયાળી બનાવી દેશે.’
સર્વકર્તા સર્વાધાઓ સર્વમાંહી સર્વથી ન્યારો
પ્રગટ રૂપ તે આ પ્યારો રે...
‘ખૈયા! સર્વદર્શનશાસ્ત્રો જેને સર્વકર્તા કહે છે, કર્તા છતાં અકર્તા કહે છે, કર્તા છતાં અભોક્તા કહે છે, સર્વનો આધાર કહે છે એ અગમ અગોચર અંતર્યામી પરમાત્મા તારી સામે પ્રગટ રૂપે બિરાજે છે.
જેમ સાગરમાં હજાર ઘડા ડુબાવો, હજારેહજાર ઘડામાં સાગરનાં જળ ભર્યાં છે છતાં સાગર ઘડામાં સમાતો નથી તેમ સર્વમાં નિવાસ હોવા છતાં શ્રીહરિ સર્વથી ન્યારા છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે –
अहं तेषु न ते मयि I
‘હું સર્વમાં છું. સર્વથી બહાર પણ છું.’
‘સર્વથી ન્યારા’ શબ્દનો એક બીજો પણ ભાવ છે. જેમ આકાશનો ચારેય ભૂતોમાં વાસ હોવા છતાં પૃથ્વી, પાણી, આગ અને પવનના કોઈ વિકારો આકાશને અડતા નથી તેમ જડ-ચેતન સર્વમાં શ્રીહરિનો વાસ હોવા છતાં જડ-ચેતન વિશ્વના કોઈ વિકારો શ્રીહરિને સ્પર્શી શકતા નથી.
આ જ વાત સમજાવતાં બ્રહ્માનંદ સ્વામી ખૈયાને મર્મમાં કહે છે, ‘ખૈયા! તું એવું માની બેઠો છે કે ‘નિર્ગુણ, નિર્વિકાર શુદ્ધ-બુદ્ધ મુક્ત સ્વભાવવાળું બ્રહ્મ અવિદ્યાને યોગે કરીને અશુદ્ધ, અજ્ઞ અને ભ્રાન્ત થયું છે’ એ તારી ભ્રમણા છે.’
એ અવિદ્યામાં વસે છતાં અવિદ્યાના વિકારો એને ન સ્પર્શી શકે. એ માનવદેહ ધરે, માનવ જેવી જ ચેષ્ટા કરે છતાં મનુષ્યના કોઈ વિકારો એને સ્પર્શી ન શકે.
ઊલટાનું પરબ્રહ્મે જળચર, નભચર કે ભૂચર કોઈ પણ જાતિમાં જે જે અવતાર ધારણ કર્યો હોય તે તે અવતાર સ્વરૂપનું જો કોઈ ધ્યાન, ભજન, ઉપાસન કરે તો એ પણ નિર્ગુણ થઈ જાય! અરે એ પરબ્રહ્મ પોતાના સંકલ્પવિશેષથી ધાતુપાષાણની મૂર્તિના રૂપ ધરે તો એ મૂર્તિનું ધ્યાન કરનારા પણ નિર્ગુણ થઈ જાય! એવો અલૌકિક પ્રભાવ પ્રગટ પુરુષોત્તમનારાયણનો છે.
પ્રગટ રૂપ તે આ પ્યારો રે...
ખૈયા! અમને તારા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કરતાં આ અમારી આંખ સામે રમે છે એ રૂપ વધારે પ્યારું લાગે છે.
જગજીવન અંતરજામી નામ સર્વનો છે નામી
તે આ બ્રહ્માનંદનો સ્વામી રે...
ખૈયા! શાસ્ત્રો જેને જગજીવન કહે છે, અંતર્યામી કહે છે, સર્વનામના નામી કહે છે એ જ આ સહજાનંદ સ્વામી છે.
જીવ-પ્રાણીમાત્રના જીવનદાતા પરમાત્મા છે. કીડીને કણ અને હાથીને મણ એ પૂરાં પાડે છે. પ્રાણીમાત્રને જીવવા માટે હવા, પાણી, પ્રકાશ અને ખોરાક પૂરાં પાડે છે. જીવ-પ્રાણીમાત્રને જિવાડનાર હોવાથી એ જગજીવન છે.
દોરો જેમ માળાના મણકાને જકડી રાખે તેમ સમસ્ત જડ-ચેતનના અસ્તિત્વનો આધાર એ અંતર્યામી છે.
નામ સર્વનો છે નામી અર્થાત્ જેમ નાની નાની નદીઓ પ્રથમ મોટી નદીઓમાં મળે પછી જ મહાસાગરમાં મળે છે તેમ શબ્દ માત્ર સીધા કે પરોક્ષ રીતે પરમાત્મા નારાયણમાં જ વિરામ પામે છે.
શબ્દથી માત્ર શરીરનો નહીં પણ શરીરથી વિશિષ્ટ ચેતનનો બોધ થાય છે.
કોઈ પણ વસ્તુ યા તત્વને આપણે પદાર્થ કહીએ છીએ. પદાર્થમાં બે શબ્દો છે – પદ અને અર્થ. કોઈ પણ પદનો, શબ્દનો કે નામનો કોઈ ને કોઈ અર્થ એટલે કે વસ્તુ સાથે સંબંધ અવશ્ય હોય છે.
ઉદાહરણ તરીકે ‘ગાય’ શબ્દથી ચાર પગ, માથે શિંગડા, પેટે આઉ, પૂંઠે પૂંછ અને ગળે કાંચળી જેને હોય એવા પશુનો બોધ થાય છે.
પરંતુ અહીં સમજવાનું એ છે કે ગાય શબ્દથી માત્ર ગળે કાંચળીવાળા શરીરનો જ બોધ નથી થતો. ગાયના શરીરમાં એક ચેતન વસે છે જેને લીધે શરીર ક્રિયા કરવા સમર્થ થાય છે. એ ચેતન ગાયનું શરીરી છે. ગાય શબ્દ શરીર વિશિષ્ટ શરીરીનો બોધ કરાવે છે, એકલા શરીરનો નહીં.
ઉપનિષદોની દ્રષ્ટિએ સમસ્ત જડ-ચેતન વિશ્વના શરીરી પરમાત્મા છે.
પૃથ્વી, પાણી, આગ, પવન વગેરે જડ તત્વોના શરીરી તો પરમાત્મા છે જ. આત્મા અથવા બ્રહ્મના શરીરી પણ પરમાત્મા છે.
મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતાનાં પત્ની મૈત્રેયીને સમજાવે છે –
यः आत्मानमन्तरो यमयति यश्य आत्मा शरीरम् I
यं आत्मा न वेद स त आत्मा अंतर्यामी-अमृतः II
‘જે આત્મા અથવા અક્ષરબ્રહ્મના પણ અંતર્યામી છે; આત્મા અને અક્ષરબ્રહ્મ જેના શરીર છે; આત્મા અથવા અક્ષર જેના અપાર મહિમાના પારને પામી શકતા નથી. હે મૈત્રેયી! એ અમૃતસ્વરૂપ પરબ્રહ્મ તારા પણ અંતરર્યામી છે.’
એટલે આગળ કહ્યું એમ શબ્દ માત્ર સીધા કે પરોક્ષ રીતે વિવિધ શરીરો દ્વારા પરમાત્મામાં જ વિરમે છે.
‘નામ સર્વેના છે નામી’ કહેવા પાછળ કેટલાક મર્મ છે.
સ્વામી કહેવા માગે છે, ‘ખૈયા! માત્ર શરીરને પ્રેમ ન કરાય. તેં અત્યાર સુધી શરીરને પ્રેમ કર્યો, શરીરી સુધી તારું જ્ઞાન ન પહોંચ્યું. એટલે તો વારંવાર ‘તારું વેદાંત અધૂરું ન રહી જાય’ એવી ટકોર કરું છું.’
બીજું નામનો સંગમ નામી સાથે થવો જ જોઈએ. કોરા શબ્દથી કાંઈ ન વળે.
પ્રગટ શ્રીહરિના મિલન વિના વેદાંતનાં વિવેચન કોરા શબ્દો છે. આકાશને સો વર્ષ સુધી ચાટે પણ ખારો-ખારો સ્વાદ ન આવે.
વારંવાર મીઠાઈ મીઠાઈ કરવાથી મોઢાં મીઠાં ન થાય, એ તો મીઠાઈનો ટુકડો મોઢામાં આવે તો જ મોઢાં મીઠાં થાય. તે જ રીતે પોપટની જેમ માત્ર શબ્દો રટવાથી કાંઈ ન વળે.
ખૈયા! વેદાંતના નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મના વર્ણનને વાગોળવાથી કાંઈ નહીં વળે, સર્વ નામના નામી સહજાનંદ સ્વામીને ભજી લે.
‘તે આ બ્રહ્માનંદનો સ્વામી રે’
‘બ્રહ્માનંદ’ કરતાં ‘સહજાનંદ’ શ્રેષ્ઠ છે. બ્રહ્મ કરતાં પરબ્રહ્મ શ્રેષ્ઠ છે.
બ્રહ્મરસના ભોક્તા અનંત મુક્તાત્મા સહજાનંદની સેવા કરે છે.
ખૈયા! હવે બ્રહ્માનંદને છોડ અને સહજાનંદને શરણે થઈ જા!
ખૈયા ખત્રી અને બ્રહ્માનંદ સ્વામીનો આ સંવાદ ભાગવતજીનાં ગોપીઓ અને ઉદ્ધવના સંવાદની યાદ અપાવે છે.
બ્રહ્માનંદ સ્વામીનાં વેણે વેણે ખૈયા ખત્રીના અંતરમાં અજવાળાં થયાં. ખૈયાએ અંતરના એ અજવાળે ‘સલૂણાં સહજાનંદ’ને ઓળખી લીધા. નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો ઉપાસક ખૈયો સગુણ સાકાર સહજાનંદનો આશિક થયો.