મુખ્ય સામગ્રી પર જાઓ

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય

અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય; પંડિત રંક ને રાય કે, હાં રે લાખુ લખપતિ હોય...ટેક. કુંભ કાચો કાયા જાણવી રે, તેનો નહિ નિરધાર; નાશ પામે પળ એકમાં, કરીએ કોટિ પ્રકાર...અંતે૦ ૧ માત પિતા સુત નારીઓ રે, સંગે ચાલે ન કોય; અંતસમે સંગાથમાં, પુણ્ય પાપ જ હોય...અંતે૦ ૨ મોટા મોટા તો મરી ગયા રે, છોટા મન મલકાય; મરણ તો સ્વપ્ને ન સાંભરે, અતિ ઉર હરખાય...અંતે૦ ૩ બાંધવને બાળી આવીને રે, ભાઈ સંભાળે ભાગ; મિલ્કતનો તે માલિક બને, એ આશ્ચર્ય અથાગ...અંતે૦ ૪ પસ્તાવો લેશ પામે નહિ રે, ઉર નહિ અફસોસ; અવિચળ જાણી મંડયો રહે, ઉર એ જ આલોચ...અંતે૦ ૫ નિત્ય જ્યાં નોબતો વાગતી રે, રુડા રાગ સદાય; એ સ્થળ આજ ઉજ્જડ પડયાં, જોયાં નજરે ન જાય...અંતે૦ ૬ એ જોઈને ઉદાસી અતિ રે, મને આવે છે ઉર; આ લોકમાંથી ઊઠી જવું, એ તો જાણો જરૂર...અંતે૦ ૭ મરણ છે માથે માણસને રે, ખરેખરું ખચીત; જગદીશાનંદનું તે થકી, ક્યાંય ચોંટયું ન ચિત્ત...અંતે૦ ૮

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
જગદીશાનંદ સ્વામી
વિશેષ નામ :
નાશવંતપણું
પુસ્તક :
કિર્તનાવલી
www.swaminarayankirtan.org © 2026