મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો

અંતરના જામી શું કહીએ આપને,
નથી અજાણ્યું આપ થકી તલ ભારજો;
         ઓલવજો અવિનાશી ત્રિવિધ તાપને,
         અંતર સળગે એહ તણાં અંગારજો...અંતરના૦ ૧
પૂર્વ કર્મના ફળ ભોગવવા કારણે,
આપ્યો મુજને ઇશ્વર આ અવતારજો;
         તે સમજીને રાખી ધીરજ ધારણે,
         દીનદયાળુ આવ્યો છું તમ દ્વારજો...અંતરના૦ ૨
મહાબળવંત પ્રભુજી માયા આપની,
જગમાં ન મળે જોતાં એની જોડ જો;
         અનંત રૂપે ડંખ દીએ છે સાપણી,
         પ્રભુ ભજનમાં બાંધે મોટા ઓડજો...અંતરના૦ ૩
કામ ક્રોધના લડવૈયા સાથે લઇ,
લોભ મોહના મારે છે બહુ મારજો;
         મત્સર માનતણાં મુંગા મોઢે દઇ,
         સળગાવ્યા આશા તૃષ્ણા અંગારજો...અંતરના૦ ૪
દાવાનળ સળગાવ્યો છે બહુ દુઞ્ખના,
બળી મરે છે દાસ તમારો આજ જો;
         સ્વામી સહજાનંદજી સીંધુ સુખના,
         મનમોહન વ્હાંરે આવો મહારાજજો...અંતરના૦ ૫

                       -: દોહા :-
ઓલવજો અવિનાશજી, ત્રિવિધતાપ અપાર,
         મનમોહન કરુણા કરી, સુફળ કરો અવતાર.

રચયિતા :
મનમોહન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026