દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે,
જ્યારે કરે જમડા આવીને જોર;
તેણી વેળા આવી રે દયાળુ મુજ દીનની રે,
બાંહ્ય ગ્રહી રે’જો નંદકિશોર-૧
જ્યારે તૂટે નાડી રે ઝલાઈ જાય જીભડી રે,
વાજે કફ સહિત શ્વાસનો ઘોર રે;
સગાં ને સંબંધી રે લાગે સહુ લૂંટવા રે,
કૂડા કૂડા કરીને શોર બકોર-૨
સ્વારથનાં સગાં રે સર્વે સંસારમાં રે,
તમ વિનાં જૂઠાં સર્વે જન રે;
તમે ને તમારા રે જન પ્રભુ પરમારથી રે,
બીજે નવ માને મારું મન-૩
ત્રાહિ ત્રાહિ કરી રે પોકારું જોઈ તમ ભણી રે,
સેવકની કરજો શ્યામ સંભાળ;
મુક્તાનંદના સ્વામી રે જાણ સુજાણ છો રે,
વર્ણવે છે વેદ દીનદયાળ-૪
