આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ; વાહને ચડીને આવો છો મારા વાલમા રે, નારાયણ નામનો જપતાં જાપ-૧ અનેકને આવ્યા રે અંતસમે તેડવા રે, સાથે લઈ સંત જનનો સાથ; એવા તો તમારા રે ગુણ અનંત અપાર છે રે, સાંભળતામાં સર્વે થાય સનાથ-૨ અધમ જાતિ રે ઓધારી બહુ નારીને રે, જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ; ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ-૩ કરુણારસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવા અનેક જનનો ઉદ્ધાર; મુક્તાનંદને વાલે રે મહાસુખ આપિયું રે, કરી નિત્ય નવલા નેહ વિહાર-૪
