મુખ્ય સામગ્રી પર જાઓ

આદિકાળે ધરી સામ્ય સ્થિતિ પ્રકૃતિ બ્રહ્મમાં લીન હતી સુપ્ત જેવી

(૧)
આદિકાળે ધરી સામ્ય સ્થિતિ પ્રકૃતિ બ્રહ્મમાં લીન હતી સુપ્ત જેવી,
     એહનાં ઉદરમાં જીવ-ઇશ્વર તણી વાસના પૂર્ણ હતી ગતિ જ એવી,
જેમણે શ્રેય સંકલ્પ ત્યારે કર્યો વિવિધ સૃષ્ટિ તણી સર્જનાનો,
     એ પ્રભુ પ્રગટ હરિકૃષ્ણના ચરણમાં સ્થિર થઇ ચિત્ત વિશ્રાંતિ પામો.
 
(૨)
ક્ષોભકાળે કર્યા પ્રકૃતિ ખળભળી રજ તમે ઘોર ઘમસાણ કીધા,
     કોટિ બ્રહ્માંડના અધિપતિ સળવળ્યા વિશ્વ સંચાલનના દોર લીધાં,
એ સમે ઇંદ્રિયો બુદ્ધિ મન પ્રાણ સૌ આપીને દેહ બાંધ્યો મજાનો,
     એ પ્રભુ પ્રગટ હરિકૃષ્ણના ચરણમાં સ્થિર થઇ ચિત્ત વિશ્રાંતિ પામો.
 
(૩)
વિષયા સંસારની જવાલમાં જીવ સૌ દગ્ધ થઇ લક્ષચોરાશી ફરતા,
     કર્મના સુખ દુ:ખ પામવા જેમના જન્મને મરણના નિયમ ધરતા,
જેમણે એહ ભવસાગરે આપિયો મનુજ વપુ રૂપ દુર્લભ વિસામો,
     એ પ્રભુ પ્રગટ હરિકૃષ્ણના ચરણમાં સ્થિર થઇ ચિત્ત વિશ્રાંતિ પામો.
 
(૪)
રીત સત્શાસ્ત્રની સ્થિર ઉરમાં થવા પ્રીત હરિભક્તમાં પ્રગટવાને,
     નિત્ય ગુણગાન મુખ શ્રી હરિનું થવા સત્સમાગમ સદા સેવવાને,
ભક્તિરૂપ શુદ્ધ નિષ્કામ સેવા મહિં મોક્ષનાં સ્થાપિયા છે મુકામો,
     એ પ્રભુ પ્રગટ હરિકૃષ્ણના ચરણમાં સ્થિર થઇ ચિત્ત વિશ્રાંતિ પામો.
 
રચયિતા :
ત્રિભુવન વ્યાસ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026