બહુ પ્રશ્ન-ઉત્તરો ત્યાં થાય રે, વચનામૃતો લખાય રે;
વાલો વાત કરે રાજી થઈને રે, સાંભળે સૌ ચિત્ત દઈને રે...૧
વાત કરતાં લટકાં કરે છે રે, સંતો ધ્યાન ધરે છે રે;
હરિ વાત કરે છે એવી રે, મૂર્તિ આ રાખ્યા જેવી રે...૨
મળી ચિંતામણિ સુખકારી રે, સંભારો એકધારી રે;
થાશે દિવ્ય દૃષ્ટિ તમારી રે, મૂર્તિ નહિ રહે ન્યારી રે...૩
થશે અખંડ મુજ દર્શન રે, રે’શે મન પ્રસન્ન રે;
અમે સર્વોપરી મહારાજ રે, પ્રગટ થયા છીએ આજ રે...૪
ધરે ધ્યાન તે પામે છે ધામ રે, એમ બોલ્યા ઘનશ્યામ રે;
કહે જ્ઞાનસખી સખી સાંભળ રે, વાત કહું છું આગળ રે...૫